મહેસાણામાં સરકારી અનાજ કૌભાંડની તપાસ પૂર્ણઃ ભીનું સંકેલાય જશે તેવા સંકેતો
- સરકારી અનાજ બારોબાર વેચી દેવાનો મામલો
- ઊંઝામાં સરકારી ગોડાઉન ગોલમાલમાં પણ તપાસનું ફીંડલુઃ સરકારીબાબુઓ ક્યારે જાગશે ?
મહેસાણા,તા.27 જૂન 2020, શનિવાર
મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકામાં ઘઉં કૌભાંડ બહાર આવતા પુરવઠા વિભાગ સહિત કલેક્ટર હરકતમાં આવ્યા હતા. અને આ કૌભાંડમાં ઊંઝા ગોડાઉન મેનેજરનો ભોગ પણ લેવાયો છે. આ કૌભાંડ બાદ કલેક્ટરે જિલ્લામાં છ ટીમો બનાવી જિલ્લાના સરકારી અનાજ ગોડાઉન અને સસ્તા અનાજની દુકાનોમાં તપાસ સોંપાઈ હતી. જોકે આ તપાસ પૂર્ણ થઈ છે અને તપાસ રિપોર્ટ પણ સોંપી દેવાયો છે. ત્યારે ઊંઝા જેવી ગેરરીતિ બહાર આવશે કે સબ સલામતના દાવા કરવામાં આવશે.
ઊંઝા પાસેથી તાજેતરમાં સરકારી ઘઉંનો જથ્થો પોલીસે પકડી પાડતા સમગ્ર કૌભાંડ જાહેર થયું હતું. આ કૌભાંડમાં ઊંઝા પોલીસે ગોડાઉન મેનેજર સહિતના વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધી હતી. આ ફરિયાદ બાદ કલેક્ટર સફાળા જાગ્યા હતા. અને તુરતં જ છ સભ્યોની ટીમ બનાવી જિલ્લામાં સરકારી ગોડાઉન અને સસ્તા અનાજની દુકાનોમાં તપાસ સોંપી હતી. ઊંઝા ઘઉં પ્રકરણમાં ઊંઝા સરકારી ગોડાઉન મેનેજરને ગાંધીનગર અન્ન અને નાગરિક પુરવઠા નિગમ દ્વારા સસ્પેન્ડ પણ કરી દેવાયા છે. જોકે માત્ર ઊંઝા જ નહી અન્ય તાલુકામાં આ પ્રકારની સરકારી અનાજનું બારોબારીયું થતું હોય છે તેવી ચર્ચા આમ નાગરિકોમાં થતી હોય છે. ત્યારે કલેક્ટરે ઊંઝા પ્રકરણ બાદ જિલ્લામાં તપાસ શરૃ કરાઈ હતી. આ તપાસનો રિપોર્ટ તૈયાર કરી અધિકારીને સોંપી દેવામાં આવ્યો છે. જોકે ઊંઝા જેવી બીજા તાલુકામાં ગેરરીતિ બહાર આવશે કે કેમ તેતો તપાસ રિપોર્ટથી જાણી શકાય.