સેલોટેપથી બાંધેલાં 2 પક્ષીને જીવદયાપ્રેમીઓએ છોડાવ્યાં
ગાંધીનગર, તા. 27 જૂન 2020, શનિવાર
ગાંધીનગર શહેરના સેક્ટર-૨૦માં સેલોટેપથી બાંધેલા બે પક્ષીઓને નાના બાળકો લઇને જઇ રહ્યાં હતા તે વખતે જીવદયાપ્રેમીઓની નજર પડતાં તાત્કાલિક આ બાળકોને રોકીને પક્ષીઓને છોડાવ્યાં હતાં. અબોલ પક્ષીઓની હેરાફેરી કરવાની પ્રવૃત્તિમાં દિનપ્રતિદિન વધારો થઇ રહ્યો છે ત્યારે ઘણી વખત આ કામગીરી માટે નાના બાળકોનો સહારો લેવામાં આવતો હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે ગાંધીનગર શહેરમાં પણ અવાર નવાર અબોલ પશુ-પક્ષીઓને બાંધીને તથા પાંજરે પુરીને લઇ જવામાં આવતાં હોય છે. ઘણી વખત જીવદયાપ્રેમીઓ દ્વારા તેને પાંજરામાંથી છુટકારો પણ અપાવતાં હોય છે. આમ સેક્ટર-૨૦માં ત્રણ બાળકો સેલોટેપથી બાંધેલા પક્ષીઓને લઇ જતાં હતાં તે વખતે પસાર થતાં પક્ષી પ્રેમીની નજર પડતાં તેમને અટકાવ્યા હતાં અને કડક રીતે પુછપરછ કરતાં તેઓ આ પક્ષીઓને સેલોટેપના બંધનમાંથી મુક્ત કર્યા હતાં. આમ આ વિડીયો સોશ્યલ મીડિયામાં જાહેર થતાં પક્ષી પ્રેમીઓએ પણ પ્રકારની પ્રવૃત્તિઓ સામે ફિટકાર વરસાવ્યો હતો અને આવી પ્રવૃત્તિઓને અંજામ આપતાં લોકો સામે કડક પગલાં ભરવાની કોમેન્ટ પણ કરી હતી.