બીલોદરામાં હડકાયાં વાંદરાનો આતંકઃપાંચને બચકાં ભરી લીધા
- સ્થાનિકકક્ષાએથી વાંદરાને પકડવા કોઇ પગલા નહીં ભરવાને કારણે ગ્રામજનોમાં રોષની સાથે ભયની લાગણી
ગાંધીનગર, તા. 25 જુલાઇ 2020, શનિવાર
કોરોના મહામારી વચ્ચે લોકડાઉનની અસર રહેણાંક વિસ્તારની આસપાસના વન્યજીવો ઉપર પણ પડી છે. ખોરાકની શોધમાં સમુસામ વિસ્તારને પગલે આ પ્રાણી-પક્ષીઓ માનવ વસાહતોમાં ઘૂસી ગયા છે અહીં ત્યારે વાંદરા અને નીલગાયનો રહેણાંક વિસ્તારમાં આતંક પણ વધતો જઇ રહ્યો છે. આવી સ્થિતિમાં માણસાના બીલોદરા ગામમાં એક હડકાયાં વાંદરાએ પાંચથી વધુ ગ્રામજનોને બચકાં ભર્યા છે ત્યારે આ વાંદરાને પકડવા માટે માંગ ઉઠવા પામી છે.
કોરોનાકાળમાં સરકાર દ્વારા કરવામાં આવેલા લોકડાઉનની અસર માણસો ઉપર જ નહીં પરંતુ પશુ-પક્ષીઓ ઉપર પણ પડી છે.વનવિસ્તારના પ્રાણી અને પક્ષીઓએ નગર તરફ કુચ કરી છે તો અહીં માણસ સાથે વન્યપ્રાણીઓના ઘર્ષણના બનાવો પણ વધ્યા છે. ત્યારે ખાસ કરીને માનવ વસાહતમાં વાંદરા, નીલગાયનો આતંક વધતો જાય છે. ગાંધીનગર શહેર અને જિલ્લામાં રહેણાંક વિસ્તારમાં વાંદરા તથા નીલગાયની ઘૂસણખોરી વધી ગઇ છે ત્યારે તેમના નિયંત્રણ માટે સ્થાનિક કોઇ વ્યવસ્થા નહીં હોવાને કારણે આ પ્રાણીઓ માણસ ઉપર હુમલા કરતા પણ થયા છે. ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકામાં આવેલા બીલોદરા ગામના રહેણાંક વિસ્તારમાં વાંદરાનો આતંક છેલ્લા ૧૫ દિવસથી સ્થાનિકો હેરાન-પરેશાન થઇ ગયા છે. ગામમાં એકલ-દોલક જતા વ્યક્તિઓ ઉપર આ વાંદરો હુમલો કરે છે એટલુ જ નહીં, નખોરીયા અને બચકા ભરીને આ વાંદરો ભાગી જાય છે. નાના બાળકથી લઇને મોટાઓને પણ આ વાંદરાએ બચકાં ભર્યા છે ત્યારે છેલ્લા ત્રણ જ દિવસમાં વાંદરાએ પાંચ વ્યક્તિઓને બચકાં ભર્યા છે આવી સ્થિતિમાં ગ્રામજનોમાં આ વાંદરાને લઇને ભારે ફફડાટ ફેલાય છે આ ઉપરાંત સ્થાનિકકક્ષાએ વાંદરાના આતંક અંગે વારંવાર રજુઆતો કરવા છતા કોઇ પગલાં લેવામાં આવ્યા નથી જેને કારણે ગ્રામજનોમાં રોષની લાગણી પણ ફેલાઇ છે ત્યારે વન વિભાગ દ્વારા આ હડકાયાં વાંદરાને પકડવા માટેની કાર્યવાહી કરે તે માટે માંગણી ઉઠી છે.