સે-4ના વૃધ્ધા અને ખોરજમાં યુવાન કોરોના સામે જંગ હાર્યાઃશહેર-જિલ્લામાં નવા ૧૭ કેસ
ગાંધીનગર, તા. 21 જૂન 2020, રવિવાર
ગાંધીનગર શહેર અને જિલ્લામાં કોરોનાના પોઝિટિવ દર્દીઓ દિવસે અને દિવસે વધી રહ્યાં છે ત્યારે મોતનો આંકડો પણ ચિંતાજનક રીતે વધી રહ્યો છે. ગાંધીનગર શહેરમાં સેક્ટર-૪માં રહેતાં ૬૨ વર્ષિય વૃધ્ધાનું આજે કોરોનાથી મોત થયું છે. ત્યારે આ વૃધ્ધાની ૩૮ વર્ષિય પુત્રી પણ કોરોનામાં સપડાઇ છે. આ ઉપરાંત પાટનગરમાં નવા છ કેસ મળી આવ્યાં છે. જ્યારે જિલ્લામાં વધુ દસ કેસ ઉમેરાયાં છે. જેમાં સોલા સિવિલમાં દાખલ ખોરજના યુવાનનું આજે મોત નિપજ્યું છે.
ગાંધીનગર શહેરના સેક્ટર-૪માં રહેતાં ૬૨ વર્ષિય વૃધ્ધાને તાવ સહિતના લક્ષણો જણાતાં તારીખ ૧૩ જુનના રોજ ગાંધીનગર સિવિલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. આ વૃધ્ધા કોરોના સામેની લડાઇ હારી ગયા હતા અને આજે સવારે તેમને છેલ્લો શ્વાસ લીધો હતો. આ વૃધ્ધાની ૩૮ વર્ષિય પુત્રી પણ ગઇકાલે પોઝિટિવ આવી હતી. ત્યારે આજે ગાંધીનગર શહેરમાંથી નવા છ કેસ પોઝિટિવ મળી આવ્યાં છે. ગાંધીનગર શહેરના ૩૦ સેક્ટરોમાંથી ફક્ત સે-૨૫માં જ અત્યાર સુધી એક પણ પોઝિટિવ કેસ મળ્યો ન હતો. ત્યારે આજે સેક્ટર-રપ સુર્યનારાયણ સોસાયટીમાં રહેતું દંપતિ કોરોનામાં સપડાયું છે. ૫૭ વર્ષિય પતિ સેક્ટર-૨૫ની જીઆઇડીસીમાં નોકરી કરે છે. જ્યારે ઘરના ત્રણ સભ્યોને કવોરેન્ટાઇન કરવામાં આવ્યાં છે. તો સેક્ટર-૩/ડીમાં અગાઉ પોઝિટિવ આવેલી પુત્રવધુની ૬૬ વર્ષિય સાસુ સંક્રમિત થઇ છે. સેક્ટર-૨૩ માંગલ્ય ફલેટમાં રહેતી ૩૯ વર્ષિય મહિલા જે સેક્ટર-૬ના શૈક્ષણિક ઇન્સ્ટીટયુટમાં કામ કરે છે તેણી કોરોનાથી સંક્રમિત થઇ છે. સેક્ટર-૨૬ ગ્રીનસીટીમાં અગાઉ પોઝિટિવ આવેલાં પતિની પ૦ વર્ષિય પત્નિ પોઝિટિવ આવી છે. જ્યારે સેક્ટર-૨૦માં રહેતા અને સામાન્ય વહિવટી વિભાગના ૪૨ વર્ષિય અધિકારી કોરોનાથી સંક્રમિત થયાં છે. તેમને આસ્કા હોસ્પિટલમાં દાખલ કરીને સારવાર આપવામાં આવી રહી છે.
પાટનગરને અડીને આવેલા વાવોલ ગામનો ૩૭ વર્ષિય યુવાન ઇન્ટાસ ફાર્મા કંપનીમાં નોકરી કરે છે. અહીં કંપનીના મેનેજરને કોરોના થયો હતો. તેના સંપર્કથી આ યુવાન પણ પોઝિટિવ આવ્યો છે. ખોરજમાં રહેતાં ૪૫ વર્ષિય પુરુષ અદાણીમાં નોકરી કરે છે. તેઓને તાવ આવતાં સોલા સિવિલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. જ્યાં તેમનું કોરોનાથી મોત થયું હતું.
આ ઉપરાંત તેમની ૨૦ વર્ષિય પુત્રી પણ કોરોનામાં સપડાઇ છે. કુડાસણમાં રહેતાં ૫૨ વર્ષિય આધેડ કે જે એપોલોમાં નોકરી કરે છે તેઓ કોરોના પોઝિટિવ આવ્યાં છે. નાના ચિલોડામાં રહેતા ૬૬ વર્ષિય વૃધ્ધ હેર સલુન ધરાવે છે. તેઓ પોઝિટિવ આવ્યાં છે. અગાઉ મરણ પ્રસંગે તેઓ સાબરકાંઠા ગયા હોવાની હિસ્ટ્રી છે. અમદાવાદ સિવિલમાં દાખલ થયેલાં સગાની ખબર કાઢવા ગયેલાં અડાલજમાં રહેતા ૪૭ વર્ષિય પુરુષ કોરોના પોઝિટિવ આવ્યાં છે. જ્યારે દહેગામના સુજાનામુવાડા ખાતેથી એક પોઝિટિવ કેસ સામે આવી રહ્યો છે. સુજાનામુવાડાના ૬૮ વર્ષિય વૃધ્ધ કોરોના પોઝિટિવ આવ્યાં છે.આ ઉપરાંત દહેગામના પીંપળજ ગામમાં ૩૬ વર્ષિય યુવાન કોરોનાગ્રસ્ત થયો છે. આ યુવાન નરોડામાં નોકરી કરતો હોવાનું જાણવા મળી રહ્યું છે. જ્યારે માણસામાંથી એક કેસ પ્રકાશમાં આવ્યો છે. માણસા પ્રેમપુરામાં રહેતી ૨૫ વર્ષિય યુવતિ સંક્રમિત થઇ છે. જ્યારે કલોલમાંથી આજે બે પોઝિટિવ કેસ મળી આવ્યાં છે. કલોલ શહેરમાં રહેતી ૩૬ વર્ષિય યુવતિ અને ૭૨ વર્ષિય વૃધ્ધ કોરોનામાં સપડાયાં છે.