એકડા વિના મીંડા વ્યર્થ, ધર્મ વિના જીવન વ્યર્થ

- પ્રેરણાની પરબ - આચાર્ય વિજય અક્ષયરત્નસૂરિ
આપણને મળેલા આ દુર્લભ માનવજીવનને શુભ કાર્યો દ્વારા સફળ બનાવવા માટેનું ત્રિપદીનું ત્રીજું પદ છે 'જીવવું છે...' આજે કરીએ આપણે આ ત્રિપદીના અંતિમ પદનું મસ્ત વિશ્લેષણ...
કીડી કે મંકોડાને જો પકડવાનો પ્રયત્ન કરાય તો તે ઝડપથી ભાગવાનો પ્રયત્ન કરશે. એ જીવોની અવ્યક્ત લાગણીમાં 'હજી તો મારે જીવવું છે', એવી તડપન જોવા મળશે. કતલખાને લઈ જવાતા પશુના મુખમાંથી સતત કરુણ સ્વર નીકળતો હોય છે - જાણે તેઓ કહેતા ન હોય કે 'ભલા કોઈ તો અમને બચાવો, હજી તો અમારે જીવવું છે...' ટૂંકમાં, જીજીવિષા લગભગ જગતના દરેક જીવોની હોય છે. યાવત્ જેઓ આત્મહત્યાનો માર્ગ ફાંસી આદિ દ્વારા પસંદ કરે છે તેઓ પણ અંત સમયે તો બચવા માટે તરફડાટ કરતા હોય છે. અલબત્ત, પ્રસ્તુતમાં 'જીવવું છે' આ પદની વ્યાખ્યા જરા અલગ અંદાજમાં કરવાની છે. 'શ્વાસ ચાલવા=જીવતા હોવું' એવી વ્યાખ્યા નહિ, બલ્કે 'કાર્યમય વૃત્તિ/પ્રવૃત્તિ હોવી=જીવતા હોવું' એવી વ્યાખ્યા કરવાની છે. મૃત વ્યક્તિનાં શરીરમાં હલન-ચલન જોવા મળતું નથી, એમ આધ્યાત્મિક રીતે મૃત વ્યક્તિનાં જીવનમાં ધર્મની વિશિષ્ટ વૃત્તિ-પ્રવૃત્તિ જોવા મળતી નથી. આપણે આ વાતને એક કરુણ ઘટના દ્વારા સમજીએ :
માર્ગ ઉપર એક સ્થળે ઘણા લોકો એકત્ર થયા હતા. રસ્તા પરથી પસાર થતા યુવાને આ દ્રશ્ય જોયું. એ ટોળાની વચ્ચે લોકોનું એકત્ર થવાનું કારણ જાણવા પહોંચ્યો. લોકોની વચ્ચે એક નાનકડો છોકરો બેઠો હતો. તેના હાથ-પગ બંને કપાઈ ગયા હતા, આંખો ફૂટી ગઈ હતી, પેટના ભાગ પાસે ચાંદા પડયા હતા અને તેમાંથી લોહી-પરુ વહેતા હતા, માથાના ભાગમાં પણ કાંઈક વાગ્યું હતું. કર્મોએ જાણે ચોતરફથી તેના ઉપર આક્રમણ કર્યું હતું. છોકરાની બાજુમાં એક પાટિયા પર કોઈએ બાળક માટે લખ્યું હતું કે 'મારી જીભ પણ કપાઈ ગઈ છે. હું કાંઈ બોલી શકતો નથી. તેથી તમે સહુ મને કાંઈને કાંઈ મદદ કરતા જાઓ.' દ્રશ્ય અત્યંત કરુણ હતું. યુવાનના હૈયામાં આ દ્રશ્ય જોઈ અપાર કરુણા પ્રગટી. કર્મસત્તા પોતાનો હિસાબ પૂરો કર્યા વિના કોઈને છોડતી નથી અને જીવની આવી ભયંકર દશા કરે છે એવા વિચારો આવ્યા. ત્યાં ભેગા થયેલા લોકોનાં મુખમાંથી પેલા નાનકડા છોકરા માટે વારંવાર 'અપંગ' શબ્દ નીકળતો હતો. આ સાંભળીને યુવાનના મનમાં સચોટ ચિંતન ચાલ્યું કે 'ખરો અપંગ કોણ કહેવાય ? જેને હાથ-પગ નથી મળ્યાં તે અપંગ કહેવાય ? કે હાથ-પગ સારા-નરવા મળ્યા છતાં જે તેનો ધર્મમાર્ગે સદુપયોગ નથી કરતો તે 'અપંગ' કહેવાય ? યુવાનનું આ ચિંતન આપણને બહુ સ્પષ્ટ સમજાવે છે કે જો મળેલા સુંદર શરીરનો હાથ-પગ આદિનો ધર્મમાર્ગે સદુપયોગ ન કરાય તો વ્યક્તિ 'અપંગ' ગણાય. તેમ જીવનમાં ધર્મની વિશિષ્ટ વૃત્તિ-પ્રવૃત્તિ ન હોય તો વ્યક્તિ 'જીવંત' પણ કેમ ગણાય ? આવો, આ વાતને હૃદયસ્થ કરીએ અને 'જીવવું છે' આ પદને આત્મસાત્ કરવા આપણી વૃત્તિ-પ્રવૃત્તિને ધર્મમય બનાવીએ. આ માટે યાદ રાખીએ આ વાક્ય કે 'એકડા વિનાના મીંડા વ્યર્થ છે... ધર્મ વિનાનું જીવન વ્યર્થ છે...'








