Get The App

ગોઝારીયાને તાલુકાનો દરજ્જો નહી મળે તો ગ્રામજનોની હાઈકોર્ટમાં જવાની ચીમકી

- સમિતિની બેઠકમાં સરકાર સામે મોરચો માંડવા રણનીતિ ઘડાઈ

- 33 જ્ઞાાતિના 470 કારોબારી સભ્યોની બેઠકમાં આશ્ચર્ય જનક કાર્યક્રમો આપવા સર્વાનુમતે નિર્ણય કરાયો

Updated: Jun 20th, 2022

GS TEAM


Google News
Google News
ગોઝારીયાને તાલુકાનો દરજ્જો નહી મળે તો ગ્રામજનોની હાઈકોર્ટમાં જવાની ચીમકી 1 - image

મહેસાણા, તા.19

ગોઝારીયાને તાલુકાનો દરજ્જો અપવવા માટે ગ્રામજનોએ વિધિવત રીતે લડત શરૃ કરી છે. ગોઝારીયા તાલુકા પુનઃ નિર્માણ સમિતિની રચના કર્યા બાદ યોજાયેલી બેઠકમાં તાલુકાનો દરજ્જો નહી મળે તો હાઈકોર્ટમાં જવા સુધીની ચીમકી અપાઈ છે. ૩૩ જ્ઞાાતિના ૪૭૦ કારોબારી સભ્યોની ઉપસ્થિતિમાં વડાપ્રધાનને પત્ર મોકલવાનો નિર્ણય કરીને ગમે તે ભોગે ગોઝારીયાને તાલુકો બનાવવા માટે આગામી સમયમાં આશ્ચર્યજનક કાર્યક્રમો આપવાની રણનીતિ ઘડવામાં આવી હતી.

ગોઝારીયાના સિધ્ધનાથ મહાદેવ મંદિર કેમ્પસમાં ગોઝારીયા તાલુકા પુનઃ નિર્માણ સમિતિની બેઠક મળી હતી. સમિતિના પ્રમુખ કે.કે.પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં ડો.માણેકલાલ, શોભનાબેન શાહ, રમેશ મુખી, રાજેન્દ્ર પટેલ સહિત ૩૩ જ્ઞાાતિના ૪૭૦ કારોબારી સભ્યો હાજર રહ્યા હતા. બેઠકમાં વડાપ્રધાનને તાલુકાની માંગણી સંદર્ભે લખેલો પત્ર મોકલવા, આશ્ચર્યજનક કાર્યક્રમો આપવા, ૧૯૯૭ માં ગોઝારીયા તાલુકો રદ કરવા અંગે કેબિનેટની મીટીંગમાં થયેલા નિર્ણયનો જવાબ આરટીઆઈથી માંગવા, તાલુકાનો દરજ્જો ન મળે તો વિધાનસભાની ચૂંટણીમાં રણનીતિ નક્કી કરવા અને જરૃર પડયે ગુજરાત હાઈકોર્ટમાં ધા નાખવા અંગે તમામ આગેવાનોએ સર્વાનુમતે નિર્ણય કર્યો હતો. આ ઉપરાંત ટૂંક સમયમાં સમિતિની બીજી બેઠક બોલાવીને ગોઝારીયા તાલુકામાં સમાવવા માંગતા ૨૫ જેટલા ગામોના ૧૦-૧૦ આગેવાનોને પણ આંદોલનમાં જોડવાનો નિર્ણય કરાયો હોવાનુ આધારભૂત સૂત્રો પાસેથી માહિતી મળી હતી. ટૂંકમાં, ગોઝારીયાના ગ્રામજનોએ બબ્બે વખત મળી ગયા બાદ છીનવાઈ ગયેલા તાલુકાના દરજ્જાને ફરીથી મેળવવા નવેસરથી આંદોલનના મંડાણ કર્યા છે.

Tags :