Get The App

ઉત્તર ગુજરાતમાં ટેકાના ભાવે મગફળી વેચવા ખેડૂતોમાં નિરસતા

- ખુલ્લા બજારમાં રૃપિયા ૧૨૫૦નો ભાવ મળતો હોવાથી

- મહેસાણા, પાટણ અને બનાસકાંઠાના ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવનાર ૭૦૩૦ પૈકી માત્ર ૨૪ ખેડૂતો ખરીદ કેન્દ્ર સુધી પહોંચ્યા

Updated: Nov 20th, 2021

GS TEAM


Google News
Google News
ઉત્તર ગુજરાતમાં ટેકાના ભાવે મગફળી વેચવા ખેડૂતોમાં નિરસતા 1 - image

મહેસાણા, પાલનપુર,તા.૨૦

દિવાળીના વેકેશન બાદ લાભ પાંચમથી ઉત્તર ગુજરાતમાં નિર્ધારીત કરવામાં ૧૩ જેટલા ખરીદ કેન્દ્રો પર ટેકાના ભાવે મગફળીની ખરીદ પ્રક્રિયા શરૃ કરવામાં આવી હતી.પરંતુ ખુલ્લા બજારમાં ટેકાના ભાવથી વધુ મળતા હોવાથી આ પંથકના ખેડૂતોને તંત્ર દ્વારા મેસેજ મોકલવામાં આવ્યા હોવા છતાં પોતાના વિસ્તારમાં આવેલ ખરીદ કેન્દ્ર સુધી જવામાં રસ દાખવ્યો ન હતો.મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જિલ્લાના ૭૦૩૦ ખેડૂતોએ ઓન લાઈને રજીસ્ટ્રેશન કરાવ્યું હતું.જેમાંથી ફકત ૨૪ ખેડૂતો જ પોતાની મગફળીનો જથ્થો લઈને ટેકાના ભાવે વેચાણ કરવા ખરીદ કેન્દ્ર સુધી પહોંચ્યા હતા.

રાજયસરકાર દ્વારા ખેડૂતોને મગફળીના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ગત તાં.૯ નવેમ્બર થી ટેકાના ભાવે મગફળીની ખરીદી  શરૃ કરી છે અને પ્રતિ મણેે રૃ. ૧૧૧૦ નો ટેકાનો ભાવ નક્કી કરાયો છે .જેમાં  મહેસાણા જિલ્લામાં ૮૮૭ બનાસકાંઠામાં ૬૦૭૪ અને પાટણ જિલ્લાના ૬૯ ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી વેચવા ઓનલાઇન નોંધણી કરાવી હતી .હાલ  ખુલ્લા બજારમાં હાલ પ્રતિ વિસ કિલા રૃ.૧૨૫૦ જેટલો ે મગફળીનો ભાવ  બોલાઈ રહ્યો છે. જેથી ટેકા ના  રૃ.૧૧૧૦ કરતાં વધુ ભાવ ખેડૂતોને મળી રહ્યો હોવાથી તેઓએ નાફેડ  અને પુરવઠા વિભાગ દ્વારા નક્કી કરવામાં આવેલા ખરીદ કેન્દ્રોએ મગફળી વેચાણ કરવામાં રસ દાખવ્યો ન હતો.મોટાભાગ ના ખેડૂતો ઉંચા દામ મેળવવા મગફળીનો પાક ટેકા ના ભાવે વેચવાના બદલે  ખુલ્લા બજારમાં  વેચાણ કરવા મુનાસીબ સમજી રહ્યા છે.દિવાળીના તહેવારો વખતે બનાસકાંઠાના ૬૦૭૪, મહેસાણાના ૮૮૭ અને પાટણના ૬૯ ખેડૂતોએ ટેકાના ભાવે વેચાણ કરવા ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું હતું.પરંતુ ટેકાના ભાવે મગફળી ખરીદ કરવાની પ્રક્રિયા શરૃ થવાને ૧૧ દિવસ જેટલો સમય વિત્યો છતાં તેમાંથી બનાસકાંઠાના માત્ર ૮ અને મહેસાણા જિલ્લાના ૧૬ ખેડૂતોએ ટેકાના ભાવે પોતાની મગફળીનું વેચાણ કર્યું હતું.જયારે પાટણ જિલ્લામાં એક પણ ખેડૂત ટેકાના ભાવે ખરીદ કરતા નિર્ધારીત ખરીદ કેન્દ્ર સુધી પહોંચ્યા ન હતા.

ઉત્તર ગુજરાત મગફળીની ખરીદી માટે ૧૩ કેન્દ્રો શરૃ કરાયા

ઉત્તર ગુજરાતમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે વિજાપુર, સતલાસણા, ખેરાલુ, પાલનપુર, કાંકરેજડીસા, વડગામ, દાંતા, દિયોદર,ધાનેરાના સામરવાડા,થરાદ અને લાખણી અને સરસ્વતી ખાતે ટેકાના ભાવે મગફળી ની ખરીદી ના કેન્દ્રો શરૃ કરાયા છે.

કમોસમી વરસાદના પગલે બે દિવસ ખરીદી બંધ રહી

હવામાન વિભાગે કરેલી વરસાદની આગાહીના  ઉત્તર ગુજરાતના ૧૩ ખરીદ  કેન્દ્રો પર  ૧૯ અને ૨૦ નવેમ્બરના બે દિવસ ટેકા ના ભાગે મગફળી ની ખરીદી બંધ રખાઈ હતી અને સોમવારથી રાબેતા મુજબ મગફળીની ખરીદી શરૃ કરવામાં આવશે.

બનાસકાંઠામાં આઠ ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી ભરાવી

બનાસકાંઠા જિલ્લામાં ના નવ કેન્દ્ર માંથી માત્ર શિહોરી ખાતે ૩ ખેડૂતો એ ૩૬૧ બોરી અને દિયોદર ખાતે ૨ ખેડૂતે ૧૩૪ બોરી મગફળી ટેકા ના ભાવે ભરાવી છે બાકી ના સાત કેન્દ્રો પર મેસેજ કરવા છતાં એક પણ ખેડૂત ટેકાના ભાવે મગફળી ભરાવવા ફરકયો નથી જેને લઈ જિલ્લામાં સરકાર ની ટેકા ના ભાવે મગફળીની ખરીદી ને મોળો પ્રતિસાદ સાંપડી રહ્યો છે.

પાટણમાં ટેકાના ભાવે ખરીદી ફારસ બની

પાટણ જિલ્લામાં નક્કી કરવામાં એકમાત્ર સરસ્વતી ખાતે આવેલા ટેકાના ભાવે મગફળી ખરીદ કેન્દ્રમાં છેલ્લા ૧૧ દિવસના સમયગાળામાં એક પણ ખેડૂત નહીં ફરકતાં જાણે આખીય ખરીદ પ્રક્રિયા ફારસ બની છે.નોંધપાત્ર છેકે આ જિલ્લાના ૬૯ ખેડૂતોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું હતું.જેમાંથી ૪૦ની ટેકનીકલ ક્ષતીને કારણે ફોર્મ રદ થઈ હતી. જયારે ૨૦ ખેડૂતોને તંત્ર દ્વારા અત્યારસુધી મેસેજથી જાણ કરવામાં આવી હતી.

બનાસકાંઠામાં ૩૧૩૬ મેસેજ સામે ૮ ખેડૂતે ટેકાના ભાવે મગફળી ભરાવી

બનાસકાંઠા જિલ્લામાં ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં ૬૦૭૪ ખેડૂતે  ઓન લાઈન રજીસ્ટ્રેશન કરાવ્યુ હતું ડોક્યુમેન્ટની ચકાસણ માં ૨૫૯૪ ખેડૂતોની નોંધણી રદ થતા ૩૪૭૯ ખેડૂતો પૈકી અત્યાર સુધી ૩૧૩૬ મેસેજ કરવામાં આવ્યા છે જેમાં માત્ર બે કેન્દ્ર પર આઠ ખેડૂતે ટેકાના ભાવે મગફળી ભરાવી છે

Tags :