રૂદ્રાક્ષનો છોડ વાવી મુખ્યમંત્રી તેમનો અને પાટનગરનો જન્મદિન ઉજવશે
- નગરના સ્થાપના દિને 20થી વધુ જગ્યાએ વૃક્ષારોપણ કરાશે : અંજલી રૂપાણી ઘરઆંગણે ચંદનનો છોડ રોપશે
- વિજયભાઇ તેમના નિવાસ્થાને વૃક્ષારોપણ કરશે
ગાંધીનગર, તા. 1 ઓગસ્ટ, 2020, શનિવાર
ગાંધીનગર શહેરનો રવિવારે સ્થાપના દિવસ છે સાથે સાથે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીનો પણ આવતીકાલે જન્મદિવસ છે જેથી તેમનો અને પાટનગરના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે ગાંધીનગર શહેર તથા આસપાસના ગામોમાં વૃક્ષારોપણ કાર્યક્રમો રાખવામાં આવ્યા છે. ત્યારે મુખ્યમંત્રીઅને તેમના પત્નિ ઘરઆંગણે રૂદ્રાક્ષ તથા ચંદનના પવિત્ર છોડ વાવશે.
આવતીકાલે તા.૨ ઓગસ્ટને રાજ્યના પાટનગરનો ૫૬મો સ્થાપના દિવસ છે ત્યારે કોરોનાકાળને પગલે ગાંધીનગરની પ્રથમ ઇંટ જ્યાં મુકવામાં આવી હતી તે જીઇબીના ગેસ્ટ હાઉસ ખાતે વસાહત મહામંડળ દ્વારા જે ઉજવણી દર વખતે કરવામાં આવે છે તે આ વખતે મોકુફ રાખવામાં આવી છે અને નગરજનો સાંજના સમયે ઘરઆંગણે દિવા કરીને પાટનગરના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરશે.ગાંધીનગરના સ્થાપના દિવસથી સાથે સાથે આવતીકાલે તા.૨ ઓગસ્ટના રોજ રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનો પણ જન્મદિવસ છે ત્યારે નગરના અને તેમના પોતાના જન્મદિવસની ઉજવણી મુખ્યમંત્રી વૃક્ષારોપણ કરીને કરવાના છે. વિજયભાઇ રૂપાણી તેમના સરકારી નિવાસ્થાને ઘરઆંગણે પવિત્ર વૃક્ષોના રોપા રોપશે. જેમાં આવતીકાલે વિજયભાઇ રૂદ્રાક્ષનો રોપો વાવશે જ્યારે તેમની પત્ની અંજલીબેન ચંદનનો છોડ રોપશે. આ ઉપરાંત તેમના ઘર આંગણે અન્ય રોપા પણ વાવવામાં આવશે. આ સાથે ગાંધીનગર શહેર તથા આસપાસના ગામોમાં ભાજપ તથા શહેરીજનો દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જેમાં જીઇબી ખાતે તથા શહેરમાં ૧૦થી વધુ જગ્યાએ વૃક્ષારોપણ કરાશે જેમાં ૨૦૦થી વધુ છોડ વાવવામાં આવશે. આ તમામ જગ્યાએ ગાંધીનગર વનવિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ પણ હાજર રહેશે.