વાન, રીક્ષાઓમાં ખચોખચ મુસાફરોની બિન્દાસ સવારી
- કોરાના મહામારી વચ્ચે મોરબીમાં બેદરકારી
- ટ્રાફિક પોલીસ નિંદ્રાધીન, શનાળા બાયપાસ પાસેથી પસાર થતા વાહનોને રોકનાર કોઈ નથી
મોરબી, તા. 27 જુલાઈ, 2020, સોમવાર
કોરોના કહેર મોરબીમાં પણ સતત વધી રહ્યો છે કોરોના કેસના આંકડા દિન પ્રતિદિન વધી રહ્યા છે તો મૃત્યુઆંક પણ માથું ઉચકી રહ્યો છે. ત્યારે મહામારીના સમયમાં વાહનમાં ખચોખચ મુસાફર ભરીને નીકળતા પેસેન્જર વાહનો બિન્દાસ્ત પરિવહન કરી રહ્યા છે જયારે ટ્રાફિક પોલીસ નિંદ્રાધીન જોવા મળે છે.
મોરબીમાં પેસેન્જર વાહનોમાં નિયમ વિરૂદ્ધ વધુ મુસાફરો મુસાફરી કરતા જોવા મળે છે સામાન્ય સ્થિતિમાં પણ પીકઅપ વાહનો અને રીક્ષામાં ઘણા મુસાફરો ભરેલા જોવા મળતા હોય છે જોકે હાલ કોરોના મહામારીના સમયમાં ખચોખચ મુસાફર ભરીને મુસાફરી કરવી મોટું જોખમ બની શકે છે અને કોઈ કોરોના સંક્રમિત વ્યક્તિ અનેકને સંક્રમણ લગાવી શકે છે. આમ છતાં મોરબીના શનાળા બાયપાસ પાસેથી પીકઅપ વાહનમાં પાછળ ખીચોખીચ મુસાફર ભરેલા વાહનો આરામથી પરીવહન કરી રહ્યા છે જોકે તેને રોકનાર કે ટોકનાર કોઈ નથી. શનાળા બાયપાસ ખાતે મોરબી પોલીસની ચેકપોસ્ટ આવે છે તો બાયપાસથી નવલખી ફાટક પાસે પણ ટ્રાફિક પોલીસ પોઈન્ટ હોય છે જોકે આવા વાહનો છતાં પણ બિન્દાસ્ત નીકળી જાય છે અને તેને કાયદાનો કે પોલીસનો ડર રહ્યો નથી તો ટ્રાફિક પોલીસને પણ આવા વાહનો કેમ દેખાતા નથી તે મોટો સવાલ છે.