Get The App

મોરબીમાં નેનો ટાઈલ્સ ફેક્ટરીઓ 10મીથી એક મહિનો બંધ કરાશે

- ટ્રક હડતાલની સીરામિક ઉદ્યોગ પર માઠી અસર

- મોરબી તરફ આવતા માલવાહક વાહનોને પણ ધમકાવીને અટકાવાતા હોવાથી પોલીસ રક્ષણ આપવા પેપરમિલ ઉદ્યોગો દ્વારા રજૂઆત

Updated: Aug 4th, 2021

GS TEAM


Google News
Google News
મોરબીમાં નેનો ટાઈલ્સ ફેક્ટરીઓ 10મીથી એક મહિનો બંધ કરાશે 1 - image


મોરબી, : મોરબીમાં 'જિસકા માલ ઉસકા હમાલ' નિર્ણયની અમલવારી નહીં થતા ટ્રાન્સપોર્ટરો હડતાલ પર ઉતરી ગયા છે. જેની સીધી અસર સિરામિક ઉદ્યોગ પર પડી છે અને આગામી તા. ૧૦ થી એક માસ સુધી નેનો ટાઈલ્સની ફેકટરીઓ બંધ રહેશે. બીજી તરફ મોરબી તરફ આવતા માલવાહક વાહનોને પણ અટકાવાતા હોવાથી પોલીસ રક્ષણ આપવા તેમજ યોગ્ય નિરાકરણ લાવવા પેપરમિલ ઉદ્યોગો દ્વારા રજૂઆત કરાઈ છે.

મોરબી સિરામિક એસો. હોલ ખાતે નેનો ટાઈલ્સ બનાવતી કંપનીની મીટીંગ મળી હતી. જેમાં હાલ ટ્રાન્સપોર્ટ હડતાલ ચાલતી હોય તેમજ રાજસ્થાનથી આવતા રો-મટીરીયલ્સ રાજસ્થાન સરકાર દ્વારા બંધ કરવામાં આવ્યા છે. ઉપરાંત ભાડામાં અને રો મટીરીયલ્સમાં અસહ્ય ભાવ વધારો થયો છે. જેથી નેનો ટાઈલ્સ બનાવતી ૩૫ જેટલી ફેકટરીઓએ તા. ૧૦ ઓગસ્ટથી એક મહિના સુધી બંધ પાળવાનો નિર્ણય કર્યો છે. જેમાં એક માસ સુધી ડીસ્પેચ અને પ્રોડક્શન બંધ રહેશે તેમજ અન્ય પ્રોડક્ટ જેવી કે જીવીટી, ડબલ ચાર્જ, પાકગ, ફ્લોર અને વોલ ટાઈલ્સ જેવી પ્રોડક્ટની અલગ અલગ મીટીંગ યોજ્યા બાદ બંધ અંગે નિર્ણય કરાશે તેમ સિરામિક એસો.નાં પ્રમુખે જણાવ્યું છે.

બીજી તરફ મોરબી પેપરમિલ એસો.ના પ્રમુખની આગેવાની હેઠળ પેપરમિલ એસોએ જીલ્લા કલેકટરને આવેદન પાઠવ્યું છે. જેમાં જણાવ્યું છે કે, ટ્રક ટ્રાન્સપોર્ટ એસો. દ્વારા હડતાલ કરવામાં આવી છે. દરમિયાન તેના સભ્યો અથવા તેના નામથી સાચી ખોટી ઓળખ આપનાર ઈસમો પ્રાઈવેટ ટ્રક, માલવાહનો અન્ય શહેરમાંથી આવે છે, જેના ડ્રાઈવરને ધમકાવે છે અને ડરાવે છે. કેટલાક વાહનમાં તોડફોડના કિસ્સા બનેલ છે. જેથી બહારના ટ્રક માલિકોને ટ્રાન્સપોર્ટરમાં ભયનું મોજું ફેલાયેલ છે. પરીણામે માલ મોકલી નહીં શકાતા ફેકટરીઓ બંધ કરવાની ફરજ પડી રહી છે. ૭૦૦૦ લોકોની સીધી રોજગારી અને અન્ય રોજગારી પ્રભાવિત થઇ છે. અનેક મિલો સંપૂર્ણ અથવા આંશિક રીતે નિકાસના ઓર્ડરનો માલ તૈયાર હોવા છતાં મોકલી શકાતો નથી અને બાકીના પેન્ડીંગ ઓર્ડરનો માલ સમયસર તૈયાર કરી શકાય તેમ નથી. ડેરી, ખાદ્ય પ્રોડક્ટ અને અન્ય ફાર્મા પ્રોડક્ટમાં પેપર પ્રોડક્ટ ઉપયોગી હોય જેનો બીજો કોઈ વિકલ્પ નથી. જેથી હડતાલનું સુખદ નિરાકરણ આવે અને માલની સલામત આવક જાવક ચાલુ થાય તે માટે પોલીસ રક્ષણ આપવા માંગ કરી છે.

Tags :