Get The App

બલાસર કેનાલ નજીક લક્ઝરી અને રિક્ષા ટકરાતા દંપતીનું મોત

- કડીથી દેત્રોજ રોડ ઉપર અકસ્માત સર્જાયો

- શાકભાજીનો છુટક વેપાર કરી ગુજરાન ચલાવતા છનિયારના પતિ-પત્ની ભોગ બન્યા

Updated: Feb 22nd, 2021

GS TEAM

Google News
Google News
બલાસર કેનાલ નજીક લક્ઝરી અને રિક્ષા ટકરાતા દંપતીનું મોત 1 - image

મહેસાણા,તા.21

કડીથી દેત્રોજ રોડ ઉપર આવેલ બલાસર કેનાલ નજીક સવારના સુમારે લક્ઝરી અને રિક્ષા વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં છનિયાર ગામના દંપતિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ અંગે નોંધવામાં આવેલી ફરિયાદના આધારે પોલીસે લક્ઝરીના ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે બન્નેના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સરકારી દવાખાને મોકલી અપાયા હતા.

દેત્રોજ તાલુકાના છનિયાર ગામના ગાંડાભાઈ જીવણભાઈ રાવળ ગામમાં છૂટક શાકભાજીનો ધંધો કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. રવિવારે સવારે પોતાના રોજિંદા ક્રમ મુજબ પોતાની રિક્ષામાં પત્ની ગૌરીબેનને લઈને કડી શહેરમાં શાકભાજી ખરીદવા આવ્યા હતા. જ્યાંથી જુદી જુદી શાકભાજી ખરીદ્યા બાદ તેઓ રિક્ષા લઈને પરત છનિયાર જવા નિકળ્યા હતા. તે વખતે માર્ગમાં કડીથી દેત્રોજ રોડ પર આવેલ બલાસર કેનાલ નજીક એક લક્ઝરી બસના ચાલકે ધડાકાભેર રિક્ષાને ટક્કર મારતાં તેનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. જ્યારે રિક્ષા ચલાવી રહેલા ગાંડાભાઈ રાવળ અને તેમની પત્ની ગૌરીબેનને ગંભીર ઈજાઓ થવાથી બન્નેનું ઘટનાસ્થળ પર જ મોત થયું હતું. રોડ વચ્ચે સર્જાયેલા અકસ્માતને કારણે વાહનવ્યવહાર ખોરવાતા ટ્રાફીકજામ થયો હતો. ત્યારબાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચતાં વાહનોની અવરજવર શરૂ કરવામાં આવી હતી. આ ઘટના અંગે કડી પોલીસે ગુનો દાખલ કરી તપાસ આરંભી છે.

રિક્ષામાં ભરેલ શાકભાજી રોડ ઉપર વેરણછેરણ થઈ

કડીથી દેત્રોજ રોડ પર બલાસણ કેનાલ નજીક લક્ઝરી અને રિક્ષા વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં ટક્કર એટલી જોરદાર હતી કે રિક્ષામાં ભરવામાં આવેલ શાકભાજીનો જથ્થો રોડ ઉફર વેરવિખેર થઈ ગયો હતો.

કમનસીબ મૃતકોના નામ

ગાંડાભાઈ જીવણભાઈ રાવળ

ગૌરીબેન ગાંડાભાઈ રાવળ