મહેસાણા પૂર્વ સાંસદના પુત્ર સહિત બે વ્યક્તિઓનો પોઝિટીવ રીપોર્ટ આવ્યો
- જિલ્લામાં કોરોના પોઝિટીવ દર્દીઓ 104 થયા
- સેફ્રોની કોટેજમાં રહેતા અને છઠિયારડાના યુવાન કોરોનામાં સપડાયા, આરોગ્ય તંત્રમાં દોડધામ
મહેસાણા તા.31 મે 2020, રવિવાર
મહેસાણા જિલ્લામાં રવિવારે કોરોના ગ્રસ્ત બે દર્દીઓના રીપોર્ટ પોઝિટીવ આવતા કુલ આકડો ૧૦૪ થવા માપ્યો છે. જેમાં લિંચ ખાતે આવેલ સેફ્રોની કોટેજમાં રહેતા રાજ્ય સભાના પૂર્વ સાંસદના યુવાન પુત્ર તેમજ છઠિયારડાના યુવાનનો સમાવેશ થાય છે. મહેસાણા જિલ્લામા અત્યાર સુધી ૭ દર્દીઓના મોત થયા છે. જ્યારે ૭૪ વ્યક્તિઓ સાજા થતા તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
મહેસાણા જિલ્લામાં કોરોનાનો કહેર હજુ યથાવત રહેવા પામ્યો છે. લોકડાઉન ૦૪માં અનેક વિધ છુટછાટો આપવામાં આવી છે. અન્ય જિલ્લામાં રહેતા લોકો મહેસાણા જિલ્લામાં આવી રહ્યા છે. જેના કારણે કોરોના સંક્રમણનું જોખમ વધ્યું છે. રવિવારે જિલ્લામાં કોરોના પોઝિટીવ વધુ બે કેસો ઉમેરાયા છે. જેમાં રાજ્ય સભાના પૂર્વ સાંસદ અને ભાજપના અગ્રણી સ્વ. જેતીલાલ બારોટના પુત્ર તરૃણ બારોટ(૪૮ વર્ષ)ને એક સપ્તાહથી તાવ આવતો હોવાનું જાણવા મળે છે. જેઓના સેમ્પલ લેવાતા તેમનો રીપોર્ટ કોરોના પોઝિટીવ આવ્યો હતો. તેમજ એક ગુનામાં પકડાયેલા મહેસાણા તાલુકાના છઠિયારડા ગામના સુરેજી ગોબરજી ઠાકોર (૪૮ વર્ષ)નો રીપોર્ટ પણ પોઝિટીવ આવ્યો છે.મહેસાણા જિલ્લામાં શનિવારના રોજ કુલ ૫૦ વ્યક્તિઓના આરોગ્ય તંત્ર દ્વારા સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેઓનો રવિવારે રીપોર્ટ આવતા બેનો રીપોર્ટ પોઝિટીવ અને બેનો રીપોર્ટ નેગેટીવ આવ્યો છે. જ્યારે ૪૬ વ્યક્તિઓના રીપોર્ટ હજુ પેન્ટીગ રહ્યા છે. હાલ ૨૧ કોરોના ગ્રસ્ત દર્દીઓ કોવિડ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. શનિવારે વડનગરની સિવિલ હોસ્પિટલમાંથી સાજાથયેલા ત્રણ દર્દીઓને રજા આપવામાં આવતા અત્યાર સુધી ડિસ્ચાર્જ દર્દીઓની સંખ્યા ૭૪ થઇ છે. મહેસાણા જિલ્લમાં કોરોના ગ્રસ્ત દર્દીઓની સંખ્યા ૧૦૪ ઉપર પહોંચી છે.