ટ્રાવેલ્સ સંચાલકની હત્યા કરનારા બે ભત્રીજા સહિત ચાર ઝડપાયા
- મોરબીમાં તલવારના ઘા ઝીંકી
- નવલખી ફાટક પાસેથી દબોચી લેવાયા, બે કાર કબજેઃ મુદ્દામાલ જપ્ત કરવા તથા પુછતાછ કરવા માટે રિમાન્ડ મેળવવા તજવીજ
મોરબી,તા. 4 મે 2019, શનિવાર
મોરબીના ટ્રાવેલ્સ સંચાલકની ઉછીના પૈસાની લેતીદેતીમાં તલવારના ઘા ઝીંકી ભત્રીજાઓ સહિતના છ આરોપી ફરાર થયા હોય જેને ઝડપી લેવા પોલીસે જુદી જુદી ટીમો બનાવી વિવિધ દિશામાં તપાસ ચલાવી હતી અને ચાર આરોપીને નવલખી ફાટક નજીકથી ઝડપી લેવામાં આવ્યા છે.
મોરબીના ટ્રાવેલ્સ સંચાલક ધુ્રવકુમારસિંહ ઉર્ફે ટીનુભા પ્રહલાદસિંહ જાડેજાની હત્યાના બનાવ અંગે ફરિયાદી અર્જુનસિંહ દિગ્વિજયસિંહ ઝાલાની ફરિયાદને આધારે પોલીસે છ ઈસમો સામે ગુન્હો નોંધી તપાસ ચલાવી હતી. જે હત્યા અંગે પોલીસે ગુન્હો નોંધી એલસીબી, એસઓજી અને બી.ડીવીઝનની ટીમોએ વિવિધ દિશામાં તપાસ ચલાવી હતી.
જેમાં ગત રાત્રીના સમયે નવલખી ફાટક નજીકથી કારમાં આરોપી જયરાજસિંહ વિજયસિંહ જાડેજા (ઉ.વ.૨૧ રહે ગ્રીન ચોક), દિગ્વિજયસિંહ હરિસિંહ ઝાલા (ઉ.વ.૨૮ રહે. સુરેન્દ્ર્નગર) અને મુકેશ ઉર્ફે મુકલો મોમભાઈ ભરવાડ (ઉ.વ.૪૬ રહે. ત્રાજપર) અને એક સગીર વયના આરોપી સહિત ચારને ઝડપી લઈને હત્યામાં વપરાયેલ ક્રેટા કાર કબ્જે લીધી છે જયારે હત્યામાં વપરાયેલ અન્ય એક વારના કાર સુરેન્દ્રનગરથી કબજે લેવામાં આવી છે.
હત્યા અંગે પોલીસમાં પાંચ આરોપી સામે નામજોગ જયારે એક અજાણ્યા ઈસમ સામે ગુન્હો નોંધવામાં આવ્યો હતો. જેમાં ઝડપાયેલ ચાર આરોપીની પૂછપરછ દરમિયાન હત્યામાં સંડોવાયેલ ઈસમ ધુ્રવરાજસિંહ રાણા (રહે. વલાણ, સુરેન્દ્રનગર) હોવાનું ખુલ્યું છે. તેમજ અન્ય એક કુમાર નામનો આરોપી એ બે આરોપી હજુ ફરાર છે.
જેને ઝડપી લેવા તપાસ ચલાવી છે. તેમજ પોલીસે હત્યામાં વપરાયેલ બે કાર કબજે લીધી છે અને આરોપી પાસેથી હજુ હત્યામાં વપરાયેલ તલવાર, છરી અને બંદુક સહિતનો મુદામાલ કબજે લેવા માટે અને ઝડપાયેલ આરોપીના રિમાન્ડ મેળવવા પોલીસે તજવીજ આદરી છે.