Get The App

બહુચરાજી મંદિરનો ચૈત્રી પૂનમનો મેળો બીજા વર્ષે મોકૂફ રખાયો

- પદયાત્રી, સંઘ કે કોઈપણ રથ સાથે યાત્રીકોએ આવવું નહી

- દર વર્ષે 4 દિવસનો મેળો ભરાય છેઃ દરેક શ્રધ્ધાળુને ઘરે જ માતાજીની પૂજા-અર્ચના કરવા અપીલ

Updated: Apr 27th, 2021

GS TEAM


Google News
Google News
બહુચરાજી મંદિરનો ચૈત્રી પૂનમનો મેળો બીજા વર્ષે મોકૂફ રખાયો 1 - image

ચાણસ્મા,તા.26

મહેસાણા જિલ્લાના પવિત્ર યાત્રાધામ બહુચરાજી ખાતે તા.૨૭-૪-૨૧ને મંગળવારના રોજ ચૈત્રી પૂનમ હોઈ હાલની કોરોના મહામારીને ધ્યાને લઈ બેચર-બહુચરાજીના તમામ બજારો સંદતર બંધ રાખવાનો નિર્ણય ગ્રામ પંચાયત દ્વારા લેવામાં આવ્યો છે.

આ અંગે સ્થાનિક ગ્રામ પંચાયતના સરપંચ દેવાંગ પંડયાએ જણાવ્યું કે, ચૈત્રી પૂનમે શ્રધ્ધાળુઓની ભીડ થતી હોઈ લોકોમાં કોરોના સંક્રમણ ફેલાવવાનું જોખમ રહેલું છે. આથી લોકોની સુરક્ષાને ધ્યાને લઈ ચૈત્રી પૂનમને મંગળવારના રોજ બેચર-બહુચરાજી ગ્રામ પંચાયત વિસ્તારની તમામ દુકાનો બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. જેમાં જમવા માટે હોટલ દ્વારા પાર્સલ સુવિધા આપી શકશે. જ્યારે દવાની દુકાનોને બંધમાંથી મુક્તિ અપાઈ છે. બંધ દરમિયાન કોઈપણ વ્યક્તિ મંદિર પરિસર બાજુ જઈ શકશે નહી. પદયાત્રીઓ, સંઘ કે કોઈપણ જાતના રથ સાથે પૂનમે બહુચરાજી આવવું નહી. દરેક શ્રધ્ધાળુ ઘર આંગણે જ માતાજીની પૂજા-અર્ચના કરી કોરોના મહામારીથી વિશ્વનું રક્ષણ કરે તેવી પ્રાર્થના કરવા વિનંતી છે.ઉલ્લેખનીય છે કે ચૈત્રી પૂનમે મા બહુચરનો પ્રાંગટયોત્સવ હોઈ દર વર્ષે ચૈત્ર સુદ-૧૩થી વદ એકમ સુધી ભરાતા ચાર દિવસના મહામેળામાં ૧૫ લાખથી વધુ શ્રધ્ધાળુઓ દર્શન માટે ઉમટી પડતા હોય છે. પરંતુ કોરોના મહામારીને લઈ સતત બીજા વર્ષે આ મેળો રદ્દ કરવામાં આવ્યો છે. જ્યારે પૂનમની રાત્રે શંખલપુર ટોડા બહુચરાજી માતાજીના મંદિરે જતી પરંપરાગત સવારી આ વર્ષે માત્ર બહુચરાજી મંદિર પરિસરમાં પુજારીઓ દ્વારા ફેરવવાનો નિર્ણય લેવાયો છે.

Tags :