મોરબીથી ટ્રેન ન હોવા છતાં શ્રમિકો મોટી સંખ્યામાં રેલવે સ્ટેશને ઉમટયા
ટ્રેનનો ખર્ચ યુપી સરકાર ભોગવશે તેવી જાહેરાત સાંભળી
- શ્રમિકોને માંડ સમજાવી પોલીસે પરત મોકલ્યા
મોરબી, તા. 22 મે, 2020, શુક્રવાર
મોરબીમાં સિરામિક સહિતના ઉદ્યોગમાં કામ કરતા શ્રમિકોને ટ્રેન મારફત વતન પરત મોકલવામાં અવી રહ્યા હોય અને ટ્રેનની વ્યવસ્થા થતી જાય તે મુજબ રજીસ્ટ્રેશન કરેલ શ્રમિકોને રવાના કરાઈ રહ્યા છે જોકે આજે કોઈ ટ્રેન ના હોવા છતાં રેલ્વે સ્ટેશને શ્રમિકો ઉમટી પડયા હતા જેથી તેને સમજાવી પરત મોકલવામાં પોલીસને પરસેવો પાડવાનો વારો આવ્યો હતો
મોરબીમાં યુપી, બિહાર સહિતના રાજ્યના અનેક શ્રમિકો હજુ વતન વાપસીનો ઇન્તજાર કરી રહ્યા છે. દરમિયાન યુપીના શ્રમિકોના ટ્રેનનો ખર્ચ યુપી સરકાર ભોગવવાણી હોય તેવી જાહેરાત કરવામાં આવી છે. જેથી યુપી જવા ઇચ્છતા શ્રમિકો રેલ્વે સ્ટેશન પહોંચી ગયા હતા જો કે આજે કોઈ ટ્રેન ના હોય અને શ્રમિકો આવી પહોંચતા પોલીસ ટીમોએ શ્રમિકોને સમજાવવા ભારે મથામણ કરવી પડી હતી અને ટ્રેનની વ્યવસ્થા થાય ત્યારે જાણ કરવામાં આવશે તેમ સમજાવટ કરી હતી.