મહેસાણા, તા.14
મહેસાણા શહેરની આશરે બે લાખ જેટલી વસતિ વચ્ચેના એક માત્ર
પરા વિસ્તારમાં સ્મશાનગૃહ આવેલ છે. આ સ્મશાનમાં છેલ્લાં પાંચેક દિવસથી ગેસથી થતી
અંતિમવિધિ બંધ થઈ છે. તેથી અહીં ડાઘુઓએ ગેસ સગડીથી થતાં અગ્નિસંસ્કાર કરવાના બદલે
લાકડાની ચિતા તૈયાર કરીને મૃતદેહનો અગ્નિદાહ કરવો ફરજિયાત થયો છે. જેની સામે
લોકોમાં આક્રોશ પ્રવર્તી રહ્યો છે. લોકોએ
સ્વજનના અંતિમસંસ્કાર કરવામાં હાલાકી વેઠવી પડતી હોવાનો આક્ષેપ કોંગ્રેસના
નગરસેવકે કર્યો હતો.
મહેસાણા શહેરના પરા વિસ્તારમાં આવેલાં નગરપાલિકા
પ્રેરિત સ્વ.મનુભાઈ મફતલાલ પટેલ
નિજધામ-સ્મશાનગૃહનો વહીવટ સ્થાનિક
સંસ્થા રોટરી ક્લબ ઓફ મહેસાણા
દ્વારા કરવામાં આવે છે. આશરે ૧૦-૧૨ વર્ષ અગાઉ બનેલાં અહીંના સ્મશાનઘાટમાં લાકડાથી
અને ગેસ સગડીથી મૃતદેહના અંતિમ સંસ્કાર કરવાની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. આ
સ્મશાન શહેર આખાની આશરે બે લાખની વસતિ વચ્ચેનું એક માત્ર સ્મશાનઘાટ છે. છેલ્લાં
કેટલાંક દિવસથી અહીંના સ્મશાનગૃહમાં ગેસ
આધારીત થતી અંતિમક્રિયા બંધ થઈ છે. તેના લીધે
નાછૂટકે લોકોએ પોતાના સ્વજનના અંતિમસંસ્કાર ગેસ સગડીના અભાવે લાકડાની ચિતા
ગોઠવીને કરવા પડે છે અને લોકોએ પારાવાર હાલાકી વેઠવી પડતી હોવાનો આક્ષેપ મહેસાણાના
નગરસેવક અમીત પટેલે જણાવ્યું હતુ. તેમણે ઉમેર્યું કે, સ્મશાનનો વહીવટ
કરનાર સંસ્થા રોટરી ક્લબના સંચાલકો દ્વારા તપાસ કરીને ગેસ સગડીની સુવિધાને સત્વરે
કાર્યરત કરવાની માગણી સાથે વોર્ડ નં.૩ ના નગરસેવકે નગરપાલિકાના ચીફ ઓફિસરને અરજીથી
રજૂઆત કરી હતી.
ટુક સમયમાં સ્મશાન ગૃહ શરૃ થશે- સીઓ
મહેસાણા નગરપાલિકાના ચીફ ઓફિસર અલ્પેશ પટેલના જણાવ્યા મુજબ
સ્થાનિક રોટરી ક્લબ દ્વારા સ્મશાનનું સંચાલન કરાય છે. સ્મશાનમાં ગેસ આધારીત
અંતિમવિધિની પ્રક્રિયા બંધ થયાની ફરિયાદ મળી છે, આ અંગે રોટરી ક્લબના સંચાલકોનું ધ્યાન દોરવામાં આવ્યું છે.
ઓપરેટરની કામગીરી સંતોષકારક નહીં હોવાથી તેની જગ્યાએ બે દિવસમાં નવા ઓપરેટરની
નિમણૂંક કરવામાં આવશે. કર્મચારી આવી જતાં ગેસ આધારીત અંતિમવિધિ પુન કાર્યરત થઈ
જશે.
ચાર કરોડના ખર્ચે સ્મશાન આકાર લઈ રહ્યું છે
મહેસાણા
નગરપાલિકાના ચીફ ઓફિસર અલ્પેશ પટેલે જણાવ્યું કે, શહેરના સીમાડા
પરની આર.ટી.ઓ.કચેરી નજીકથી પસાર થતી ખારી નદી કાંઠા પર અંદાજે ચાર કરોડના ખર્ચે
નયનરમ્ય વાતાવરણ અને કુદરતના ખોળે ખીલી ઊઠતી લીલુડીધરા પર અદ્યતન સ્મશાન નિર્માણની
કામગીરી ચાલી રહી છે. અહીં શિવમંદિરની
સાથે જુદાજુદા ૧૬ નાના મંદિર,
ગાર્ડન સહિતના અદ્યતન અંતિમધામમાં ડાઘુઓને બેસવાની , ન્હાવાધોવાની
સગવડ ઉપલબ્ધ કરવામાં આવશે.


