મોરબીના મહેન્દ્રનગર નજીક ગૌરક્ષક પર બાઈક સવાર શખ્સો દ્વારા ફાયરીંગ
- સ્કોર્પીયોમાં બેઠેલા ગૌરક્ષકનો બચાવ
- ચાર રાઉન્ડ ફાયરીંગ કરી બાઈક સવાર બે ઈસમો ફરાર: જૂની અદાવતને લઈ ફાયરીંગ કરાયું હોવાનું અનુમાન
મોરબી,તા. 12 ફેબ્રુઆરી 2019, મંગળવાર
મોરબીના મહેન્દ્રનગર ચોકડી નજીક બાઈકમાં આવેલ બે શખ્સોએ સ્કોર્પીઓ કારમાં સવાર ગૌરક્ષક પર ચાર રાઉન્ડ ફાયરીંગ કરવામાં આવ્યું હતું. અને ફાયરીંગની ઘટનાને પગલે બી.ડીવીઝન પોલીસ તેમજ એલસીબી અને એસઓજી ટીમો દોડી ગઈ હતી.
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ગૌરક્ષક દિનેશભાઈ લોરિયા આજે બપોરના સુમારે મહેન્દ્રનગર ચોકડી નજીક આવેલી નિરાધાર ગૌશાળા નજીક તેની સ્કોર્પીઓ કારમાં બેઠા હતા. ત્યારે ડબલસવારી બાઈકમાં આવેલ ઈસમોએ તેની કાર પર ફાયરીંગ ક ર્યું હતું. અને ચાર રાઉન્ડ ફાયરીંગ કરવામાં આવ્યું હતું. જો કે બનાવમાં સદનસીબે દિનેશભાઈ લોરિયાનો બચાવ થયો છે. ફાયરીંગની ઘટનાને પગલે બી.ડીવીઝન પીઆઈ આઈ.એમ. કોઢીયા તેમજ એસઓજી પીઆઈ જે.એમ.આલ. અને તેની ટીમ તેમજ એલસીબી ટીમો સ્થળ પર પહોંચી હતી.
ઘટના અંગે ગૌરક્ષકે પોલીસને આપેલ નિવેદન મુજબ ડબલસવારી બાઈકમાં આવેલ ઈસમો પૈકીના એકે ચીકુ કલરનું જાકીટ અને અન્યએ બ્લેક ટીશર્ટ પહેર્યું હતું અને ચાર રાઉન્ડ ફાયરીંગ કરવામાં આવ્યું છે. દિનેશભાઈ લોરિયા પોતે ગૌરક્ષક હોય જેથી જૂની અદાવતને લઈને તેના પર ફાયરીંગ કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું.
તો બાઈક સવાર બંને ઈસમો ફરાર છે ત્યારે આરોપીઓ ૪૮ કલાકમાં નહિ પકડાય તો ગૌરક્ષકો આંદોલન કરશે તેમ જણાવ્યું છે. ઘટનાની સઘન તપાસ માટે એફએસએલ ટીમની મદદ લેવામાં આવશે તેવી માહિતી પોલીસના સુત્રોમાંથી પ્રાપ્ત થઈ છે. તો પોલીસ પણ તમામ પાસા તપાસી ને આરોપીને ઝડપવા કવાયત હાથ ધરી છે.
ડ્રાયવર બાજુના ભાગે એક જગ્યાએ ફાયરિંગ થયું
કાર ચલાવી રહેલા દિનેશ બાજુમાં કોઈ બેઠું તો ન હતું તે જગ્યા પર કાચમાં એક જ જગ્યા પર ચાર રાઉન્ડ ફાયરિંગ થયું છે તે પણ કોઈ નિશાને બાજ હોય તો જ આવું ફાયરિંગ કરી શકે અને દેશી હથીયારનો ઉપયોગ થયો હોય તેવું પણ મનાય રહ્યું છે અને એક ગોળી આગળથી નીકળી પાછળ સુધી પહોંચી હતી અને લગભગ ૨૦ ફુટના અંતરે આ ફાયરિંગ થયું હોવાનું પણ જાણવા મળ્યું છે. તો આ ઘટનામાં ઘણી શંકાસ્પદ બાબતો પણ જોવા મળી છે.