Gujarat

મહેસાણાના વયોવૃધ્ધ અને વડનગરની નર્સિંગ વિદ્યાર્થિની કોરોનાની ઝપટે ચડયાં

By GS Team
1 Jan 20222 mins read
This article was originally published on 1 Jan 2022
મહેસાણાના વયોવૃધ્ધ અને વડનગરની નર્સિંગ વિદ્યાર્થિની કોરોનાની ઝપટે ચડયાં

મહેસાણા, તા.01

મહેસાણા જિલ્લામાં કોરોનાના દર્દીઓમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. તેના લીધે આરોગ્ય તંત્રના બાબુઓની ઊંઘ  ઊડી ગઈ છે. જિલ્લામાં ગઈકાલે કુલ ૧૧ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા બાદ આજે શનિવારે વધુ બે કોરોના કેસ આવ્યા હતા. જેમાં મહેસાણાના વયોવૃધ્ધ અને વડનગર હોસ્પિટલની નર્સિંગ વિદ્યાર્થિનીનો સમાવેશ થાય છે. હાલમાં જિલ્લામાં એક્ટિવ કેસ ૧૭ નોંધાયા છે. આજે એક દર્દીને રજા આપવામાં આવી હતી. જ્યારે ૨૬૯૨ સેમ્પલનું રીઝલ્ટ પેન્ડિંગ હોવાનું આરોગ્ય ખાતાની યાદીમાં જણાવાયું છે.

મહેસાણા શહેરના હીંગળાજ રોડ પર રહેતાં ૭૨ વર્ષીય વૃધ્ધનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. તેની જાણ થતાં કોરોનાગ્રસ્ત વયોવૃધ્ધને હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. જાણવા મળ્યા મુજબ ૭૨ વર્ષીય વૃધ્ધ મુંબઈ જઈને પરત આવ્યા બાદ તેમનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો. જ્યારે વડનગર સિવિલ હોસ્પિટલમાં નર્સિંગનો અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. આમ, આજે શનિવારે મહેસાણા અને વડનગર અર્બન વિસ્તારમાં બે કોરોનાના દર્દી નોંધાયા હતા. જે બન્નેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતુ. જો કે, કોરોના પોઝિટિવના દર્દીઓની ટ્રાવેલ હીસ્ટ્રી જણાવવા મુદ્દે  મૌન રહેવાનું મુનાસિબ માનતાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ફોન ઉપાડવામાં કંજૂસાઈ કરતાં હોય છે. ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં અત્યાર સુધીમાં ૩૨૯૯૧૬ સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી ૩૨૬૯૮૮ સેમ્પલ નેગેટીવ આવ્યાં હતા. જ્યારે આજે ૨૮૫૭ સેમ્પલનું રીઝલ્ટ આવ્યું હતુ. જેમાં ૨૮૫૬ સેમ્પલનું નેગેટીવ અને બે સેમ્પલનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. આજે વધુ એક દર્દીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. હાલમાં એક્ટીવ કેસ ૧૭ નોંધાયા છે. આજે ૧૬૯ આરટીપીસીઆર ટેસ્ટ  અને એન્ટીજન ટેસ્ટ-૮ તેમજ અત્યાર સુધીમાં ૪૭૪૮ આરટીપીસીઆર અને ૨૨૪ એન્ટીજન ટેસ્ટ લેવાયા છે. જે તમામ નેગેટીવ આવ્યા છે. જ્યારે આજે જિલ્લામાં કુલ ૨૬૯૨ સેમ્પલ લેવામાં આવ્યાં હતા. જેનું રીઝલ્ટ પેન્ડિંગ હોવાનું અખબારી યાદીમાં જણાવાયું છે.