લીલાપર ગામે યુવાનના હત્યા કેસમાં આરોપીને આજીવન કેદ
- મોરબીની ડીસ્ટ્રીકટ સેશન્સ કોર્ટનો ચુકાદો
- પાડોશમાં રહેતા યુવાનની કરી હતી હત્યા
મોરબી,તા. 21 ઓક્ટોબર 2019, સોમવાર
મોરબીના લીલાપર ગામે રહેતા યુવાનની તેના પાડોશી દ્વારા ચાર વર્ષ પૂર્વે હત્યા કરવામાં આવી હોય, જે અંગેનો કેસ ચાલી જતા આજે મોરબી ડીસ્ટ્રીકટ સેશન્સ કોર્ટે હત્યાના મુખ્ય આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે. જયારે બે આરોપીનો નિર્દોષ છુટકારો થયો છે.
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ, મોરબીના લીલાપર ગામે રહેતા રામજીભાઈ ગીરધરભાઈ વાણંદ નામના યુવાનની તેના જ પાડોશી દ્વારા હત્યા કરવામાં આવી હતી. જેમાં ગત તા ૨૪-૧૧-૨૦૧૫ ના રોજ મૃતકની પત્ની કાજલબેન વાણંદ દ્વારા પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ દંપતી વચ્ચે ઝઘડો થતો હોય અને બોલાચાલીને પગલે અવાજ પાડોશીને સંભળાતો હોય, જેથી તેના પાડોશમાં રહેતા જનક કિશોરભાઈ આહીર નામના શખ્સે અગાઉ પણ ચેતવણી આપી હતી અને બનાવના દિવસે દંપતી વચ્ચે ઉગ્ર ઝઘડો અને બોલાચાલી થતા ફરિયાદીના પતિ રામજીભાઈને પાડોશમાં રહેતા જનક આહીર તેમજ અન્ય શખ્સો આવી યુવાનને માર માર્યો હતો અને રીક્ષામાં અપહરણ કરી લઇ ગયા હતા અને બાદમાં યુવાનનો મૃતદેહ સિરામિક ઝોન પાસેથી હત્યા કરાયેલ હાલતમાં મળી આવ્યો હતો.
જે ફરિયાદને પગલે પોલીસે હત્યાના મુખ્ય આરોપી જનક કિશોર આહીર તેમજ અન્ય બે શખ્સોની અટકાયત કરી હતી અને હત્યાના ગુન્હા અંગેનો કેસ મોરબી ડીસ્ટ્રીકટ સેસન્સ કોર્ટમાં ચાલી જતા જીલ્લાના સરકારી વકીલ વિજયભાઈ જાનીની દલીલો તેમજ રજુ કરેલા દસ્તાવેજી પુરાવાને પગલે કોર્ટે મુખ્ય આરોપી જનક કિશોર આહીરને હત્યાના ગુન્હામાં દોષિત ઠેરવી આરોપીને આજીવન કેદની સજા અને ૧૦ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. જયારે અન્ય બે આરોપીને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે.