બહુચરાજી અને શંખલપુર મંદિર રંગબેરંગી રોશનીથી ઝળહળ્યું
- દિવાળી અને નવા વર્ષ નિમિતે આકર્ષણ
- વડોદરાના રાજવીએ અર્પણ કરેલી સુવર્ણ થાળીમાં દર વર્ષે માતાજીને રાજભોગ ધરાવવાની પરંપરા
ચાણસ્મા તા. 15 નવેમ્બર 2020,રવિવાર
દીપોના તહેવાર દિવાળી મહાપર્વ નિમિતે આજે યાત્રાધામ
બહુચરાજી અને શંખલપુર મંદિરને નયમરમ્ય રોશનીથી શણગારવામાં આવ્યું છે. જેને લઇ
રાત્રીના સમયે આકાશમાંથી તારલા નીચે ઉતર્યા હોય તેવો દિવ્ય અને ભવ્ય માહોલ રચાતાં
સ્થાનિકો અને યાત્રિકો આ દિવ્ય નજારાને માણવા ઉમટી પડે છે.
હિન્દુઓના સૌથી મોટા અને મહત્વના દિપાવલી પર્વ નિમિતે
રવિવારે વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓ યાત્રાધામ બહુચરાજી ખાતે દર્શન માટે ઉમટી પડયા
હતા. અહી દર્શન માટે દિવસભર ભક્તોનો ઘસારો જોવા મળ્યો હતો. જ્યારે બપોરે બહુચર
માતાજીને સુવર્ણ થાળીમાં રાજભોગ ધરાવવામાં આવ્યો હતો. વડોદરાના રાજવી માનાજીરાવ
ગાયકવાડે ભેટ અર્પણ કરેલી સુવર્ણથાળીમાં માતાજીને વર્ષમાં માત્ર દિવાળી અને બેસતા
વર્ષના દિવસે જ રાજભોગ ધરાવાય છે. આજે શ્રી માતાજીના રાજભોગના દર્શન માટે
શ્રદ્ધાળુઓનો ભારે ઘસારો જોવા મળ્યો હતો. આ પાવન પળના દર્શન કરી અનેક માઇભક્તો
ધન્ય બન્યા હતા. દિવાળી પર્વને લઇ ઉત્તર ગુજરાત, અમદાવાદ,
ચરોતર, સહિતના
સૌરાષ્ટ પંથકમાંથી હજારો શ્રદ્ધાળુઓ દર્શન માટે ઉમટી પડતાં મૌયાનું મંદિર પરિસર
બોલ માટી બહુચર જય જય બહુચરના જયઘોષથી ગુંજતું રહ્યું હતું.