Get The App

ચંદનચોર સામે રક્ષણ આપશે ચીપ્સ

- મેરા ભારત મહાન- અક્ષય અંતાણી

Updated: Dec 4th, 2020

GS TEAM

Google News
Google News
ચંદનચોર સામે રક્ષણ આપશે ચીપ્સ 1 - image


ચંદન સા બદન ચંચલ ચીતવન ધીરે સે તેરા યે મુસ્કાના..... દાયકાઓ વિત્યા છતા 'સરસ્વતી ચંદ્ર' ફિલ્મનું આ ગીત મનને ચંદન જેવી શળીળતા આપે છે. ચંદનનો ગુણ છે કે જાતે ઘસાઇ ને  બીજાને શીતળતા અનેસુવાસ આપવી. એટલે જ ચંદનને ભગવાના ભાલ પર સ્થાન મળ્યું છેને ? સદીઓથી ચંદનનો પૂજામાં તેમજ આયુર્વેદમાં ઉપયોગ થતો આવ્યો છે.

ચંદનના વૃક્ષના લાકડા ખૂબ કિમતી હોય છે. એટલે જ હાથીઓને હણનારો અને ચંદનના ઝાડ ચોરનારો વિરપ્પન ચંદનચોર તરીકે કુખ્યાત ખયો હતોને ? આ ચંદનના વૃક્ષોના લાકડાની ચોરી અટકાવવા માટે વનરક્ષકોએ ખૂબજ જહેમત ઉઠાવવી પડે છે. પણ આવનારા દિવસોમાં સાવ ઝીણી માઇક્રોચીપ્સની મદદથી ચંદનના ઝાડનું રક્ષણ થઇ શકશે. મૈસુરના ખેડૂતો ચંદનના ઝાડનું રક્ષણ કરી શકે માટે બેંગ્લોરથી ઇન્સ્ટિયટુટ ઓફ વુડ સાયન્સ એન્ડ ટેકનોલોજી અને હિટાચી ઇન્ડિયાએ સંયુકત રીતે આ માઇક્રોચીપ્સ બનાવી છે.

ખેડૂતો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ પાસેથી આ માઇક્રોચીપ્સ મેળવી પોતાના સ્માર્ટ મોબાઇલ સાથે કનેકટ કરશે અને એ માઇક્રોચીપ્સ ચંદનના ઝાડમાં દોઢ મીટર ઊંડે ગોઠવી  દેવાશે. આ માઇક્રોચીપ્સ સેન્સર આધારિત હોવાથી ચંદનચોર વૃક્ષને હાથ પણ લગાડશે કે તત્કાળ તે ખેડૂતને તેમજ જંગલ ખાતાના રક્ષકોને એલર્ટ કરશે. એટલે ચંદનના વૃક્ષને કાપીને લાકડા ચોરવાનો માફિયાઓ પ્રયાસ કરશે કે તરત જ ઝડપાઇ જશે. તામિલનાડુ અને રાઇચુરના ખેડૂતોએ તો પ્રાયોગિક ધોરણે આ માઇક્રોચીપ્સ ચંદનના ઝાડમાં  બેસાડવાની શરૂઆત પણ કરી દીધી છે. એટલે ટચુકડી ચીપ્સથી  રક્ષણ થશે. એટલે કહેવુ પડશે કે :

ચંદનના ઝાડને હાથ પણ

લગાડશે ચંદનચોર

તો ટચુકડી ચીપ્સ

મચાવશે શોર.

પાકિસ્તાનમાં ધમધમતું ગુજરાત

ગુજરાત રાજ્ય ભારતમાં આવેલું એક પ્રગતીશીલ રાજ્ય  છે. પણ કોઇ એમ કહે કે ગુજરાત પંજાબમાં આવેલું છે તો ખરેખર આશ્ચર્ય થાય પણ આ હકિકત છે, ગુજરાત પંજાબમાં આવેલું છે પણ દુશ્મન પાકિસ્તના  પંજાબમાં સૌથી વધુ ધમધમતા શહેરનું નામ છે ગુજરાત ભારતમાં મોગલો આવ્યા એ પહેલાં શેરશાહ સુરીએ આ ગામ વસાવ્યું હતું. એ વખતે શેરશાહે તેને પોતાના સુબા ખ્વાસ ખાનના નામ ઉપરથી ખ્વાસપુર નામ આપ્યું હતું. પરંતુ ત્યાર બાદ મોગલ શહેનશાહ અકબરે સ્થાનિક ગુર્જરોને  (૧૫૯૬-૯૭)માં સંખ્યામાં આ જગ્યાએ વસાવ્યા આવ્યા પરથી નામ પડયું ગુજરાત ગામ  ફરતે અકબરે ગઢ પણ બંધાવ્યો હતો. આમ ઉતરોતર ગુજરાતનો વિકાસ થયો. આખરે ૧૯૪૯માં સિખો-અંગ્રેજો વચ્ચેના ગુજરાતના યુધ્ધમાં  અંગ્રેજોના હાથમાં આવી ગયું ગુજરાતની ગણના આજે એક પ્રાચીન શહેરમાં થાય છે. હવે તો ગુજરાતને જિલ્લો બનાવી નાખવામાં આવ્યો છે.

પાકિસ્તાનના સૌથી મોટા શહેરોમાં  ગુજરાતનું સ્થાન છે. યુનિવર્સિટી ઓફ ગુજરાતની ગણના અગ્રગણ્ય યુનિવર્સિટીમાં થાય છે. મશહૂર ગઝલ અને લોકગીતોની ગાયીકા તસવ્વુર ખાનુમ જેણે દિલ મેં એક લહેર સી  ઉઠી હૈ અભી..... કોઇ તાઝા હવા ચલી હૈ અભી સહિત અનેક ગીતો ગાયા છે. તેણે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે 'મેં ગુજરાત કી ગુજરાતી હું' જોકે આપણાં ગરવા ગુજરાત સાથે તેને કોઇ સંબંધ નથી. પાકિસ્તાના પંજાબ પ્રાંતની મુખ્ય ભાષા પંજાબી છે અને ઊર્દૂ પણ બોલાય છે. 

કેન્દ્રની ભાજપ સરકારે પાક કબજા હેઠળના કાશ્મીર પાકિસ્તાનના કબજામાંથી મુકત કરી ભારત સાથે ભેળવી દેવાનો મક્કમ નિર્ધાર કર્યો જ છે. સિંધ બલુચીસ્તાનના મોટા ભાગના લોકો પણ ભારત સાથે આવવા માગે છે. આગ જો ભવિષ્યમાં ભાગલા પહેલાં હતું એવું અખંડ હિન્દુસ્તાન રચાય તો એક હિન્દુસ્તાનમાં  બે ગુજરાત જોવા મળશે, એવું મનોમન દરેક ભારતીય ઇચ્છતા હશે.

છત વગરના મંદિરની જેમ બારણા વગરના મંદિર બાંધી શકાય?

ઉપરવાલા જબ દેતા હૈ તો છપ્પર ફાડકે દેતા હૈ એવી કહેવત છે. પણ ઉપરવાળો બીજાને છાપરૂં ફાડીને આપતો હોય એનું પોતાનું જ મંદિર છાપરા વગરનું હોય એ જોઇને કેવી નવાઇ લાગે ? હિમાલયના બરફાચ્છાદિત પહાડોની વચ્ચે હિમાચલ પ્રદેશના મંડી જિલ્લામાં આવેલું છે. પાંડવાએ બાંધેલું મનાતું આ છત કે શિખર વગરનું મંદિર શિકારીદેવીના મંદિર તરીકે જાણીતું છે.

એવું રહેવાય છે કે કેટલાય દાયકાઓ પહેલાં સ્થાનિક પહાડી લોકો શિકાર કરવા નીકળે ત્યારે આ મંદિરમાં જઇ દેવીને પ્રાર્થના કરતા કે અમને શિકાર કરવામાં સફળતા મળે  એવાં આશીર્વાદ આપજે એટલે પછી નામ જ શિકારીદેવી મંદિર પડી ગયું. માર્કંડેય ઋષિએ પણ વર્ષો સુધી આ મંદિરમાં તપસ્યા કરી હતી એવું કહેવાય છે. આશ્વર્યની વાત છે કે શિયાળામાં ૩૩૫૯ મીટરની ઊંચાઇએ આવેલા મંદિરમાં ભારે હિમવર્ષા થાય ત્યારે પણ છત ન હોવા છતાં મંદિર પરિસરમાં બરફ જમા નથી થતો આસપાસનો પહાડી વિસ્તાર બરફની સફેદ આદરથી ઢંકાઇ જાય છે.

તાજેતરમાં લોકડાઉન વખતે મંદિરો સહિત તમામ ધર્મસ્થાનો બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. સાત-આઠ મહિના લોકડાઉનમાં બંધ રહેલાં મંદિરરો ફરી ખોલવા માટે અમૂક રાજ્યોમાં આંદોલન પણ થયા હતા. ત્યારે વિચાર આવે કે હિમાલયમાં જેમ છત વગરનું મંદિર છે એવી રીતે બારણાં વગરના મંદિરો કેમ બાંધી ન શકાય ? બારણા બંધ પણ ન કરવા પડે અને બારણા ખોલાવવા માટે રાજકીય પક્ષોએ આંદોલન પણ ન કરવા પડે આવું થાય તો મંગલ મંદિર ખોલો દયામય મંગલ મંદિર ખોલો..... એ પ્રાર્થના ફેરવીને ગાઇ શકાય મંગલ મંદિર ખુલ્લા દયામય મંગલ મંદિર ખુલ્લા.

ચોરનું પ્રાયશ્ચિત

ચોરી કરતા પાપ હૈ..... આ સુવાકય અવારનવાર વાંચ્યુ હશે. છતાં માણસો જાત જાતની ચોરી કરવામાં પાછું વાળીને જોતા નથી. માલેતુજારો. કર-ચોરી કરે છે, કોઇ પરણેલા પુરૂષને મોહજાળમાં લપટાવી તેની સાથે નાસી જઇ વર-મોટી કરે છે તો કોઇ ઘર ચોરી કરે છે. પોલીસને ચાંપડે ચોરીના હજારો કિસ્સા નોંધાતા રહે છે. પરંતુ મુંબઇના એક ઇલાકામાં તાજતેરમાં એક અજબ બનાવ બન્યો હતો. ચોરટાએ કોઇના ઘરમાં ખાતર પાડયું અને લગભગ પાંચ લાખની કિંમતના સોનાના દાગીના ચોરી પલાયન થઇ ગયો.

જેને ત્યાં ચોરી થઇ હતી તેણે પોલીસમાં ફરિયાદ કરી બે-ત્રણ દિવસ પછી એક આશ્ચર્યજની ઘટના બની ચોરટા ચૂપચાપ આવીને પાંચેપાંચ લાખના દાગીના ઘરમાં ફેંકીને પલાયન થઇ ગયા. આ ઘટનાની જાણ થતા પોલીસ તપાસ માટે આવી અને આ દાગીનાં પોતાના કબજામાં લીધા આ દાગીના પોતાના કબજામાં લીધા અને પંચનામું કરવા માટે પોલીસ સ્ટેશને લઇ ગઇ પોલીસ ફરિયાદીને કહેતા ગયા કે આ દાગીના પાછા મેળવવા તમારે  કોર્ટમાં દાવો કરવો પડશે. આવું છે, ચોરટાએ પાપનું પ્રાયશ્ચિત કરવા આભાર પરત કરેલા દાગીના પાછા મેળવવા હવે કોર્ટ-કચેરીના ધક્કા ખાવાના બોલો !

હાથીઓ 70મે વર્ષે નિવૃત

કોઇ સરકારી પબ્લિક સેકટર કંપની ખોટમાં ચાલતી હોય ત્યારે એમ કહેવાય છે કે આ કંપની સફેદ હાથી જેવી છે. જોકે પશ્ચિમ બંગાળમાં વન વિભાગ તરફથી કુમકી હાથીઓને સરકારી કર્મચારીઓનો દરજ્જો આપવામાં આવ્યો છે. મદદ માટે ફારસી શબ્દ છે. કુમક. એટલે વનખાતાને જુદી  જુદી ફરજ બજાવવામાં મદદરૂપ થતા કુમકી હાથીઓને ખાસ પ્રકારની તાલીમ આપીને તૈયાર કરવામાં આવે છે. તાલીમ લીધા પછી આ હાથીબાબુઓ જંગલમાં ઘૂમીને વિવિધ પ્રકારની ફરજ  બજાવે છે. જંગલમાં ઘૂમતા આ હાથીશ્રીઓ કોઇ આફત આવે ત્યારે ચિંઘાડ કરીને વનરક્ષકોને સતર્ક કરે છે.

પૂરની સ્થિતિમાં આ હાથીઓ દૂર દૂરના વિસ્તારમાં પહોંચી પૂરગ્રસ્તોની સહાય કરે છે. જંગલમાં કોઇ હાથી ગાંડો થાય અને ઊધમ મચાવે ત્યારે તેને કન્ટ્રોલ કરવાનું કામ પણ આ સરકારની હાથીઓ બજાવે છે. આ હાથીઓની ખાણાંની અને માંદા પડે  ત્યારે દવાદારૂ અપાવાની ફરજ વન વિભાગ બજાવે છે. આ હાથીઓની રિટાયરમેન્ટ એજ ૭૦ નક્કી કરવામાં આવી છે. નિવૃત્ત થયેલા હાથી પાસેથી કોઇ કામ નથી લેવાતું. વન વિભાગ તેની સંભાળ રાખે છે.

આ સરકારી હાથીઓનું સુખ એ છે કે કયારેય વધુ પગારની માગણી સાથે વાવટા ફરકાવી આંદોલન નથી કરતા, કયારેય કામચોરી નથી કરતા, સોંપેલું  કામ ટાઇમસર પૂરૂં કરે છે અને સૌથી મોટી વાત એ છે કે હાથીબાબુઓ કયારેય લાંચ નથી માગતા નથી અપાતું, પણ જીવે ત્યાં સુધી વનવિભાગે તેની સારસંભાળી લેવી પડે છે. આ જોઇ કહેવતને ફેરવીને કહેવી પડે કે :

કિડીને કણ અને

હાથીને હારો

નિવૃત્ત થયા બાદ

આરામનો વારો

પંચ - વાણી

વડીલો પોતાના વિલથી

વારસોને નચાવે એને જ

કહેવાય : વિલ-પાવર

Tags :