શંખ શા માટે વગાડયો ?
પરમાત્મા સર્વવ્યાપી, સર્વશક્તિમાન અને સર્વજ્ઞા છે. તેઓ મન કરતા પણ વધારે વેગવાળા છે. તેઓ મનની ગતિથી પણ ખૂબ દૂર સુધી પહેલેથી જ હાજર છે. તેઓ અનાદિ અને જ્ઞાાનસ્વરૂપ છે. અનાદિ હોવાના કારણે તેઓ પહેલેથી જ બધાને જાણે છે.
સર્વજ્ઞા તથા સર્વવ્યાપી પરમાત્મા આપણાં સારાં કે ખરાબ શુભ કે અશુભ બધા પ્રકારના કર્મોના સાક્ષી છે. તેથી આપણે તેનાથી કોઈપણ કર્મને છુુપાવી શક્તા નથી. તેઓ બધે જ વ્યાપેલા છે, તેથી આપણે ગમે ત્યાં કર્મ કરીએ તેને તેઓ જાણી લે છે. આપણે જેવું કર્મ કરી શુ એવુ જ ફળ આપણને મળશે, તેથી આપણે હંમેશા શુભ તથા પુણ્ય કર્મો જ કરવા જોઈએ, જેથી આપણને હંમેશા સુખ, શાંતિ તથા આનંદ પ્રાપ્ત થતા રહે.
શ્રીરામ શર્માજીએ સાચું જ કહ્યું છે કે ઇશ્વર બંધ નહિ હૈ મઠમેં, વહ તો વ્યાપ રહા ઘટઘટ મેં પુલિસ અદાલત હૈ આજ્ઞાાન, કિંતુ અટલ હૈ ઇશવિધાન. આપણને આપણાં કર્મોનું ફળ અવશ્ય મળે છે. આપણે તેમાંથી બચી શક્તા નથી. આપણે ઇશ્વરને સર્વ વ્યાપી તથા ન્યાયકારી માનીને હંમેશા સન્માર્ગે ચાલીને શુભ તથા પુણ્ય કર્મો જ કરવા જોઈએ.
આપણે કોઈપણ કર્મ કરતા પહેલા વિચારવું જોઈએ કે આપણાં કર્મોને ઇશ્વરની નજરથી છુપાવી શકાતા નથી. આપણા ખરાબ કર્મોનું પરિણામ ખરાબ અને સારાં કર્મોનું પરિણામ હંમેશા સારું જ મળશે. આવો વિશ્વાસ રાખવાથી આપણે અશુભ કર્મો તથા પાપથી બચી શકીશું. પરિણામે તેમના કારણે મળનારાં દુ:ખોમાંથી પણ બચી જઈશું.
આ સંદર્ભમાં એક સરસ કથા છે. એકવાર ગોસ્વામી તુલસીદાસજી રાત્રે ક્યાંકથી ઘેર પાછા ફરી રહ્યાં હતા. ત્યારે તેમણે સામેથી ચોરોને આવતા જોયા. ચોરોએ તુલસીદાસને પૂછયું,' તમે કોણ છો ?' તેમણે જવાબ આપ્યો કે ' ભાઈ ! જે તમે છો તે હું છું' દરેક જીવ ઇશ્વરનો અંશ છે. એવિ દૃષ્ટિએ જ તુલસીદાસજીએ કહ્યું હતું કે ' જે તમે છો એ જ હું છું.' પરંતુ ચોરોએ એનો એવો અર્થ કર્યો કે તેઓ ચોર છે, એ જ રીતે તુલસી દાસ પણ ચોર છે. આથી તેમણે કહ્યું કે ' તું નવો નવો ચોર હોય એવું લાગે છે, તેથી તું અમારી સાથે ચાલ અને ચોરી કરવામાં મદદ કર.
તુલસીદાસજી તૈયાર થઈ ગયા અને તેઓ પણ ચોરોની સાથે ગયા. અંધારી રાતે એક ઘરમાં ઘુસીને પૈસા, સોનું, ઝવેરાત વગેરે શોધવા માંડયુ અને તુલસીદાસજીને દરવાજે ઉભા રહેવાનું કહ્યું તથા જો કોઈ આવતુ જણાય તો તેમને સાવધાન કરવાનું જણાવ્યું, જેથી તેઓ પકડાઈ ન જાય. ચોરો અંદર ધન શોધતા હતા એટલામાં જ તુલસીદાસજીએ પોતાની ઝોળીમાંથી શંખ કાઢીને વગાડવા માંડયો. શંખનો અવાજ સાંભળીને ચોરો ગભરાઇ ગયા અને બહાર નીકળી ગયા. બહાર આવીને જોયું તો ત્યાં કોઈ ન હતું, ફક્ત તુલસીદાસ જ હતા.
ચોરો તુલસીદાસજીને ઘરમાં ખેંચી ગયા અને પૂછયું, અહીં આસપાસ કોઈ આવ્યું નથી તો પછી તે શંખ શા માટે વગાડયો ?' તુલસીદાસે કહ્યું કે' તમે જ મને કહ્યું હતું કે જો કોઈ દેખાય તો અમને જાણ કરી દે જે. આથી મેં એ પ્રમાણે જ કર્યું છે. મેં ચારેય તરફ જોયું તો મને સર્વત્ર પ્રભુ શ્રીરામ જ દેખાયા. તેથી મેં વિચાર્યું કે તેમણે તમને ચોરી કરતાં અવશ્ય જોઈ લીધા છે ચોરી કરવી એ પાપ છે, તેથી પ્રભુ શ્રીરામ તમને દંડ કરશે.'
'પરંતુ તને પ્રભુ શ્રીરામચંદ્ર ક્યાં દેખાયા ? ચોરોએ પ્રશ્ન કર્યો. તુલસીદાસે કહ્યું કે' ભગવાનનો વાસ ક્યાં નથી ? તેઓ તો સર્વજ્ઞા છે, સર્વ વ્યાપી છે, અંતર્યામી છે. તેઓ બધે હાજરાહજુર છે. મને તો તેઓ આ સંસારમાં ચારેય બાજુ વિરાજમાન દેખાય છે, તેથી તેઓ મને ક્યાં દેખાયા એ કેવી રીતે બતાવુ ?' ચોરોએ જ્યારે આ સાંભળ્યું ત્યારે તેઓ સમજી ગયા કે આ માણસ કોઈ ચોર નથી, એ તો મહાત્મા છે. મહાત્મા કદાપિ જૂઠું બોલતા નથી. અત્યાર સુધી તો આપણે કોણ જાણે કેટલાય પાપ અને કેટલીય ચોરીઓ કરી છે, તેથી દરેક વખતે ભગવાને આપણને એ પાપ કરતા જોયા હશે. તે ચોરોને પોતે કરેલા પાપકર્મો બદલ પસ્તાવો થયો.
તેઓ તુલસીદાસજીનાં ચરણોમાં પડી ગયા અને બોલ્યા, 'હે મહાત્મા ! આજે તમે અમારી આંખો ખોલી નાખી છે. આજથી અમે કદાપિ ચોરી કે બીજા કોઈ પાપકર્મો નહિ કરીએ. એ બધાય ચોરોએ ચોરી કરવાનું છોડી દીધું અને સત્યના માર્ગે ચાલવા લાગ્યા. તેઓ તુલસીદાસના શિષ્ય બની ગયા અને ઇશ્વરની ભક્તિ કરવા લાગ્યા. ઇશ્વરને ઘટ-ઘટમાં વ્યાપેલા માનવાથી માણસનું જીવન બદલાઇ જાય છે.