Magazines

યુદ્ધની ભૂતાવળ જોઈને પાછી ફરેલી લારા દત્તા શું કહે છે?

By GS TEAM
26 Mar 20264 mins read
યુદ્ધની ભૂતાવળ જોઈને પાછી ફરેલી લારા દત્તા શું કહે છે?

ઇઝરાયેલ અને અમેરિકા સામે યુદ્ધે ચડેલા ઈરાને યુએઈ પર મિસાઈલો છોડયા અને બોંબમારો કર્યો ત્યારે દુબઈમાં ફસાઈ ગયેલા ઘણાં ભારતીયોમાં અભિનેત્રી લારા દત્તા ભૂપતિ પણ હતી. લારાએ ભયાનક પરિસ્થિતિનો ચિતાર આપવા સોશ્યલ મીડિયા પર એક વીડિયો પણ મૂક્યો હતો. અલબત્ત, હવે વેટરન એક્ટર પોતાની પુત્રી અને ઘરના સ્ટાફ સાથે સલામત મુંબઈ પાછી ફરી ગઈ છે. લારા પાછી ફરી હોવાની જાણ થતા એની સાથે ઘરોબો ધરાવતા અમુક મીડિયા પર્સન્સે એના ઘરે જઈ એની સાથે ટુંકુ ઇન્ટરએક્શન કરી લીધું.

સૌપ્રથમ લારાને મીડિયામાંથી પૂછાયું કે 'મેડમ, તમે ૪ માર્ચે તમારી વિડંબના વર્ણવતો વીડિયો ઇન્સ્ટાગ્રામ પર મુક્યો ત્યારે તમારા દિમાગમાં કેવી ગડમથલ ચાલતી હતી?' જવાબમાં ૨૦૦૦ની સાલમાં મિસ યુનિવર્સનો તાજ જીતનાર એક્ટર કહે છે, 'સામાન્યપણે હું આવો વીડિયો મૂકુ નહીં કારણ કે લોકોમાં ગભરાટ ફેલાવવાનું મને પસંદ નથી. પરંતુ એ સમયે હું  મારી પુત્રી (સાયરા, ૧૪ વર્ષ)  સાથે એક ભયાનક યાત્રા કરવાની હતી અને અમારું શું થશે એ અમે જાણતા નહોતા. સાચું કહું તો મને ત્યારે એક વિચાર એવો આવી ગયો હતો કે આ કદાચ મારો બધાનો છેલ્લો મેસેજ હોઈ શકે. તમે તો જાણો છો કે મારી દીકરી સારા ૭ વરસની હતી ત્યારથી ટેનિસ રમે છે. એને બેસ્ટ કોચ પાસેથી ટ્રેનિંગ મળે એ માટે અમે ૩ વરસ પહેલા દુબઈ શિફ્ટ થવાનો નિર્ણય લીધો. પરંતુ યુદ્ધ ફાટી નીકળ્યું ત્યારે અમે દુબઈમાં મા-દીકરી એકલા હતા. મારા પતિ મહેશ (ટેનિસ પ્લેયર મહેશ ભૂપતિ) કોઈક કામસર લંડન ગયા હતા. સંજોગો ડરામણાં હતા. બોંબ કે મિસાઈને આકાશમાં આંતરી નકામા ન બનાવી દેવાય ત્યાં સુધી તમને લાગે નહિ કે ખતરો ટળી ગયો છે.'

પછી લારાને બીજી પૃચ્છા થઈ, 'મેડમ, તમે આ બધા વચ્ચે દુબઈમાંથી કઈ રીતે બહાર નીકળ્યા?' એક જમાનામાં પ્રિયંકા ચોપરાની સબળ હરીફ ગણાતી એક્ટર એનો વિગતવાર જવાબ આપતા કહે છે, 'અમે ફુઝૈરાહથી ફ્લાઈટ પકડવાનું પસંદ કર્યું. ત્યાર સુધી અમે દુબઈમાં અમારા ઘરની બહાર પગ નહોતો મૂક્યો. અમને યુએઈ સરકાર તરફથી ઘરમાં જ રહેવાની તાકીદ કરાઈ હતી. અમે જેબેલ અલી પોર્ટતી માંડ ૧૦ કિમી.ના અંતરે રહેતા હતા, જેના પર રોજ બોંબમારો તતો હતો. મારે મારા હસબન્ડ અને મારા ફેમિલી પાસે પાછા ફરવું હતું એટલે અમે ચાન્સ લીધો. બે કલાકના પ્રવાસ પછી અમે ફુજૈરાહ પહોંચ્યા. હજુ આગલા દિવસે જ ફુજૈરાહ પોર્ટ અને ઓઈલ રિફાઈનરી પર બોંબ વરસાવાયા હતા. બધુ બહુ જ ડરામણું હતું. એર પાર્ટમાં પણ અમને બોંબધડાકા સંભળાતા હતા. બધા એક જ આશા રાખતા હતા કે એરપોર્ટ પર બોંબ ન પડે. મને ખાતરી છે કે આવા અનુભવની મારી પુત્રીને થોડી માનસિક અસર થશે.'

ત્રીજો સવાલ, 'એ વખતે સાયરાના મગજમાં શું ચાલતું હતું? ેની પ્રતિક્રિયા કેવી હતી?' શ્રીમતી ભૂપતિ શાંતિથી જવાબ આપે છે, 'હું તો ફૌજી પરિવારની દીકરી છું અને અમારી ફેમિલીએ બે યુદ્ધો જોયા છે. એટલે વોર શરૂ થતાવેંત મેં મારા ઘરના સ્ટાફને જરૂરી ચીજવસ્તુઓ ભરી લેવા જણાવ્યું. પછી મારી એક બેગ તૈયાર કરી. એવું વિચારીને કે સરકાર અમને દુબઈ છોડવાનું કહે તો મારી બેગ રેડી હોવી જોઈએ. જ્યારે સારાએ ઘરના દાદરા નીચે પોતાના માટે એક નાનકડી સ્પેસ તૈયાર કરી હતી. એણે ત્યાં સ્લીપિંગ બેગ, તકિયા અને બીજી જરૂરી વસ્તુઓ રાખી હતી. જ્યારે પણ સાયરન વાગતી ત્યારે અમે એ સ્પેસમાં ભરાઈ જતા.'

૪૭ વરસની એક્ટર ૩ દેશો વચ્ચેના વિનાશકારી યુદ્ધની એક ઝલક જોઈને ધુ્રજી ઉઠી છે. એને સતત વારની નિરર્થકતા અને એમાં પસાયેલા લાખ્ખો લોકોની નિસાહતાનો વિચાર આવ્યા કરે છે. લારા પોતે અને પોતાનો પરિવાર સલામત છે એટલે દુનિયા આખી સુરક્ષિત છે એવું માનીને બેસી ન રહેતા દુનિયાને બહોળા દ્રષ્ટિકોણથી જુએ છે. એમાં એની માનવતા જોઈ શકાય છે.

પોતાની આસપાસના લોકો અને મિત્રોની કાળજી લેવાનું આર્મી ઓફિસરની પુત્રીના સ્વભાવમાં વણાયેલું છે. એની એક ઝલક દેખાડવા લારા બહુ સહજ રીતે સમાપનમાં કહે છે, 'અમે દુબઈમાં હતા ત્યારે મારી એક ફ્રેન્ડ પોતાના બે બાળકો સાથે ત્યાં જ હતી. એનો પતિ બહારગામ હતો. એમનું ફેમિલી હાઈ-રાઈઝ બિલ્ડીંગમાં રહેતું હતું. એટલે જુમૈરાહની ફેયરમોન્ટ હોટલ પર પહેલો હુમલો થયો ત્યારે મેં મારી ફ્રેન્ડને એ એરિયમાંથી નીકળી મારા ઘરે આવી જવા કહ્યું. તેઓ અમારી સાથે આવીને રહ્યા. એ વખતે જુજ ફ્લાઈટસ જ ઉપડતી હતી અને ટિકિટો પણ મોંઘી હતી. પરંતુ મેં એમને છોડીને ભારત આવી જવાનો સાફ ઇન્કાર કરી દીધો. એમને એને મારા જે નોકર-ચાકરને હું ભારતથી લઈ ગઈ હતી એમને મારી સાથે જ પાછા લઈ આવી. આ બધુ જોવું અને સહન કરવું માનસિક રીતે બહુ આકરું છે. એટલે આપણે તો બસ એવી પ્રાર્થના કરી શકીએ કે સંબંધિત લોકોમાં શાણપણ આવે અને યુદ્ધ બંધ થાય.'