વાંકાનેરમાં અપહૃત માસુમ બાળકની ઘાતકી હત્યા : કુવામાંથી મળેલી લાશ
- બે દિવસથી પોલીસ અને પરિવારજનો કરતા હતા શોધખોળ
- બાળકના મૃતદેહ સાથે પાઈપ બાંધેલો મળ્યો, હત્યા કરીને લાશને છૂપાવવા માટે કૂવામાં ફેંકી દેવાયાની આશંકાઃ બે અજાણ્યા અપહરણકર્તાની શોધખોળ
મોરબી, તા. 31 ઓગસ્ટ 2019, શનિવાર
વાંકાનેર નજીક આવેલ દેવાબાપાની જગ્યા પાસેથી બે દિવસ પૂર્વે બાળકનું અપહરણ થયું હોય, જે બાળકનો મૃતદેહ જગ્યા નજીકના કુવામાંથી મળી આવતા ચકચાર મચી છે. બાળકની હત્યા કરી મૃતદેહ કુવામાં ફેંકી દેવાયો હોવાની પ્રાથમિક થીયરીને આધારે પોલીસે ગુન્હો નોંધવા તજવીજ હાથ ધરી હતી.
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ, વાંકાનેર બાઉન્ડ્રી નજીક દેવાબાપાની જગ્યા પાસેથી પાંચ વર્ષના પ્રિન્સ પ્રવિણભાઈ કોળી નામના બાળકનું અપહરણ થયું હતું. જે મામલે પોલીસે અપહરણનો ગુન્હો નોંધી તપાસ ચલાવી હતી. જો કે, પોલીસ બાળકને શોધી શકે તે પૂર્વે જ બાળકનો મૃતદેહ નજીકના કુવામાંથી મળી આવ્યો છે. જે બનાવની જાણ થતા ડીવાયએસપી, એલસીબી, એઓજી તથા વાંકાનેર પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને મૃતદેહને પી.એમ. માટે ખસેડવામાં આવ્યો હતો. બે દિવસ પૂર્વે બાળકના અપહરણ બાદ પોલીસે તપાસ ચલાવી હતી. જો કે, બાળકનો મૃતદેહ મળ્યો છે.
આધારભૂત સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે બાળકના મૃતદેહને દોરડું બાંધેલુ હતું તેમજ પાછળના ભાગે પાઈપ બાંધેલો હતો. જેથી બાળકની હત્યા કરીને મૃતદેહ કુવામાં ધકેલી દવાયો હોય તેવી શંકા વ્યક્ત કરવામાં આવી છે અને હત્યાની આશંકા સાથે પોલીસે હત્યાનો ગુન્હો નોંધવા તજવીજ હાથ ધરી બનાવની સઘન તપાસ ચલાવી છે. પાંચ વર્ષના માસુમ બાળકનું અપહરણ અને બાદમાં હત્યા કરાયેલ મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે. સાથે જ પાંચ વર્ષના માસુમ બાળકની હત્યા કોણે અને ક્યા કારણોસર કરી તે સવાલો પણ ઉપસ્થિત થયા છે.