રોજ રોજ શું રાંધવું? ગૃહિણીની મૂંઝવણ
શાકભાજીની બાબતમાં પણ વિવિધતા લાવી શકાય. દરરોજ બટાકાનું શાક બનાવવું ઉચિત નથી અને સ્વાસ્થ્યવર્ધક પણ નથી. બટાકાંની ઘણી વાનગીઓ બની શકે તેમ છે. પરંતુ અન્ય શાકભાજી મળતાં હોય, ત્યારે બટાકાનું શાક બનાવવા પર ભાર મૂકવાની આવશ્યકતા નથી.
ઘણી ગૃહિણીઓ દિવસ દરમિયાન ઓફિસમાં ફોન કરી તેમના પતિદેવને પૂછે છેઃ ''આજે સાંજે શું રસોઈ બનાવું?'' કેટલીક સ્ત્રીઓ તો સવાર-સાંજ શું ભોજન બનાવવું તેની ચિંતામાં જ તાણ મુક્ત રહે છે.એક દિવસ મેં ગીતાને પૂછ્યું, ''શું તું ભોજન માટે કોઈ આયોજન નથી કરતી?'' મારો પ્રશ્ન સાંભળી તેણે અને તેનાં સાસુએ જાણે હું કોઈ મુર્ખ સવાલ ન પૂછી બેઠી હોઉં.
બેમાંથી કોઈ 'હા' કે 'ના' બોલે તે પહેલાં જ ગીતાના સસરા ખિજાઈને બોલી ઉઠયા, ''શું કહ્યું તે દીકરી, આયોજન? તું આયોજનની વાત કરે છે? અહીં તો સવાર-સાંજ રોટલી ટીપી આપે છે, એય બહુ થઈ ગયું. રસોઈનું આયોજન કદી એમના બાપને ઘેર કે નથી થયું એમને પોતાને ઘેર.'' આટલું કહી એ તો બહાર ચાલ્યા ગયા.
મેં ગીતાના પતિને ઘણીવાર જમવા બાબતમાં કંઈ બબડતા સાંભળ્યા હોવાથી મને આ પ્રશ્ન પૂછવાનંુ જરૂરી લાગ્યું. ડાઇનિંગ ટેબલ પરની થાળીમાં પડેલો અધૂરી રોટલીનો ટુકડો નરેનભાઈ ખાધા વિના જતા રહ્યા હશે. તેની ચાડી ખાતો હતો.
હું જવાની તૈયારી કરી રહી હતી ત્યાં જ બાએ મને રોકી લીધી. તેમણે કહ્યું, ''ચા પીને જજે.'' પછી તે મારી નજીક સરક્યા અને બોલ્યાં, ''તું શું કરવાનું કહેતી હતી કે, આ મને કંઈક સંભળાવી ગયા?''
મેં કહ્યું કે, ''હું ગીતાને એમ પૂછતી'' તી કે તે રસોઈ બનાવતાં પહેલાં એ અંગે કંઈ વિચારે છે કે નહીં?'' ''અરે દીકરી, ઘરમાં બને છે જ શું વળી? રોજ સવારે શાક, રોટલી, દાળ અને ભાત. સાંજે શાક- પરોઠા ને ખીચડી.''
મેં કહ્યું, ''બધાંને ત્યાં દરરોજ આજ બનતું હોય છે, પણ આને સમજી-વિચારીને આયોજનપૂર્વક બનાવવામાં આવે, તો રસોઈ સારી બને અને જમવામાં પણ આનંદ પણ વધુ આવે.
''એમ, તો તો જાણવું પડશે.'' કહી તેમણે દીકરી સુધાને પણ બોલાવી. ત્યાં સુધીમાં ગીતા ચા લઈને આવી ગઈ. તેમણે ગીતાને કહ્યું, ''આવ, તું પણ બેસ. સાંભળ આ બેલા ખાવાપીવા વિશે કંઈક કહે છે.''
મેં કહ્યું કે ભોજન અંગેની અમુક બાબતો તો ખૂબ જ આવશ્યક છે. પહેલી વાત તો એ કે ભોજનમાં વિવિધતા હોવી જોઈએ. દા. ત. રોજ તુવેરની અથવા અડદની દાળ બને, તો અરુચિ થઈ જાય. આથી રોજ જુદી જુદી દાળ બનાવવી જોઈએ. ક્યારેક મગ, ક્યારેક અડદ, ક્યારેક ચણાની, ક્યારેક મસૂર અને ક્યારેક બધી મિક્સ દાળ, હા, ઘરની દરેક વ્યક્તિ એક જ પ્રકારની દાળ પસંદ કરતી હોય. તો તે અઠવાડિયામાં વધારે વખત બનાવી ક્યારેક શાક પણ નાખવું જોઈએ. જેમ કે ચણાની દાળમાં દૂધી નાંખી શકાય. કહેવાનો મતલબ એ છે કે હંમેશા, નવી દાળ ખાવા મળે, તો થાળી આવતાં જ કંઈક નવીનતા લાગે.
''અમારે ત્યાં તો તુવેરની દાળ સિવાયની બીજી દાળને કોઈ અડતું જ નથી.'' ગીતાએ કહ્યું. સુધા અને તેનાં મમ્મીએ પણ એવી જ પ્રતિક્રિયા વ્યક્ત કરી. મને પણ કહ્યું આવી શંકા ઊભી થશે જ એટલે હું પણ તૈયાર હતી.
મેં કહ્યું, ''હવે લગ્ન કે કોઈ પાર્ટીમાં તો ઘણીવાર તુવેરની દાળ નથી બનતી. શું આવા પ્રસંગે ઘરનાં કોઈ બીજી દાળ નથી ખાતા? ત્યાં તો કોઈ ફરિયાદ નથી કરતું કે તુવેરની દાળ નથી બનાવી એટલે અમે નહીં જમીએ. આવાં નખરાં ઘરમાં જ ચાલે છે ને?'' તેમને પણ મારી વાતમાં કંઈક દમ લાગ્યો. અને મેં થોડું સમજાવ્યું,
બીજી વાત એ કે, ગૃહિણીએ હંમેશા એ બાબતનું ધ્યાન રાખવું જોઈએ કે ભોજનમાં સ્વાસ્થ્યવર્ધક ચીજોનો પણ સમાવેશ થાય. માટે તમારે જમવા સાથે હંમેશા કચુંબર પીરસવંુ જોઈએ. તેના માટે વધારે ખર્ચ કરવાની આવશ્યકતા નથી. જે વસ્તુ સસ્તી હોય, તેનું કચુંબર બનાવી શકાય. કાકડી, મૂળા, બીટ, સલગમ, ડુંગળી, ટામેટાં, કોબીજ, લીલી હળદર, આંબા હળદર, આદું, કેપ્સિકમ, કોથમીર, લીલાં મરચાં, પાલક, લીંબુના અનેક મિશ્ર સલાડ બનાવી શકાય. સલાડની ભાજીનાં પાન બજારમાં મળે છે. સલાડ બનાવવામાં વધારે સમય નથી લાગતો. હા, સમય હોય, તો સલાડનું સારું ડેકોરેશન પણ કરો. ડાઇનિંગ ટેબલ પર સલાડની ડિશનું અનેરું આકર્ષણ હોય છે.
શાકભાજીની બાબતમાં પણ વિવિધતા લાવી શકાય. દરરોજ બટાકાનું શાક બનાવવું ઉચિત નથી અને સ્વાસ્થ્યવર્ધક પણ નથી. બટાકાંની ઘણી વાનગીઓ બની શકે તેમ છે. પરંતુ અન્ય શાકભાજી મળતાં હોય, ત્યારે બટાકાનું શાક બનાવવા પર ભાર મૂકવાની આવશ્યકતા નથી. એકાદ લીલું શાક હોવું જરૂરી છે. ટીંડોળા, દૂધી, અળવી, કોળું, રીંગણ જેવાં અન્ય શાક ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે, તે પણ ક્યારેક બનાવો.
શિયાળામાં ઘણાં શાક મળી રહેતા હોય છે. તેમાંથી પસંદ કરી જુદાં જુદાં કોઈ કોરાં, તો કોઈ રસાદાર શાક બનાવો. તે ઘરનાં સભ્યોની પસંદગી અનુસાર બનાવો. શિયાળામાં લીલવા, તુવેર, અને બટાકાં, સેવ-ટમેટાં, ઉંધિયું, આલુછોલે, મઠ, રાજમા, ચણા અને પનીર પણ બનાવો. તેમનો સ્વાદ આમેય અલગ હોય છે.
દરરોજ રોટલી પણ ભાવતી નથી. તમે ક્યારેક પૂરી, મેથીનાં થેપલાં, ભાતનાં થેપલા, પરોઠાં તથા કચોરી બનાવો છો, તેમ રોટલીમાં પણ વિવિધતા લાવી શકો. ક્યારેક ભાખરી બનાવીને જમાડો. ચણાનો લોટ તથા અન્ય મિક્સ આટાની ભાખરી તથા બાજરાના રોટલા પણ બનાવી શકો. મકાઈના રોટલા અને સરસવની ભાજીની તો વાત જ શી કરવી?
ભાતની બાબતમાં પણ આવી રીતે જ વિવિધતા લાવી શકાય. ક્યારેક પુલાવ તો ક્યારેક વઘારેલા ભાત, છાશવાળા ભાત અને ચોખામાં ચણા, વટાણા, ભૂરા કોળાની વડી વગેરે નાંખી ખીચડી પણ બનાવી શકો. ખીચડી એકલી કોઈને ભાવતી નથી. જ્યારે દહીં કે મઠાની વ્યવસ્થા હોય, ત્યારે જ એકલી ખીચડી બનાવો. તેની સાથે ચટણી કે પાપડ પીરસો તો પણ ભાવે છે. થોડું ચોખ્ખું ઘી નાખો તો ઓર મજા આવશે. અથાણું હોય તો પણ ચાલે.
પરોઠાની તો વાત જ જુદી છે. તેમાં ગમે તે ભરીને બનાવો. મૂળાં, બથવાનાં વાટીને નાખેલાં પાન, વધેલું શાક, દાળ વગેરે. પછી જોજો, જેમણે ખાવાની ના પાડી હશે, તે પણ ડાઇનિંગ ટેબલ પર આવી જશે.
વાત-વાતમાં મેં કહ્યું કે, મારાં સાસુએ મને શરૂઆતમાં આ અંગેનંુ થોડું શિક્ષણ આપ્યું હતું. તેમનું કહેવું હતું કે ભોજનમાં સલાડ, ચટણી, પાપડ, દહીંની કોઈ વાનગી કે કંઈક મીઠાઈ જેવી પાંચ વાનગીઓને બદલે ત્રણ વાનગી હોય તો પણ સંપૂર્ણ ભોજન કહી શકાય. તેમણે સ્વાસ્થ્યનું ધ્યાન રાખી દહીં પર ભાર મૂક્યો હતો. જો દહીંનું રાયતું બનાવી શકાય તો સારું.
નહીંતર દહીંમાં જીરું અને મીઠું નાખી દો. સમય હોય તો જમ્યા પછી પીવા માટે માખણ ઉતારેલી તાજી મોળી છાશ વલોવીને તૈયાર કરો. આમ તો દહીંનો ઉપયોગ ડુંગળી, બાફેલાં બટાકાં, દૂધી, કાકડી, પપૈયું કે બુંદી નાખીને રાયતું બનાવવામાં પણ કરી શકાય. આ વાનગી બનાવવામાં વધારે સમય લાગતો નથી. જો કંઈ મીઠાઈ ન હોય, તો એકાદ ફળ મૂકી દો. આ તો ઘરે બનાવેલો, ફ્રીઝમાં જમાવેલો આઈસક્રીમ એમની પ્રિય મીઠાઈ હતી. હા, ક્યારેક તે કસ્ટર્ડ પણ બનાવતાં.
ઉપસંહાર રૂપે મેં તેમને કેટલાંક સલાહ-સૂચન પણ આપ્યાં. જેમ કે જે બનાવો તે પ્રેમથી જમાડો. ક્યારેક કોઈને કહ્યા વિના ભોજનમાં કોઈ સ્વાદિષ્ટ વાનગી મૂકી દો. જેથી ખાનાર આશ્ચર્યચકિત બની જાય. જો તમે ઘરનાં સભ્યોમાં એવી જિજ્ઞાાસા જાગૃત કરી શકો કે ઘરે આવતાંની સાથે જ બધાં તમને પૂછે કે, ''આજે જમવામાં શું મળશે?'' ત્યારે તમે સમજશો કે તમે એક સફળ ગૃહિણી છો.
મેં જતાં-જતાં ગીતાને સમજાવી કે તું શરૂઆતમાં માત્ર બે દિવસનું આયોજન કરીને અખતરો કરી જો, જેમાં એક દિવસે લંચ તથા એક રાતે ડિનર રાખવાનું. ઘરમાં બધાંને કહી દેવાનું કે, ''આજે વિશેષ ભોજન છે.'' હા, આયોજન ખિસ્સાને પરવડે તેવું જ હોવું જોઈએ. તેનું ધ્યાન જોઈએ.
- એકતા