મહેસાણામાં બિહારની મજૂરોને બપોરથી લાઈનમાં ઉભા રાખ્યા
- 1000 જેટલા પરપ્રાંતીયને અલગ અલગ તાલુકામાં મહેસાણા લવાયા
મહેસાણા,તા.25 મે 2020, સોમવાર
મહેસાણામાં પરપ્રાંતિય મજૂરોને વતનમાં પરત મોકલવા ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આજે અત્રે નવ વાગ્યે મહેસાણા રેલવે સ્ટેશનથી બહાર માટે ટ્રેનની વ્યવસ્થા કરાઈ હતી. જોકે આ ટ્રેનમાં પરત જનાર ૧૦૦૦ જેટલા પરપ્રાંતીય મજૂરોને બપોરથી લાઈનમાં ઉભા રાખવામાં આવ્યા હતા. જેથી તેમની હાલત ખરાબ થઈ હતી.
મહેસાણા જિલ્લાના મહેસાણા તાલુકા વિસનગર, ઊંઝા, વડનગર, કડી, બેચરાજી સહિત તાલુકામાં વિવિધ કંપનીમાં તેમજછૂટક ધંધો કરતા બિહારના મજૂરોને વતન જવા માટે મહેસાણા ખાતેથી રાત્રે નવ કલાકે ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી હતી. જોકે વ્યવસ્થાના ભાગે જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાંથી ૧૦૦૦થી વધુ બિહારના યુવાનો અને તેમના પરિવારને શહેરની ડોસાભાઈ ધર્મ શાળા ખાતે લાવવામાં આવ્યા હતા. જ્યાં બપોરે બે કલાકથી આ પરપ્રાંતીયોને ઉભા રાખવામાં આવ્યા હતા. જેથી આકરા તાપમાં આ પરપ્રાંતીયોની હાલત દયનીય બની હતી.
આકરા તાપમાં કલાકો સુધી ઉભા રાખ્યા
આ મામલે મહેસાણા શહેર કોંગ્રેસ પ્રમુખ ભૌતિક ભટ્ટે જણાવ્યું હતું કે રાત્રે નવ કલાકે બહાર જવા માટે ટ્રેનની વ્યવસ્થા કરાઈ હતી. જોકે રાત્રે ટ્રેન છે ત્યારે બપોરની બે વાગ્યાથી ૧૦૦૦થી વધુ પરપ્રાંતીયોને અહી લાવી દેવામાં આવ્યા હતા અને તેમની લાઈનોમાં ઉભા રાખતાં આ પરપ્રાંતીયોની દયનીય હાલત બની હતી.