લોકડાઉન છતાં દંપતી મહેસાણાથી મોરબીમાં આવતાં ગુનો દાખલ
- જિલ્લામાં જાહેરનામા ભંગના વધુ 28 કેસોમાં 84 સામે કાર્યવાહી
મોરબી, તા.30 એપ્રિલ 2020, ગુરૂવાર
કોરોના મહામારીને પગલે લોકડાઉન ચાલી રહ્યું છે અને એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં પરિવહન પ્રતિબંધિત છે. છતાં અનેક લોકો મોરબીમાં આવી જતા હોય છે. જેમાં વધુ એક દંપતી મોરબી આવ્યું હોવાથી તેમની સામે ગુનો નોંધી પોલીસે તપાસ ચલાવી છે.
મોરબી-2 વૃંદાવન સોસાયટી, હરિદ્વાર એપાર્ટમેન્ટ ખાતે રહેતા મૂળ ઉનાવા તા. ઊંઝાનું દંપતી કોરોના લોકડાઉન અમલી હોવા છતાં મોરબી મુકામે આવી જાહેરનામાં ભંગ કરી તેમ જ કોરોના વાયરસ સંક્રમણ વધે તેવું બેદરકારીભર્યું કૃત્ય કર્યાની પોલીસે ફરિયાદ નોંધી હતી.
મોરબી જિલ્લામાં પોલીસ જાહેરનામાનો ભંગ કરનાર સામે સતત કાર્યવાહી કરી રહી છે જેમાં વધુ 28 કેસોમાં 84 સામે કાર્યવાહી કરી છે. જિલ્લા પોલીસ દ્વારા દુકાનો ખુલ્લી રાખવાના 12 કેસોમાં 13 સામે કાર્યવાહી કરી છે. ટોળું એકત્ર થયું હોય તેવા 12 કેસો કરીને 66 સામે કાર્યવાહી કરી છે. બિનજરૂરી અવરજવરના 3 કેસો કરીને 3 સામે કાર્યવાહી કરી છે. ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ મુજબ 1 કેસમાં 2 સામે કાર્યવાહી કરવામાં આવી છે. 107 વાહનો ડીટેઈન કરવામાં આવ્યા છે.