વાંકાનેરમાં તમાકુ આપવાની ના કહેતા યુવાનની હત્યા
- કોરોના મહામારી વચ્ચે વ્યસન માટે ખૂની ખેલ ખેલાયો હોવાનો ખુલાસો
મોરબી, તા. 05 મે 2020, મંગળવાર
કોરોના લોકડાઉન ચાલી રહ્યું છે જેમાં પાનમાવા વેચાણ પર પ્રતિબંધ છે. જેથી વ્યસનીઓ મુશ્કેલીમાં મુકાયા છે અને તાજેતરમાં વાંકાનેરમાં એક યુવાનની હત્યાનો બનાવ બન્યો હોય તે પણ વ્યસનને કારણે થઇ હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે.
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરના મચ્છુ નદીના પટમાં હસમુખભાઈ ધનજીભાઈ માંડલિયા નામના યુવાનનું માથું છુંદેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો અને પ્રાથમિક દ્રષ્ટીએ જ બનાવ હત્યાનો હોય પોલીસે ગુન્હો નોંધી હત્યાના બનાવની તપાસ કરી હતી.
જે હત્યાના બનાવ મામલે એલસીબી પીઆઈ વી. બી. જાડેજાની ટીમે તપાસ ચલાવી હતી. જેમાં હત્યા કરનાર ઈસમો છગન કરશન વાઘેલા અને નરશી વલ્લભ વાઘેલા (રહે. બંને વાંકાનેર સીટી સ્ટેશન રોડ)ને ઝડપી લેવાયા છે અને આરોપીની પૂછપરછ કરતા ચોંકાવનારી કબુલાત આપી હતી કે તેને તમાકુની તલપ લાગતા તમાકુ માંગી હતી અને ના પાડતા બોલાચાલી કરી ઝઘડો કરી બંને ઇસમોએ યુવાનની હત્યા કરી હતી. વ્યસને એક યુવાનનો ભોગ લીધો છે, જે બનાવ સમાજ માટે લાલબતી સમાન છે અને હવે યુવાનોને વ્યસનના રસ્તેથી પાછા વાળવા જરૂરી જ નહિ આવશ્યક બની ગયું હોવાનું પણ લાગી રહ્યું છે.