Updated: Aug 27th, 2022
વડનગર, તા. 27 ઓગસ્ટ 2022 શનિવાર
મહેસાણા જિલ્લાના વડનગર ગામમાં આવેલું શર્મિષ્ઠા તળાવ આ વર્ષે છલોછલ ભરાઈ ગયું છે. ઉત્તર ગુજરાતમાં આવેલા શર્મિષ્ઠા તળાવની વચ્ચે આવેલી સતી દેરીના પાયા ડૂબ્યા એટલે કંઇક અલગ નજારો જોવા મળી રહ્યો છે. પરંતુ આ તળાવનું પાણી પાછુ જઈ રહ્યું હોવાની લોકમુખે ચર્ચા ચાલી રહી છે.
આ વર્ષે ખૂબ સારો વરસાદ વરસ્યો અને મઘા નક્ષત્ર દરમિયાન પણ મેઘરાજા મહેરબાન થયા. આ નક્ષત્ર દરમિયાન વરસેલા વરસાદનું પાણી ખૂબ મીઠું હોવાનું માનવામાં આવે છે. પરંતુ તળાવનું પાણી પાછું જઈ રહ્યું હોવાથી ગ્રામજનોમાં ચિંતા વ્યાપી છે.
તળાવનું પાણી આવતું હોય તે જગ્યાએ ગેટ બંધ કરવામાં આવ્યા છે પરંતુ નીચેના ભાગમાં તળિયુ નથી. આ કારણે ગેટ બંધ કરાયા બાદ ખાતરની થેલી ભરેલી હોય તે રીતે રેતીની થેલી ભરીને આડશ ફીટ કરવામાં આવે તો પાણી પાછું ન જાય.
આમ વડનગર નગરપાલિકાની બેદરકારીના કારણે તળાવનું પાણી પાછું જઈ રહ્યું હોવાથી લોકોમાં રોષ વ્યાપ્યો છે અને તંત્ર કોઈ પગલાં લેશે કે નહીં તેવો સવાલ જાગ્યો છે.