બહુચરાજી મંદિર 13મીથી 30 એપ્રિલ સુધી દર્શન માટે બંધ રહેશે
- કોરોના મહામારી રૌદ્ર સ્વરૃપ ધારણ કરતાં
- ચૈત્ર મહિનામાં ચૌલક્રિયા, પુનમનું વિશેષ મહત્વ છે: શ્રધ્ધાળુઓની ભીડ ન ઉમટે તે માટે નિર્ણય લેવાયો
ચાણસ્મા,તા.12
મહેસાણા જિલ્લાના પવિત્ર યાત્રાધામ બહુચરાજી ખાતે આવેલું
બહુચર માતાજીનું મંદિર પ્રવર્તમાન કોરોના મહામારીને લઈ તા.૧૩ એપ્રિલથી તા.૩૦
એપ્રિલ સુધી દર્શન માટે બંધ રાખવાનો નિર્ણય મંદિર ટ્રસ્ટ દ્વારા લેવાયો છે. જેને
લઈ આવતીકાલ મંગળવારતી ૩૦એપ્રિલ સુધી મંદિરના દ્વાર સદંતર બંધ રહેશે. જોકે માતાજીની
સેવા-પૂજા નિત્યક્રમ મુજબ માત્ર પુજારીઓ દ્વારા કરવામાં આવશે.
ગુજરાત રાજ્યમાં એપ્રિલ મહિનાની શરૃઆતથી કોરોના મહામારીએ
તેનુ રૌદ્ર સ્વરૃપ બતાવતાં રોજેરોજ કોરોના કેસ રેકોર્ડબ્રેક થઈ રહ્યા છે. ત્યારે
યાત્રાધામ બહુચરાજીમાં ચૈત્ર મહિનામાં ચૌલક્રિયા અને પૂનમનું ખૂબ મહત્વ હોઈ હજારો
લોકો આ મહિનામાં બહુચર માતાજીના દર્શનાર્થે પધારતા હોય છે. જેને લઈ શ્રધ્ધાળુઓની
ભારે ભીડ જામતી હોય છે. આ સંજોગોમાં હાલમાં કોરોના સંક્રમણ ન ફેલાય તે માટે શ્રી
બહુચરાજી માતાજી ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા ચૈત્ર સુદ એકમ તા.૧૩ થી ચૈત્ર વદ ચોથ
તા.૩૦-૪-૨૦૨૧ સુધી બહુચર માતાજીનું મુખ્ય મંદિર તેમજ મંદિર હસ્તકના તમામ મંદિરો
દર્શન માટે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. ઉલ્લેખનીય છે કે બહુચરાજી ધામમાં જ
શનિવારે ૫ તેમજ રવિવારે ૯ મળી કુલ ૧૪ કોરોના કેસ નોંધાયા હતા.
વહિવટદારે અપીલ કરતાં જણાવ્યું હતું કે કોરોના મહામારીની આ
પરિસ્થિતિમાં બિનજરૃરી બહાર ના નીકળવું,
સામાજીક અંતર જાળવવું,
માસ્ક ફરજિયાત પહેરવું તેમજ વારંવાર હાથની સફાઈ કરતા રહેવું તથા સરકારની
કોવિડ-૧૯ની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવા અનુરોધ કર્યો છે.