મહેસાણા શહેરમાં 22 એપ્રિલથી 2 મે સુધીનું 11૧ દિવસનું સંપૂર્ણ લોકડાઉન
- છેલ્લા દસ દિવસમાં ૫ હજાર, મંગળવારે વધુ ૪૧૬ કેસ નોંધાયા
- પાલિકા અને વેપારીઓ વચ્ચેની બેઠકમાં નિર્ણય કરાયો,મંગળવારે ભીડ જામી, શહેરમાં ૧૫ કોરોનાગ્રસ્ત દર્દીના અંતિમસંસ્કાર
મહેસાણા,
તા. 20
મહેસાણા શહેરમાં રોજેરોજ કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં
થઈ રહેલા ચિંતાજનક ઉછાળાને પગલે સંક્રમણની ચેઈન તોડવાના ભાગરૃપે ૨૨થી ૨ મે સુધી
શહેરમાં સંપૂર્ણ લોકડાઉનનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેના પગલે મંગળવારે જીવન
જરૃરીયાતની ચીજવસ્તુઓની ખરીદી માટે નગરજનોની ભીડ ઉમટી પડી હતી. જ્યારે તોરણવાળી
માતાનો ચોક, ભમ્મરીયા
નાળા અને ગોપીનાળામાં ચક્કાજામના દ્રશ્યો સર્જાયા હતા. છેલ્લા દસ દિવસમાં ૫ હજારથી
વધુ કેસો નોંધાયા છે. આજે વધુ ૪૧૬ કેસ નોંધાતા વહીવટી તંત્રએ સંપૂર્ણ લોકડાઉનનો
નિર્ણય કર્યો છે. શહેરમાં ૧૫ કોરોનાગ્રસ્ત દર્દીના અંતિમ સંસ્કાર કરાયા હતા.
ઉપરાંત ખેરાલુ, વિજાપુર, વિસનગર અને
મહેસાણા તાલુકામાં કુલ મૃતાંક ૨૦ જેટલો નોંધાયો છે.
કોરોનાની બીજી લહેર મહેસાણા શહેરના લોકો માટે અત્યંત ઘાતક
નીવડી રહી છે. કોરોના પીડિત દર્દીઓના મોતની સંખ્યામાં પણ ચિંતાજનક વધારો થયો છે. મહેસાણા
શહેરમાં કોરોના પોઝિટિવ કેસોમાં ઉત્તરોત્તર ઉછાળો થતાં લોકોમાં ફફડાટ ઉભો થયો છે.
સંક્રમણની ચેઈન તોડવાનું આયોજન કરવા મંગળવારે નગરપાલિકા અને શહેરના વેપારીઓ વચ્ચે
મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. જેમાં વિસ્તૃત ચર્ચાવિચારણા કરાયા બાદ આગામી ૨૨
એપ્રિલથી ૨ મે સુધી મહેસાણા શહેરમાં સંપૂર્ણ લોકડાઉન લાદવામાં આવે તેવો નિર્ણય
કરવામાં આવ્યો છે. આ જાહેરાત થતાં જ મહેસાણા શહેરમાં આગામી ૧૦ દિવસ સુધી બંધ
રહેનાર છે. જ્યારે મંગળવારે અને બુધવારે બજારોમાં દિવસભર દુકાનો ખુલ્લી રહેશે.
પરિણામે મંગળવારે ૧૦ દિવસના લોકડાઉન અગાઉ
ખરીદી કરવા માટે મહેસાણા શહેરના મુખ્ય બજારો ગણાતા તોરણવાળી માતાનો ચોક, રાજમહેલ રોડ, માલગોડાઉન, ભમ્મરીયા નાળા
વિસ્તાર, આઝાદ
ચોકમાં શહેરીજનોની ભારે ભીડ જામી હતી. વિશેષ કરીને શાકભાજીની ખરીદી કરવા
ગૃહિણીઓનો ભારે ધસારો જોવા મળ્યો હતો.
ઉપરાંત શહેરમાં ભીડ જામતાં વાહનોની અવરજવર અવરોધાતા જાહેરમાર્ગો ઉપર ટ્રાફિક જામના
દ્રશ્યો જોવા મળ્યા હતા. કોરોનાની ચેઈન તોડવાના ઉપાય રૃપે મહેસાણા શહેરમાં ૨૨
એપ્રિલથી ૨ મે સુધી લોકડાઉન અમલમાં રહેશે. જેના કારણે કોરોના સંક્રમણનો વ્યાપ
કેટલો અંકુશમાં આવે છે તે જોવું રહ્યું.
મહેસાણામાં ૪૧૨ કેસ નોંધાયા
મહેસાણા જિલ્લામાં મંગળવાર સુધીમાં ૭૫૨૧૬ના સેમ્પલ લેવાયા
જેમાં ૬૮૭૭૮ના નેગેટિવ રિપોર્ટ આવેલ છે. આજરોજ ૧૦૩૧ના સેમ્પલ પૈકી ૮૦૫નું રીઝલ્ટ
આવ્યું છે. જેમાં ૫૧૩ નો નેગેટિવ રીપોર્ટ તેમજ સરકારી લેબમાં ૨૯૨નો પોઝિટિવ તથા
ખાનગી લેબમાં ૧૨૦નો પોઝિટિવ નોંધાતા જિલ્લામાં કુલ ૪૧૨ કોરોના દર્દી નોંધાયા છે.
હજુ ૧૨૧૪નું રીઝલ્ટ પેન્ડીંગ છે. જ્યારે એક્ટીવ કેસ ૩૨૭૪ થવા પામ્યો છે. આજે
નોંધાયેલા કેસો પૈકી શહેર ીવિસ્તારમાં ૨૪૦ તથા ગ્રામ્ય વિસ્તારમાં ૧૭૨ કેસ જોવા
મળ્યા છે.
મહેસાણામાં મુક્તિધામમાં અગ્નિસંસ્કાર માટે વેઈટીંગ
મહેસાણા મુક્તિધામમાં સતત અગ્નિસંસ્કાર થઈ રહ્યા હોવાથી
અગ્નિસંસ્કાર કરવામાં આવતી એક ભઠ્ઠી ઓગળી જવા પામી છે. જેના કારણે લોકોને મૃતકોના
અંતિમ સંસ્કાર કરવા તકલીફ પડી રહી છે. મંગળવારના રોજ બપોર સુધીમાં ૧૧ જેટલા
મૃતકોના પરિવારો અંતિમ સંસ્કાર માટે રાહ જોઈને મુક્તિધામ બહાર બેસી રહ્યા હતા.
મેડિકલ અને ઈમરજન્સી સેવાઓ ચાલુ રહેશે
૨૨ એપ્રિલથી ૨ મે સુધી મહેસાણા શહેરમાં સંપૂર્ણ લોકડાઉનનો
નિર્ણય કરવામાં આવ્યો છે. તંત્ર અને વેપારીઓ વચ્ચે મળેલી બેઠકમાં આ લોકડાઉન
દરમિયાન માત્ર મેડિકલ અને આવશ્યક સેવાઓની દુકાનો જ ખુલ્લી રહેશે. તે વિાયની તમામ
દુકાનો સંપૂર્ણપણે બંધ રહેનાર છે.