Get The App

દાર્જિંલિંગના ટુરિસ્ટો... કાળી માખીથી સાવધાન

Updated: Jun 27th, 2025

GS TEAM

Google News
Google News
દાર્જિંલિંગના ટુરિસ્ટો... કાળી  માખીથી સાવધાન 1 - image


- મેરા ભારત મહાન-અક્ષય અંતાણી

મેરે સપનોં કી રાની કબ આયેગી તૂ... 'આરાધના' ફિલ્મના આ મજેદાર ગીતનું  શૂટિંગ દાર્જિંલિંગમાં થયું હતું. શર્મિલા ટાગોર મિની-ટ્રેનમાં  પ્રવાસ કરે છે અને રેલવેના પાટાની લગોલગ પહાડી રસ્તા પર જીપ દોડાવીને રાજેશ ખન્ના આ ગીત ગાય છે. એક વખત હતો જ્યારે દાર્જિંલિંગ હિન્દી ફિલ્મોવાળા માટે માનીતું સ્થળ હતું. 'હરિયાલી ઔર રાસ્તા', 'પ્રોફેસર', 'આયે દિન  બહાર કે' સહિત ગણી ગણાય નહીં એટલી ફિલ્મોનાં શૂટિંગ દાર્જિલિંગમાં થયાં  હતાં. એટલે પશ્ચિમ બંગાળના આ ટુરિસ્ટ સ્પોટ તરફ પર્યટકોને આકર્ષવામાં ફિલ્મોએ મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો.

આજે તો આખું વર્ષ ટુરિસ્ટોથી ધમધમતા રહેતા દાર્જિંલિંગ અને કાલિમ્પોંગ જતા  પ્રવાસીઓને કાળી માખી (બ્લેક ફલાય)થી સાવધ રહેવાની લાલ બત્તી ધરવામાં આવી છે. આ લોહી ચૂસતી કાળી માખી જો ડંખ મારે તો આંખે ઝાંખપ આવવાનું જોખમ રહે છે. 

પશ્ચિમ બંગાળના દાર્જિંલિંગ અને કાલિમ્પોંગ તેમ જ આસપાસના વિસ્તારોમાં કાળી માખીનો ઉપદ્રવ વધુ છે. ઝુલોજિક્લ સર્વે ઓફ ઈન્ડિયાના એક સંશોધન મુજબ, દાર્જિંલિંગ અને કાલિમ્પોંગના નદીકાંઠાના વિસ્તારમાં કાળી માખીનો ઉપદ્રવ જોવા મળે છે. સ્થાનિક ભાષામાં તેને પિપ્સા કે પોટૂ માખી કહેવામાં આવે છે. આ માખી ડંખ મારે તો આંખે ઝાંખપ કે અંધાપો આવવાની શક્યતા જોતાં સ્થાનિક લોકોને પણ માખીના જોખમથી સાવધ કરવામાં આવી રહ્યા છે. 

માખીના આ જોખમ વિશે જાણીને નાના પટેકરના ફેમસ ડાયલોગને ફેરવીને ફટકારી શકાય-  એક મખ્ખી આદમી કો અંધા બના સકતી હૈ...

દહેજમાં માગી કિડની

દહેજ વિરોધી કાનૂન અમલમાં હોવા છતાં દહેજનું દૂષણ નાબૂદ નથી થયું. દહેજમાં ચમચમતી મોટરકાર, મોટરબાઈક, ફ્લેટ અને દરદાગીના માગવામાં આવતા હોય છે, પરંતુ બિહારના મુઝફફરપુર જિલ્લામાં પરણાવવામાં આવેલી એક યુવતી પાસે સાસરિયાઓ સોના-ચાંદીનાં ઘરેણાં અને રોકડ રકમ દહેજમાં માગવા લાગ્યા. યુવતીના પરિવાર ઘરેણાં અને પૈસા દહેજરૂપે આપવાનો ઈનકાર કર્યો એટલે સાસરિયાઓએ  કિડની કાઢી આપવાની માગણી કરી, કારણ કે યુવતીને પરણ્યા પછી બે વર્ષે ખબર પડી કે તેના પતિને કિડનીની બીમારી છે અને એક કિડની કામ જ નથી કરતી. એટલે સાસરિયાઓએ કહ્યું કે તું તારી  કિડનીનું પતિને દાન કરી દે, પરંતુ યુવતી એ કિડની આપવાની ના પાડતા જાલીમ સાસરિયાઓએ તેની પર અત્યાચાર ગુજારીને  અને ઢોરમાર મારીને કાઢી મૂકી હતી. 

આ કિસ્સો વાંચીને કહેવું પડે કેઃ 

કેવી આ દહેજ ભૂખ્યાની 

દાનવજાત,

જેનાથી શર્મસાર થાય

માનવજાત.

પાયલનો રણકાર, પગથી ઝીલે પડકાર

પડકારોના પહાડની 'પગથી' સડસડાટ ચડી ગયેલી રાજસ્થાનની પાયલ, કે જે બંને હાથ ગુમાવી ચૂકી છે, એણે હાંસલ કરેલી સિદ્ધિને સો-સો સલામ કરવી પડે. 

રાજસ્થાનના અલ્વર જિલ્લાના મુંડનકલા ગામમાં રહેતી પાયલ યાદવ છ વર્ષની હતી ત્યારે ખેતરમાં રમતી વખતે તૂટી પડેલા હાઈ-ટેન્શન વાયરને હાથ અડી જાત જબરજસ્ત શોક લાગ્યો હતો.  તેનો જીવ બચાવવા ડોકટરે બન્ને હાથ કાપી નાખવા પડયા. પણ શૂરવીરોની ધરતી રાજસ્થાનની બેટી જરાય  હિંમત હારી નહીં. એ પગથી જ બધું કામ કરવા માંડી. સ્કૂલમાં  પણ પેન-પેન્સિલ પગની આંગળીઓમાં પકડી લખવા માંડી. 

ભણવામાં તેજસ્વી પાયલ એક પછી એક પડકારોના પગથિયાં ચડતી ગઈ અને આ વખતે એસએસસીની પરીક્ષામાં બધા જ વિષયોેમાં ૧૦૦-૧૦૦ માર્કસ મેળવી ૧૦૦ ટકા સાથે પાસ થઈ! હાથ વિના હજાર હાથવાળાના આશીર્વાદ મેળવી પગેથી પ્રગતિને પંથે આગળ વધતી પાયલની સિદ્ધિને બીરદાવતા કહેવું પડે કે-

ભલે હાથ ન આપે સાથ

પણ હૈયામાં જો હોય હામ,

તો પગેથી પ્રગતિ કરવામાં

સાથ આપે દિનાનાથ.

દીવાલ ચણી કર્યું

રસ્તા રોકો

હાઈવે પર વાહનો ધમસમતાં દોડતાં હોય અને કોઈ આંદોલન છેડાય ને રસ્તા-રોકો કરવામાં આવે ત્યારે થોડા સમય માટે ટ્રાફિક રૃંધાઈ જતો હોય છે. પરંતુ દેશમાં ક્યારેય ન બની હોય એવી ઘટના હમણાં બની. 

 હરિયાણામાં જમીનનું યોગ્ય વળતર ન મળતા ગુસ્સો ભરાયેલા એક ખેડૂતે પોતાના સાથીદારોની મદદથી હાઈવેની આડે મજબૂત દીવાલ ચણી દેતાં વાહન-વ્યવહાર ઠપ્પ થઈ  ગયો હતો.

કુરૂક્ષેત્ર પાસેના પહોવા ગામના બલવિંદર સિંહ અને પરિવારજનોને જમીનનું યોગ્ય વળતર આપવાનો ૨૦૧૩માં આદાલતે આદેશ આપ્યા પછી વળતર ન ચૂકવાતાં તેમણે 'દીવાલ ચણો' આંદોલન છેડયું હતું.  આને લીધે ટુ-વ્હીલર તો આસપાસનાં ખેતરોમાંથી રસ્તો કરીને આગળ વધી ગયા હતા, પણ  બાકી મોટરકાર અને બીજાં વાહનો અટવાઈ ગયાં હતાં. સત્તાવાળાઓએ સમજાવટ કર્યા પછી માંડ આ મામલો થાળે પડયો હતો.આ જોઈને એક જોડકણું કહેવાનું મન થાય-

વળતર માટે 'રસ્તા રોકો',

ભાષણબાજોને ભસતા રોકો.

લાફટર કલબવાળાને ખોટું 

હસતા રોકો.

ઉકળતો પતિ ન્યાય માટે વેચે ચાય

પતિ અને ચાની પત્તીના ભાગ્યમાં કાયમ ઉકળવાનું જ લખેલું હોય છે. એટલે જ પત્ની તરફથી કરવામાં આવેલા દહેજના આરોપના વિરોધમાં ઉકળી ઉઠેલા પતિદેવે શું કર્યું ખબર છે? પત્નીના  પિયરના ઘરની સામે ચાનો સ્ટોલ શરૂ કર્યો. નામ આપ્યું '૪૯૮-એ ટી કેફે'! ૪૯૮-એ દહેજ-વિરોધી કલમ છે. પછી તો પીડિત પતિદેવ માંડયો ચા વેચવા.  લગ્ન થયા ત્યારે પત્ની પ્રત્યે ચાહના હતી અને હવે એ ચાના કપ વેચે છે. તેનો દાવો છે કે પત્નીએ ખોટો આરોપ મૂકીને તેની જિંદગી વેરણછેરણ કરી નાખી છે. એટલે જ્યાં સુધી તેને ન્યાય નહીં મળે ત્યાં સુધી એ ચા વેચતો રહેશે.  સ્ટોલની ઉપર મોટા અક્ષરે તેણે સૂત્ર લખ્યું છેઃ 

જબ તક નહીં મિલતા ન્યાય,

તબ તક ઉબલતી રહેગી ચાય.

પંચ-વાણી

ભ્રષ્ટાચારી છે-તરી જાય

સદાચારી તરી જાય.

Tags :