રસ્તા ઉપર ઉભરાતી ગટર વચ્ચે કાઢવી પડી સ્મશાનયાત્રા
- મોરબીનાં માધાપર વિસ્તારમાં આક્રોશ
- નિંભર તંત્રવાહકોને રોડ પર છલકાતા ગંદાપાણી અંગે રજૂઆતથી લઈને આંદોલન કરવા છતાં નિંદ્રાધીન
મોરબી, તા. 04 જાન્યુઆરી 2019,શનિવાર
મોરબીના માધાપર વિસ્તારમાં મહિનાઓથી ગટર ઉભરાય છે જે મામલે સ્થાનિકોએ ઉપવાસ આંદોલન સુધીની લડત આપ્યા છતાં નીંભર તંત્રએ ધરાર પ્રશ્નને સળગતો રાખ્યો હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે. જેને પગલે આજે આ વિસ્તારમાં એક વ્યક્તિનું અવસાન થતા સ્મશાનયાત્રા ગટરના ગંદા પાણી વચ્ચેથી કાઢવાની ફરજ પડી હતી.
મોરબીના માધાપર શેરી નં ૦૬માં રહેતા મકનભાઈ ભવાનભાઈ ડાભીના પત્ની શાંતાબેનનું અવસાન થયું હોય જેમના નિવાસસ્થાનેથી આજે સ્મશાન યાત્રા કાઢવામાં આવી હતી જોકે માધાપર વિસ્તારમાં ઉભરાતી ગટરને પગલે ડાઘુઓને ગટરના ગંદા પાણીમાં ઉભા રહેવું પડયું હતું.
આવા ગંદા પાણીના તલાવડા વચ્ચેથી પસાર થવાનો વારો આવ્યો હતો. જેથી સ્થાનીકોમાં ભારે રોષ ફેલાયો છે. આ વિસ્તારમાં ગટરના પ્રશ્ને પાલિકાને અનેક લેખિત રજૂઆત ઉપરાંત આંદોલન સુધી લડત સ્થાનિકોએ આપી છે પરંતુ નીમ્ભરતંત્રમાં શરમ બચી જ નથી.ે ઉભરાતી ગટરના પ્રશ્નનો કાયમી ઉકેલ લાવ્યાના હોય જેથી આજે પણ માધાપરમાં ઉભરાતી ગટરની સમસ્યા નાગરિકોને સતાવી રહી છે .