મોરબી પાલિકામાં કાવાદાવા વચ્ચે કોંગ્રેસે રચી કમિટીઓ, હવે હાઈકોર્ટ ઉપર મીટ
- ભાજપે પ્રાદેશિક કમિ. પાસે મનાઇ હુકમ મેળવ્યો તો કોંગ્રેસ હાઇકોર્ટમાંથી 'સ્ટે' લાવી
- 18મીએ હાઇકોર્ટ બન્ને પક્ષોને સાંભળી કમિટીઓની માન્યતાનાં મુદ્દે લેશે નિર્ણયઃ ગંદકીનાં મુદ્દે ભાજપનો સાધારણ સભામાંથી વોકઆઉટ
મોરબી, તા. 31 જાન્યુઆરી 2019, ગુરૂવાર
મોરબી નગરપાલિકાની આજે યોજાયેલી સાધારણ સભા હાઇ વોલ્ટેજ ડ્રામા સમાન બની રહી હતી, કારણ કે જૂની કમિટી રદ કરવા અને નવી કમિટીની રચના તેમજ પ્રતિનિધિઓની નિમણુંક મામલે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રાજકીય કાવાદાવા તેમજ કાનુની દાવપેચ થયા હતાં.
જેમાં ભાજપે ખેલેલા દાવ બાદ કોંગ્રેસે પણ વળતો પ્રહાર કર્યો હતો અને ભાજપને મ્હાત આપવામાં કોંગ્રેસને સફળતા મળી હતી. કમિટીઓની રચના સામે ભાજપે પ્રાદેશિક કમિશનર પાસેથી મનાઇ હુકમ મેળવ્યો હતો તો પાલિકાની સાધારણ સભા શરૂ થાય તે પૂર્વે કોંગ્રેસ મનાઇ હુકમ સામે હાઇકોર્ટમાંથી સ્ટે મેળવી લીધો હતો
આજે સાધારણ સભા પાલિકા પ્રમુખ કેતનભાઇ વિલપરા અને ઇન. ચીફ ઓફિસર સાગર રાડિયાના અધ્યક્ષ સ્થાને મળી હતી. સાધારણ સભામાં ભાજપના ૨૧ અને શાસક પક્ષ કોંગ્રેસના ૨૫ સદસ્યો હાજર રહ્યા હતા. જયારે છ સભ્યો ગેરહાજર રહ્યા હતા. જેમાં ૪૬ માંથી ૧૭ એજન્ડાઓ પેન્ડીંગ રાખવામાં આવ્યા છે. જયારે બાકીના એજન્ડાઓને બહાલી આપવામાં આવી છે તે ઉપરાંત પાલિકાની વિવિધ કમિટીઓની રચના કરવામાં આવી હતી અને હોદાની લ્હાણી કરવામાં આવી હતી.
આમ સાધારણ સભા પૂર્વે ભાજપે મોટો દાવ ખેલી નાખ્યો હતો જો કે કોંગ્રેસે નહેલે પે દહલા સમાન હાઇકોર્ટમાંથી સ્ટે મેળવીને વિવિધ કમિટીઓની રચના કરીને હોદ્દાની લ્હાણી કરી દીધી છે. જોકે આગામી તા. ૧૮-૦૨ ના રોજ બન્ને પક્ષોને હાઇકોર્ટ સાંભળશે. જેથી કમિટીઓને માન્યતા મળે છે કે નહિં તે ત્યારે બાદ નક્કી થશે.
મોરબીના નહેરૂ ગેઇટ ચોક સહિત અન્ય વિસ્તારોમાં ઉભરાતી ગટર અને ગંદકીના મામલે આંદોલન ચાલી રહ્યા છે અને પાલિકાના શાસક પક્ષ કોંગ્રેસ પ્રજાને સુખાકારી આપવામાં નિષ્ફળ રહી હોવાના આક્ષેપો સાથે ભાજપના સદસ્યોએ વોકઆઉટ કર્યો હતો.
ઉલ્લેખનિય છે કે, મોરબી નગરપાલિકાની ગત સામાન્ય ચૂંટણીમાં ભાજપને ૨૦ બેઠકો મળી હતી. જયારે ૩૨ બેઠકો સાથે કોંગ્રેસ સત્તા સ્થાને આવ્યો હતો. પરંતુ સત્તા લાંબી ચાલી ન હતી. કોંગ્રેસનાં જ ૭ સભ્યોએ વિકાસ કમિટીનાં નામે અલગ ચોકો રચી ભાજપનો સાથ મેળવી સત્તા હાસલ કરી હતી.
બાદમાં ભાજપે વિકાસ સમિતિનાં સાથથી સત્તા મેળવી હતી. બાદમાં કોંગ્રેસનાં ૭ સભ્યો ગેરલાયક ઠરતા પેટા ચૂંટણી આવી હતી. જેમાં ૬ બેઠકો ભાજપે અને એક બેઠક કોંગ્રેસે મેળવી હતી, આથી હાલમાં ભાજપ પાસે ૨૬ અને કોંગ્રેસ પાસે ૨૬ બેઠક છે.
આ પરિસ્થિતિ વચ્ચે શાસક પક્ષે આજે કમિટીઓની રચના કરવા સાધારણ સભા બોલાવી હતી. અગાઉની કમિટીઓ ભાજપે બનાવેલી હોવાથી કમિટીઓની મુદ્દત ત્રણ વર્ષ હોય તેમ જણાવી કમિટીઓની રચનાની કોંગ્રેસની કાર્યવાહી સામેે પ્રાદશિકમિશ્નર પાસેથી ભાજપે 'સ્ટે' મેળવી લીધો હતો. બીજી બાજુ કોંગ્રેસ પણ પ્રાદેશિક કમિ.નાં સ્ટેનાં હુકમ સામે હાઇકોર્ટમાંથી સ્ટે. મેળવી લીધો હતો.