Get The App

સતલાસણા-ખેરાલુના 13 ગામની 419 સર્વે નંબરની જમીન સંપાદન કરાશે

- તારંગાહિલ-અંબાજી-આબુરોડ સુધી નવી રેલવે લાઈન નાંખવા માટે

- ખાનગી સર્વે નંબરની જમીનના ખેડૂતોને સરકારના નિયમ મુજબ વળતર ચુકવાશે

Updated: Jul 17th, 2022

GS TEAM


Google News
Google News


સતલાસણા-ખેરાલુના 13 ગામની 419 સર્વે નંબરની જમીન સંપાદન કરાશે 1 - imageમહેસાણા, તા.16

મહેસાણા જિલ્લાના પ્રવાસીઓને રાજસ્થાનના શહેરો, ધાર્મિક સ્થળોએ આવન-જાવન કરવા માટે વરસોથી તારંગાહિલ-અંબાજી-આબુરોડ રેલવે સુવિધાની વરસો જૂની માગણીને કેન્દ્ર સરકારે લીલીઝંડી આપી દીધી હતી. જેના પગલે નવી રેલવે લાઈન નાંખવા માટે સતલાસણા અને ખેરાલુ તાલુકાના ૧૩ ગામની ૪૧૯  જેટલાં સર્વે નંબરની જમીનને સંપાદન કરવામાં આવશે. જેમાં ખાનગી સર્વે નંબરની જમીના ખેડૂતોને સરકારના ધારાધોરણ મુજબ વળતર ચુકવવામાં આવશે તેમ નિવાસી અધિક કલેક્ટરે જણાવ્યું હતુ.

મહેસાણા જિલ્લા સહિત ઉત્તર ગુજરાતના મુસાફરોની સુવિધા માટે કેન્દ્ર સરકારની કેબીનેટ બેઠકમાં વરસો જૂની તારંગાહિલ-અંબાજી-આબુરોડ સુધી નવી રેલવે લાઈન નાંખવા માટેની માગણીને મંજૂર કરવામાં આવી હતી. જે નવી રેલવે લાઈન નાંખવા માટે આવશ્યક જમીન માટે સતલાસણા તથા ખેરાલુ તાલુકાના ખેડૂતોની ખાનગી તથા સરકારી ૪૧૯ જેટલાં સર્વે નંબરની જમીન સંપાદનની કામગીરી હાથ ધરવામાં આવશે તેમ નિવાસી અધિક કલેક્ટર આઈ.આર.વાળાએ જણાવ્યું હતુ.

તેમણે કહ્યું કે, નવી રેલવે લાઈન નાંખવા માટેના ૪૧૯ સર્વે નંબરની જમીનમાં સતલાસણા તાલુકાના ૧૩ ગામ જેવા કે, શાહુપુરા, આણંદભાખરી, ટીમ્બા, નવાવાસા, રાજપુરમ્ગઢ), સરતાનપુરા, સતલાસણા, વાવ, મોટા ઓઠાસણા, બેડસ્મા, ભાણવાસ, વજાપુર, મેદરડી ગામની  ૩૬૬ જેટલાં ખાનગી સર્વે નંબરની જમીન તેમજ ખેરાલુ તાલુકાના એક માત્ર ડભોડા ગામની ૨૬ ખાનગી સર્વે નંબરની જમીનનો સમાવેશ થાય છે. આમ, નવી રેલવે લાઈન માટે સરકારી ૨૭ સર્વે નંબરની જમીન અને બન્ને તાલુકાના ૩૯૨ ખાનગી સર્વે નંબરની જમીન મળી કુલ ૪૧૯ સર્વે નંબરની જમીન ફાળવવામાં આવશે.

આ રેલવે લાઈનના કામ માટે સતલાસણા તાલુકાની ૮૧ હેક્ટર અને ખેરાલુ તાલુકાની પાંચેક હેક્ટર મળી કુલ ૮૬ હેક્ટર ક્ષેત્રફળ જમીનની જરૃરિયાત ઊભી થશે. સરકાર અને રેલવે વિભાગ દ્વારા નવી રેલવે લાઈન નાંખવાની કામગીરી જમીન સંપાદન થયા બાદ હાથ ધરવામાં આવશે. રેલવે એક્ટ  હેઠળ ખાનગી સર્વે નંબરની જમીનના માલિક ખેડૂતોને સરકારના નિયમ-ધારાધોરણ મુજબ વળતરની ચુકવણી કરવામાં આવશે. સતલાસણા અને ખેરાલુ તાલુકાના મુસાફરો માટે આશીર્વાદરૃપ નીવડનાર આ નવી રેલવે લાઈન આશરે ૪૦ કિ.મી.જેટલી થશે.

Tags :