ભાટ-કોટેશ્વર અને રાંચરડામાં કરાયેલા 530 ટેસ્ટમાંથી 3 કોરોના પોઝિટિવ
- કોરોનાના દર્દીઓ શોધવા હવે ગાંધીનગર જિલ્લામાં માસ સ્ક્રિનીંગ શરૂ કરાયું, સોસાયટીઓમાં જઇને રહિશોના સેમ્પલ લેવાશે
ગાંધીનગર, તા. 9 ઓગસ્ટ 2020, રવિવાર
કોરોનાની દ્રષ્ટીએ સંવેદનશીલ વિસ્તાર છે તેમાં આરોગ્ય તંત્રએ માસ સ્ક્રિનીંગ કરવાનું નક્કી કર્યું છે જેના ભાગરૂપે ગઇકાલે ભાટ-કોટેશ્વર તથા રાંચરડાની સોસાયટીઓમાં જઇને ત્યાંથી કુલ ૫૨૦ જેટલા રહીશોના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જે પૈકી ફકત ત્રણ સેમ્પલ પોઝિટિવ આવ્યા હતા એટલે કે પર૦ રહીશોના સેમ્પલમાંથી ત્રણ રહીશો પોઝિટિવ છે તેમ કહી શકાય.
કોરોનાના દર્દીઓને શોધવા માટે હવે માસ સ્ક્રિનીંગનો વિકલ્પ જિલ્લા આરોગ્ય તંત્રએ પસંદ કર્યો છે સંવેદનશીલ વિસ્તારમાં સોસાયટીઓમાં જઇને શંકાસ્પદ તથા અન્ય રહિશોના સેમ્પલ લઇને તેને પરીક્ષણમાં મુકવામાં આવે છે. પાયલોટ પ્રોજેક્ટના ભાગરૂપે ગાંધીનગર તાલુકાના ભાટ-કોટેશ્વર તથા રાંચરડાને પસંદ કરવામાં આવ્યો હતો. અહીં આરોગ્ય કર્મીઓ દ્વારા પીપીઇ કિટ પહેરીને સોસાયટીઓ અને ફ્લેટમાં ગયા હતા અને રાંચરડામાં ૨૦૦ જ્યારે ભાટ-કોટેશ્વરમાંથી કુલ ૩૨૦ શંકાસ્પદોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા આ ત્રણેય જગ્યાએ એક -એક પોઝિટિવ દર્દીઓ મળી આવ્યા છે. જેમને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે ત્યારે આગામી દિવસોમાં પણ આવી રીતે માસ સ્ક્રિનીંગનો પ્રયોગ કરવામાં આવશે અને કોરોનાના છુપાયેલા દર્દીઓને શોધી કાઢીને ચેપી વાયરસ ફેલાતો અટકાવવામાં આવશે. કેસ ભલે વધે પરંતુ આમ કરવાથી એક સાથે સોસાયટીમાં સ્ક્રિનીંગ થઇ જાય છે અને સમયસર પોઝિટિવ દર્દીને સાર-સંભાળ પણ મળી જાય છે જેથી પોઝિટિવ દર્દી પણ ઝડપથી ક્યોર થઇ શકે છે. તો બીજીબાજુ રોગચાળો ફેલાતો પણ અટકે છે.
ઉલ્લેખનીય છે કે, કુલ ૫૩૦ ટેસ્ટીંગમાંથી ત્રણ પોઝિટિવ દર્દીઓ મળ્યાં છે. ત્યારે હવે આગામી દિવસોમાં સંવેદનશીલ જણાતાં વિસ્તારમાં જ આવી રીતે માસ્ક સ્ક્રિનીંગ કરવામાં આવશે અને સોસાયટીમાં જઇને રહિશોના સેમ્પલ ટેસ્ટીંગ માટે મોકલી આપવામાં આવશે.