Magazines

ફરીદા જલાલ ફિલ્મમાં ગાળો બોલવા શા માટે તૈયાર થયા?

By GS TEAM
19 Mar 20262 mins read
ફરીદા જલાલ ફિલ્મમાં ગાળો બોલવા શા માટે તૈયાર થયા?

- 'વિશાલ ભારદ્વાજ એક દિવસ મારા ઘરે આવ્યા.  વિશાલજીએ મને પહેલો સવાલ જ એવો કર્યો કે ફરીદાજી આપ ગાલી બોલેંગી ના? તમે વિચારો કે એ સાંભળી મારી શું હાલત થઈ હશે?'

૭૫ વરસનાં વર્સેટાઈટલ એક્ટર ફરીદા જલાલ પોતાની ૫૫ વરસની કરીઅરમાં કોઈ વિવાદમાં પડયા હોય એવું સાંભળ્યું નહોતું, પણ આજકાલ તેઓ વિશાલ ભારદ્વાજની લેટેસ્ટ ફિલ્મ 'ઓ રોમિયો'ને કારણે ચર્ચામાં છે. ફિલ્મમાં એમને પોતાની સાફસુથરી ઈમેજથી બિલ્કુલ વિરુદ્ધ ગાળો બોલતા જોઈને લોકોએ આંચકો અને આશ્ચર્ય બંને અનુભવ્યા. 'ઓ રોમિયો'માં ફરીદા, શાહિદ કપૂરનાં દાદીના રોલમાં છે. પોતાના સ્ક્રીન પર ગાલીગલોચ કરવાથી જાગેલા વિવાદ વિશે બોલતા પીઢ અભિનેત્રી કહે છે, 'મુઝે બિલ્કુલ નહીં માલુમ થા કિ ઈતના બવાલ હો જાયેગા. મને એ વાતની ખુશી છે કે આટલાં વરસો હું મારી છબિ, મારી સાખ જાળવી શકી. હું અમુક લક્ષ્મણ-રેખા પાર નહિ કરું અને એક દાયરામાં રહીશ એવા નિર્ણયને આટલો વખત વળગી રહી શકી. 'ઓ રોમિયો'માં પણ હું મારા પૌત્રને કહું છું કે તારા દાદા આવું આવું બોલ્યા હતા. મારું પાત્ર ગાળો નથી બોલતું, પરંતુ અફસોસ એ વાત પર કોઈનું ધ્યાન નથી ગયું.'

આવું વિવાદાસ્પદ પાત્ર પોતાને કઈ રીતે મળ્યું એ વિશે મીડિયા સાથે ખુલા દિલે વાત કરતા ફરીદા કહે છે, 'મને પ્રોડયુસર-ડિરેક્ટર સાજિદ નડિયાદવાલા માટે ખાસ લાગણી છે, પણ એમણે મને કદી પોતાની ફિલ્મમાં રોલ નથી આપ્યો. એટલે મારી એમની સામે કાયમ ફરિયાદ રહેતી. 'ઓ રોમિયો'ના તેઓ પ્રોડયુસર છે અને એમની સાથે મેં આ પહેલી ફિલ્મ કરી છે. વિશાલ ભારદ્વાજ સાથે કામ કરવાનું તો દરેક એક્ટરનું સપનું હોય છે. કાસ્ટિંગ ડાયરેક્ટર મુકેશ છાબડા વિશાલજીને લઈને એક દિવસ મારા ઘરે આવ્યા ત્યારે મારી પણ એમની સાથે કામ કરવાની ઇચ્છા પુરી થઈ. વિશાલજીએ મને પહેલો સવાલ જ એવો કર્યો કે ફરીદાજી આપ ગાલી બોલેંગી ના? તમે વિચારો કે એ સાંભળી મારી શું હાલત થઈ હશે? હું જેની ફિલ્મ કરવા વરસોથી વાટ જોતી હતી એ માણસ આવીને મને આવું પૂછી રહ્યો છે! હવે કરવું શું? મેં એમને પૂછ્યું કે મારે ગંદી ગંદી ગાળો તો નહિ બોલવી પડેને? એમણે મને થોડો દિલાસો આપવા કહ્યું કે ના, ના અમુક 'સાદી' ગાળો જ હશે. એટલે મેં તરત કહી દીધું, સર, કોઈ બાત નહીં, ગાલી દે દેંગે.'