Get The App

મહેસાણામાં એક વર્ષમાં 10361 લોકો શ્વાનનો ભોગ બન્યાં

- શહેરમાં રખડતાં શ્વાનનો વધતો જતો ત્રાસ

- લોકોની રજૂઆત બાદ શ્વાન ખસી કરવાના ટેન્ડરનો પાલિકાના ચીફ ઓફિસરને તૂક્કો સૂઝ્યો

Updated: Mar 23rd, 2022

GS TEAM

Google News
Google News
મહેસાણામાં એક વર્ષમાં 10361 લોકો શ્વાનનો ભોગ બન્યાં 1 - image

મહેસાણા, તા.22

મહેસાણાના નગરજનો માટે અત્યારસુધી રસ્તે રઝળતી ગાય, ગધેડા જેવા પશુઓનો ત્રાસ માથાના દુખાવા સમાન બન્યો હતો. ત્યાં વધુ એક ત્રાસ રખડતાં કૂતરા કરડવાનો વધી ગયો છે. ત્યારે કૂતરાના ખસીકરણની જાહેરાત-ટેન્ડર બહાર પાડવાનો તૂક્કો પાલિકાના ચીફ ઓફિસરને સૂઝ્યો હતો. જેની ચર્ચા પણ પાલિકામાં ચકડોળે ચડી હતી. મહેસાણામાં છેલ્લાં એક વર્ષમાં ૧૦૩૬૧ લોકોને કૂતરા કરડવાના અને તેમને હડકવા વિરોધી રસી-વાયલ ઈન્જેક્શન આપવામાં આવ્યા હતા.

મહેસાણા શહેરના રસ્તાઓ પર રઝળતી ગાયોના ટોળાં અડીંગો જમાવી દેવાની સાથે રાહદારીઓ, વાહનસવારોને હડફેટે ચડાવતાં હોવાના બનાવો છાસવારે બનતાં રહ્યાં હતા. આટલું ઓછું હોય તેમ હવે છેલ્લાં કેટલાંક વખતથી શહેરમાં રખડતાં કૂતરાં રાહદારીઓ, વાહનચાલકોને કરડવાના કિસ્સાનું પ્રમાણ વધી ગયું છે. ત્યારે આવા રખડતાં કૂતરાને પકડી લઈ તેનું ખસીકરણ કરવા માટે ટેન્ડર પ્રક્રિયા જાહેર કરવા પાલિકાના ચીફ ઓફિસર અલ્પેશ પટેલે જણાવ્યું હતુ. ઉલ્લેખનીય છે કે, આવા કૂતરાને પકડી તેનું ખસીકરણ કરાયા બાદ જ્યાંથી તેને પકડવામાં આવ્યો હોય તે વિસ્તારમાં છોડી મુકવાની સાથે વેટરનરી ડોક્ટર સહિતના તબીબી સ્ટાફની જરૃરિયાત ઉભી થનાર હોવાનું જણાવ્યું હતુ.મહેસાણામાં માહે માર્ચ ૨૦૨૧ થી માહે ફેબુ્રઆરી ૨૦૨૨ દરમિયાનમાં કુલ ૧૦૩૬૧ લોકોને કૂતરાં કરડવાના કેસ સિવિલ હોસ્પિટલમાં નોંધાયા હતા. આ દર્દીઓને ૧૦૩૬૧ હડકવા વિરોધી રસી વાયલ ઈન્જેક્શન આપવામાં આવ્યાં હોવાનું અને હાલમાં હોસ્પિટલમાં ૧૭૯૪ જેટલાં વાયલ ઈન્જેક્શનનો સ્ટોક હોવાનું સિવિલ સુપ્રીટેન્ડન્ટ ડો.ઉપેન્દ્ર ગાંધીએ જણાવ્યું હતુ. તેમના જણાવ્યા મુજબ હડકવા વિરોધી વાયલ ઈન્જેક્શનનો સ્ટોક ખલાસ થઈ જતાં નવા સ્ટોકની માગણીની રજૂઆત વિભાગીય નાયબ નિયામક કચેરી ખાતે કરવામાં આવતાં તેના દ્વારા જરૃરિયાત મુજબ સિવિલ હોસ્પિટલને પુરા પાડવામાં આવતાં હોય છે.