ઐઠોરના ખેડૂતોએ તરબૂચની ખેતી કરી નવી પેઢીને નવી દિશા બતાવી
- એક એકરમાં 400 મણ તરબૂચનું ઉત્પાદન થતાં આ પંથકના ખેડૂતોમાં આનંદ છવાયો
ઊંઝા, તા. 28 એપ્રિલ 2019, રવિવાર
ઊંઝા તાલુકાના ઐઠોરના ખેડૂતે પરંપરાગત ખેતી છોડીને સૌ પ્રથમવાર તરબૂચની ખેતીમાં સફળતા મેળવતા પ્રેરણારૃપ બન્યા છે. આ અગાઉ ગલગોટાની ખેતી કરીને પણ વળતરરૃપ ખેતી ધંધો હોવાનું પુરવાર કરી નવી પેઢીને નવી દિશા આપવાનો સફળ પ્રયાસ કર્યો છે.
ઊંઝા તાલુકાના ઐઠોરના જગદીશભાઈ તથા સતીષભાઈ ચૌધરી બંધુઓએ તરબૂચની ખેતીનો નવતર પ્રયોગ કર્યો છે. બાગાયત ખાતાના માર્ગદર્શન હેઠળ ટપક સિંચાઈ પધ્ધતિ દ્વારા એક એકર જમીન ઉપર તરબૂચની કેતી પ્રથમવાર કરી છે. આ માટે એક એકરદીઠ વીશ હજારનો ખર્ચ થયો છે. ઊંઝા પંથકમાં પાણીમાં ટીડીએસનું પ્રમાણ વધારે હોવાથી તરબૂચની કેતી માટે યોગ્ય નહોતું તેમ છતાં મલ્લિંગ પધ્ધતિથી તરબૂચના બીજનું વાવેતર કરી જોખમ સાથે પ્રયોગ કર્યો હતો. જોકે બીજ અંકુરિત થતાં પ્રાથમિક તબક્કે સફળતા મળી છે. તરબૂચની ખેતીમાં ઓછામાં ઓછા ૭૦ દિવસની જરૃરિયાત રહે છે. જગદીશભાઈને પ્રથમ તબક્કે એક એકરમાં ૪૦૦ મણ તરબૂચ પાક થવાની અપેક્ષા છે. એટલે કે ૧૫૦ ગ્રામ તરબૂચના સીડમાંથી ૪૦૦ મણ પાક મળશે. તરબૂચની ખેતી ખેડૂતો માટે ફાયદારૃપ રહે તે પુરવાર કરેલ છે.
આ અગાઉ જગદીશભાઈએ બાગાયત ખાતાના માર્ગદર્શન હેઠળ ગલગોટાની કરેલી ખેતીમાં સવા લાખ રૃપિયાનો ફાયદો થયો હોવાનું જણાવ્યું હતું. જોકે ખેતીમાં નવતર પ્રયોગો માટે સરકાર ખેડૂતોને પ્રોત્સાહન મળે તે માટે આપવામાં આવતી સબસીડીમાં ઢીલી નીતિને કારણે ખેડૂતો પરેશાન થાય છે અને ખેતીથી વિમુખ પણ થવાના કિસ્સા બનતા હોય છે. જોકે ઐઠોરના ખેડૂતે સાહસ અને ધીરજ સાથે ખેતીમાં નવીનતા લાવતા અન્ય ખેડૂતો માટે પ્રેરણારૃપ બન્યા છે.