લુણાવાડામાં GNFC ગોડાઉનની બહાર ખાતર લેવા માટે ખેડૂતો મહામારીનું ભાન ભૂલ્યા
-મોટી સંખ્યામાં ખેડૂતોએ ભેગા થઈ સોસિયલ ડિસ્ટન્સિંગના નિયમોના લીરેલીરા ઉડાવ્યા
મલેકપુર તા.27 એપ્રિલ 2020 સાેમવાર
મહીસાગર જિલ્લામાં કોરોના પોઝિટિવનો આંકડો દસ પર પહોંચ્યો છે ત્યાંરે કોરોના ખેડૂતો ખાતર મેળવવાની લહાયમાં કોરોના મહામારીનું ભાન ભૂલ્યા હતા.
લુણાવાડામાં વસંતસાગર પાસે આવેલા જી એન એફ સી ગોડાઉનની બહાર ખાતર લેવા માટે સોસિયલ ડિસ્ટન્સિંગના લીરેલીરા ઉડાવી મોટી સંખ્યામાં ખેડૂતોની લાંબી કતારો સાથે અફડાતફડી જોવા મળી. ઉનાળાની ે મધ્યાહને આકરી ગરમીમાં બાજરી, જુવાર જેવો લીલો ઘાસચારો સૂકાતા પશુધન બચાવવા ખાતર મેળવવા ખેડૂતો બેબાકળા બની કોરોના મહામારી ભૂલ્યા હોવાનું જણાઈ રહ્યું છે.
આટલી મોટી ભીડ જોવા મળતા તંત્રની કોવિડ૧૯ને અનુલક્ષી બનાવેલી વીજિલેન્સ ટીમ ક્યાં ફરજ બજાવે છે તેવો મોટો સવાલ ઉભો થઇ રહ્યો છે. લુણાવાડા નર્મદા સહાય કેન્દ્ર પર છેલ્લા બે દિવસથી ખાતર આવી ગયું હતું અને ટોકન આપી ખાતર વિતરણ કરવાનું હતું. પરંતુ તંત્ર ખેડૂતોને યોગ્ય સંદેશ આપવામાં નિષ્ફળ નિવડતાં સંક્રમણના ભયવાળી સ્થિતિ સર્જાઈ હતી.
ખેડૂતોમાં યુરિયા ખાતરની માંગ અને છેલ્લા પખવાડિયામાં જોવા મળી રહી છે .તેમ છતાં જિલ્લાનું ઉચ્ચ કક્ષાની વહીવટી સાંકળ ખેડૂત સુધી ખાતર વિતરણની સાંકળ બનાવવામાં નિષ્ફળ નીવડયું પરિણામે કોરોના પોતાના સંક્રમણની સાંકળ બનાવશે તેવો ધરતીપુત્રોમાં ભય જોવા મળ્યો છે.
સામાન્ય રીતે હાલના સમયમાં કોઈપણ દુકાનની બહાર ભીડ જોવા મળે તો તંત્ર દોડી પડી દુકાનદાર વિરુદ્ધ જાહેરનામા ભંગની કે દુકાન સિલ કરવાની કરવાની કાર્યવાહી કરે છે .
ખેડૂતોને ખાતર માટે ટટળાવતા ખાતર ડેપો અને ખેતીવાડી વિભાગના અધિકારીઓ વિરૃદ્ધ આવી કાર્યવાહી કેમ કરાતી નથી. સામાન્ય લોકો અને સરકારી તંત્ર સાથે જોડાયેલા અધિકારી કે સહકારી સંઘો માટે કાયદા જુદા જુદા છે તે સવાલ ઉઠી રહ્યો છે.બીજી તરફ જો ઉજ્જ્વલા ગેસ વિતરણ કે રેશન વિતરણ થઈ શકતું હોય તો ખાતર વિતરણ માટે ગ્રામ્ય કક્ષાએ સરપંચ તલાટી ગ્રામ સેવકના સંકલનમાં ખેડૂતોની જરૃરીયાત મુજબ વિતરણનું આયોજન કરવામાં આવતું નથી કે કાળાબજારીયાઓની મિલીભગત નડે છે એ સવાલ જગતના તાતને મૂંઝવી રહ્યો છે.
બે દિવસ અગાઉ ખાતર વિતરણની અફવાઓના પગલે લુણાવાડા સંઘની બહાર ખેડૂતોની મોટી ભીડ યુરિયા ખાતરની ખરીદી માટે એકત્ર થઈ હતી.