Magazines

કહ રહા હૈ આસમાં યહ સમા કુછ ભી નહીં

By GS TEAM
21 Jan 20262 mins read
કહ રહા હૈ આસમાં યહ સમા કુછ ભી નહીં

આપણે કોઈ પણ પદ પ્રતિષ્ઠા કે નામના કમાવવા માટે ભલે પ્રયત્ન કરીએ પરંતુ અનુભવી લોકો કહે છે. ગમે તેટલું ધન, માન મેળવ્યા હશે પરંતુ સમય જતાં આપણું નામ ભૂંસાઈ જશે. કાંઈ જ સ્થિર નથી. કાયમી નથી. ભૂતકાળમાં થઈ ગયેલા રાજા-મહારાજાઓ નવાબો કે સમ્રાટોએ બનાવેલા મહેલો આજે ખંડેર છે. જ્યાં હજારો રંગના ફાનસ પ્રકાશ પાથરતા હતા. હજારો કવ્વાલો નોબત વગાડીને ગૌરવ આપતા હતા તેવા ભવનોમાં ભૂતાવળ ફરતી હોય તેવાં ભાસે છે. તો પછી આ બધું મેળવવા જતાં આપણી શાસ્વત શાંતિને ખોઈ ના બેસીએ તે માટે પ્રાત: સ્મરણીય સંત, યુગદ્રષ્ટા પૂ. આનંદનાથજી મહારાજ, શંકરતીર્થ આશ્રમ સાણંદવાળા પોતાના કથા પ્રવાહમાં સિંહ ગર્જના કરતાં વારંવાર કહે છે :

કહ રહા હૈ આસમાં

યહ સમા કુછ ભી નહીં.

રો રહી હૈ શબનમેં નોરંગે

જહાં કુભ ભી નહીં.

જિનકે મહલોં મેં હજારો રંગ કે

જલતે થે ફાનુસ

ઝાડ ઉનકી કબ્ર પર

બાકી નિશાં કુછ ભી નહીં.

સમ્રાટ સિકંદર વિશ્વ વિજય કરવા નીકળ્યો હતો. છેવટે તેને ખ્યાલ આવી ગયો કે આ મહેનત વ્યર્થ છે. તેણે ફરમાન કર્યું હતું : 'મારી મૃત્યુ પછી જનાજો નીકળે ત્યારે મારા બન્ને હાથ બહાર રાખજો. હથેળીઓ ખુલ્લી રાખજો. જેથી વિશ્વના મહાનુભાવોને ખબર પડે કે સમ્રાટ સિકંદર કશું સાથે લઈ જઈ શક્યો નથી.'

જો સાથે કશું જ આવવાનું નથી તે ખબર પડી જાય તો પોતાની જરૂરિયાતથી વધારે ભેગું કરવાની શું જરૂર? પથારી કરવામાં રાત વીતી જાય તો પછી ઉંઘશું ક્યારે ? માટે રાત-દિવસ પોતાના શરીરની પરવા કર્યા વગર આંધળી દોટ મૂકતા, પદ-પ્રતિષ્ઠા, ધન-દોલત મેળવવા મથી રહેલા જીવ ક્યાંક ચેતી જાય. નિરાંતનો શ્વાસ લેવા રોકાઈ જાય. આંતરમનનો આનંદ માણી શકે તે માટે જે વિદ્યા છે તેનું નામ 'આધ્યાત્મ વિદ્યા'.

- નાથાલાલ બ્રહ્મક્ષત્રિય