રાષ્ટ્રીય અંધત્વ અને દ્રષ્ટિ ખામી નિયંત્રણ કાર્યક્રમ હેઠળ પખવાડિયાની ઉજવણી
ગાંધીનગર, તા. 29 ઓગસ્ટ, 2020, શનિવાર
દ્રષ્ટિહિન વ્યક્તિઓ માટે સરકાર દ્વારા વિવિધ કાર્યક્રમો થકી દ્રષ્ટિ પુરી પાડી શકાય તે માટે વિવિધ યોજનાઓ અમલમાં મુકવામાં આવે છે. દર વર્ષે રપ ઓગસ્ટ થી ૮ સપ્ટેમ્બર દરમિયાન ચક્ષુદાન પખવાડિયું ઉજવવામાં આવે છે. લોકોમાં ચક્ષુદાન વિશે જાગૃતતા લાવી શકાય તેના ભાગરૂપે રાષ્ટ્રીય અંધત્વ અને દ્રષ્ટિ ખામી નિયંત્રણ કાર્યક્રમ હેઠળ આરોગ્ય વિભાગ (આંખ વિભાગ) દ્વારા ઉજવણી કરાય છે. અંધત્વ ધરાવતી વ્યક્તિને કીકીના પ્રત્યાપણ માટે ચક્ષુની જરૂર પડે છે અને મૃત્યુબાદ વધુને વધુ લોકો ચક્ષુદાન કરીને અંધત્વ ધરાવતાં વ્યક્તિઓને દ્રષ્ટિ આપી શકે તેવા કાર્યક્રમો કરાય છે. જેના ભાગરૂપે સિવિલ હોસ્પિટલ ગાંધીનગર ખાતે હાલમાં પખવાડિયાની ઉજવણી કરાઇ રહી છે. જનજાગૃતિ આવે તે માટે હાલની પરિસ્થિતિને ધ્યાને રાખી વિવિધ પ્રચાર માધ્યમ દ્વારા તેમજ ઓનલાઇન કાર્યક્રમોની કામગીરી કરાઇ રહી છે. આંખ વિભાગના વડા ડો.મરીયમ મનસુરી અને પ્રોગ્રામ ઓફિસર ડો.શિલ્પાબેન ભટ્ટના માર્ગદર્શન હેઠળ તમામ ઓપ્ટ્રીમેટરી સહિત સ્ટાફ કામગીરી કરી રહ્યો છે.