ઊંઝામાં સરકારી અનાજ સગેવગે કરવાના કૌભાંડમાં ત્રણ દિવસના રીમાન્ડ
- સરકારી અનાજ વેચીને પ્લાસ્ટિક ખરીદ્યાનું પણ ગ્રામ્ય લેવલે ચર્ચાઓઃ અનેકની સંડોવણી ખુલશે
ઝા, તા. 13 જૂન 2020, શનિવાર
ઊંઝામાં સરકારી અનાજ સગેવગે કરવાના છ આરોપીઓની સઘન પુછપરછ માટે ઊંઝા પોલીસે ત્રણ દિવસના રિમાન્ડની માગણી કરી છે. છેલ્લા એક અઠવાડિયાથી બહુચર્ચિત અનાજ કૌભાંડના આરોપીઓનું સરકારી ગાઈડલાઈન મુજબ મેડિકલ ચેકઅપ કરાવવામાં ખાસ્સો સમય પસાર થયા બાદ અટકાયત કરવામાં આવી હતી.
ઊંઝાના કેટલાક રાશન ડિલરોની દુકાનોથી સરકારી ગોડાઉનના કર્મચારીઓની મીલીભગતથી ચાલતા કૌભાંડમાં ઝડપાયેલા ગોડાઉન મેનેજર સંજય માધુભાઈ વાઘેલા, કોમ્પ્યુટર ઓપરેટર પરમાર વિજય, બાબુભાઈ, કહોડામાં આવેલી પારસ ફ્લોર ફેક્ટરીના માલીક રમેશ તળશીભાઈ પટેલ (ચંદ્રાવતી) તથા માલની હેરાફેરી નેટવર્ક ગોઠવી ગોઠવી આપનાર સુરેશ માધુભાઈ પટેલ અને તેમાં મદદ કરનાર ટ્રક ડ્રાઈવર બાબુજી ચંદનજી ઠાકોર અને ગણેશ નોલજી સાડીવાલની ગઈકાલે મોડી રાત્રે ધરપકડ કર્યા બાદ આજે વધુ તપાસ માટે ત્રણ દિવસની રીમાન્ડની માગણી કરવામાં આવી હોવાનું પીઆઈ ભાવેશભાઈ રાઠોડે જણાવેલ છે.
બીજી તરફ કોરોનાની મહામારીમાં લોકડાઉન સમયે સરકારે એપીએલ, બીપીએલ સહિત મોટેભાગે તમામ કાર્ડધારકોને વિનામુલ્યે અનાજ વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાંથી કેટલાક સુખી, સંપન્ન વર્ગ પણ પોતાનો અધિકાર સમજીને અનાજ ઘરે લઈ ગયા પછી તે અનાજ વેચીને પ્લાસ્ટિકના ઘરગથ્થુ મળતા સાધનોનો ખરીદવામાં ઉપયોગ થઈ રહ્યો હોવાની પણ વ્યાપક રાવ ખાસ કરીને ગ્રામ્ય પંથકમાં ઉઠી છે. ગામડાઓમાં પ્લાસ્ટિકના ઘરગથ્થુ ડોલ, તબકડા, ડબા સહિતની ચીજો વેચતી ટોળકીઓ આ પ્રકારના સરકારી ઘઉઁના બદલે ઉપરોક્ત ચીજો આપતી હોવાનું ચર્ચાસ્પદ બન્યું છે.