યશ : 'રામાયણ' માં રામ તરીકે રણબીર કપૂર અદ્ભુત છે

ર૦૨૬ ની અત્યંત આતુરતાથી રાહ જોવડાવતી ફિલ્મ 'રામાયણ : ભાગ-૧' ચાહકોમાં અનેરો ઉત્સાહ જગાવનારી ફિલ્મ સાબિત થઈ રહી છે. આ મહત્ત્વાકાંક્ષી ફિલ્મમાં રણબીર કપૂર ભગવાન રામ તરીકે અને સાઉથ ઇન્ડિયન સુપરસ્ટાર યશ રાવણ તરીકે અભિનય કરી રહ્યા છે. આ અનેરા મહત્ત્વાકાંક્ષી મહાકાવ્યને વૈશ્વિક સ્તરે વ્યાપકપણે રજૂ કરવાની ગોઠવણ ચાલી રહી છે. જોકે , આ બંને કલાકારોને સ્ક્રીન-સ્પેસ શેર કરવા જોવા માટે ઉત્સુક ચાહકોએ થોડી રાહ જોવી પડી શકે છે.
આંતરરાષ્ટ્રીય મીડિયા સાથેની વાતચીત દરમિયાન, આ ફિલ્મનું પ્રતિનિધિત્વ નિર્માતા નમિત મલ્હોત્રા અને યશ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અભિનેતા યશ ફિલ્મના પહેલા ભાગ વિશે ઘણી રસપ્રદ વિગતો જાહેર કરી.
રણબીર કપૂર સાથે કામ કરવાના તેના અનુભવ અંગે વાતો કરતાં યશે જણાવ્યું, 'આ ફિલ્મના પહેલા ભાગમાં બંને કલાકારો સાથે દેખાવાના નથી.' આ સાથે યશે સમજાવ્યું હતું કે, 'રસપ્રદ વાત એ છે કે અમે બંને આ ફિલ્મમાં ક્યારેય પડદા પર સાથે આવ્યા નથી. જે તમે બધા જાણો જ છો કે આ તો બે ભાગની ફિલ્મ છે. તેથી પહેલા ભાગમાં રાવણ પાસે એનું પોતાનું રાજ્ય છે અને રામનું પોતાનું રાજ્ય છે.
'રામાયણ' દિવાળીમાં રિલીઝ થનારી ફિલ્મ છે. 'રામાયણ'ના પહેલા ભાગમાં રામ અને રાવણના અલગ અલગ વિશ્વ બતાવવામાં આવશે. યશ કહે છે, 'હું અને રણબીર શૂટિંગ વેળા થોડા સમય માટે મળ્યા હતા. રણબીર ઉત્તમ અભિનેતા છે. અમારી વચ્ચે પરસ્પર સન્માનથી લાગણી છે. જ્યારે એક મોટી ફિલ્મમાં કામ કરવામાં આવે છે ત્યારે બધાનું લક્ષ્ય વાર્તાને સારી રીતે રજૂ કરવાનું હોય છે. અમારી વિચારધારા એક જેવી હોવાથી અમારી કેમેસ્ટ્રી અંગે કોઈ સમસ્યા નથી.' રણબીર-યશની ટક્કર જોવાનો જલસો પડવાનો છે તે નક્કી!









