મહેસાણા,તા.31
મહેસાણા જિલ્લાના વિજાપુર શહેરમાં આવેલા ટીબી હોસ્પિટલ
વિસ્તારમાથી સાત વર્ષ અગાઉ અમદાવાદના એક શખસનું અપહરણ કરી હત્યા કરવાની ઘટના બની
હતી. આ કેસમાં સંડોવાયેલા ત્રણ આરોપીઓને સેસન્સ કોર્ટે દોષિત ઠેરવીને આજીવન કેદની
સજા અને પ્રત્યેકને રૃ.૧૦ હજારનો દંડ ફટકાર્યો હતો.
અમદાવાદમાં રહેતા જીતેન્દ્રકુમાર ડાહ્યાભાઈ બારોટને ધંધામાં
ખોટ જતાં વર્ષ ૨૦૧૪માં વિજાપુરના ટીબી વિસ્તારમાં આવેલી મહાલક્ષ્મી સોસાયટીમાં એક
સંબંધીના ઘરે પંદરેક દિવસથી રહેતા હતા.તા.૧૮-૩-૨૦૧૪ના રોજ તેઓ પોતાના દિકરા સાથે
કામઅર્થે રોડ પર ગયા હતા. તે વખતે બે કારમાં જીગ્નેશ ભોગીલાલ પટેલ સહિત સાતેક શખસો
તેમની પાસે આવ્યા હતા.તેમણે પૈસાની ઉઘરાણીના મામલે તેઓને કારમાં બેસી જવાનું કહેતા
રકઝક થઈ હતી.જેથી એક આરોપીએ છરી મારી દઈ બળજબરીથી જીતેન્દ્રભાઈને કારમાં બેસાડી
પુત્રની સામે જ અપહરણ કરીને લઈ ગયા હતા.રસ્તામાં તેઓની હત્યા કરી નાંખી હતી અને
લાશને મહેસાના નુગર-મગુના ગામની સીમમાં ફેંકી દઈ આરોપીઓ ફરાર થઈ ગયા હતા.આ કેસની
તપાસ વિજાપુર પોલીસે કરીને આરોપીઓની ધરપકડ કરી હતી. જોકે,જેલવાસ ભોગવી
રહેલા આરોપીઓ પૈકી જીગ્નેશ પટેલ,
ભરત પટેલ અને અલ્પેશ પટેલ પેરોલ જમ્પ કરીને ફરાર થયા હતા.બાદમાં પોલીસે તેમને
ઝડપી લેતાં ત્રણેય આરોપીઓની સુનાવણી મહેસાણા સેસન્સ કોર્ટના જજ એ.એલ.વ્યાસ સમક્ષ
ચાલી ગયો હતો. જેમાં સરકારી વકીલ અશોક એસ.મકવાણાની દલીલોના આધારે અદાલતે ત્રણેય
આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા અને આજીવન કેદની સજા તેમજ પ્રત્યેકને રૃ.૧૦ હજારના
દંડનો હુકમ કર્યો હતો.
આજીવન સજા પામેલ
આરોપીઓ
૧. જીગ્નેશ ભોગીલાલ પટેલ રહે,અંબિકા સોસાયટી,વિસનગર
૨. ભરત પ્રભુદાસ પટેલ રહે,ગાંભુ,તા.બહુચરાજી
૩. અલ્પેશ રમેશભાઈ પટેલ રહે,અંબિકા સોસાયટી,વિસનગર


