મોરબીના નીલકંઠ મહાદેવ મંદિરમાં ચીની વસ્તુનો ઉપયોગ કરનારને પ્રવેશબંધી
- ચીન સામેના વિરોધમાં મંદિરો પણ જોડાયા, ઠેર ઠેર વિરોધ વંટોળ
મોરબી, તા. 20 જુન 2020, શનિવાર
ચીન સરહદ પર ભારતીય જવાનોની શહાદત બાદ સમગ્ર દેશમાં ચીન પ્રત્યે ગુસ્સો જોવા મળે છે અને ચીની વસ્તુના બહિષ્કાર અને ચીની વસ્તુની હોળી કરી વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે મોરબીના નીલકંઠ મહાદેવ મંદિરમાં પણ ચીની પ્રોડક્ટનો ઉપયોગ કરનાર માટે પ્રવેશ પ્રતિબંધ ફરમાવ્યો છે.
સમગ્ર દેશમાં ચીન સામે વિરોધ અને ચીની વસ્તુના બહિષ્કાર માટે અભિયાન ચાલી રહ્યા છે. જેમાં મોરબીમાં પણ ચીની વસ્તુના વિરોધ કરવામાં આવી રહ્યા છે. અગાઉ મોરબીના યુવાનોએ ચીની મોબાઈલ અને ચીનના રાષ્ટ્રપતિના પુતળા દહન કર્યા હતા અને વિરોધ દર્શાવ્યો હતો. તે ઉપરાંત અન્ય સંસ્થાઓ પણ વિરોધ કરી રહી છે ત્યારે મોરબીનું મંદિર પણ આ અભિયાનમાં જોડાયું છે.
મોરબીના શંકર આશ્રમ ખાતે આવેલ પ્રાચીન નીલકંઠ મહાદેવ મંદિરમાં પણ ચીની પ્રોડક્ટનો ઉપયોગ કરનારને પ્રવેશ કરવો નહિ તેવું બેનર લાગ્યું છે. મોરબીના શિવ મંદિરમાં પણ ચીન સામે આક્રોશ જોવા મળે છે અને મંદિરે બેનર લગાવી ચાઇનીઝ વસ્તુ અને મોબાઈલ એપ ઉપયોગ કરનારે મંદિરમાં પ્રવેશ કરવાની સખ્ત મનાઈ છે તેમ જણાવ્યું છે.