Magazines

મા બન્યા બાદ દેવોલીનામાં કેવાં પરિવર્તનો આવ્યાં?

By GS TEAM
30 Apr 20263 mins read
મા બન્યા બાદ દેવોલીનામાં કેવાં પરિવર્તનો આવ્યાં?

પશ્ચિમના લોકો ભારતને તહેવારોનો દેશ કહે છે એ અકારણ નથી. આપણાં દેશમાં લગભગ આખું વરસ નાના-મોટા તહેવારો ઉજવાતા રહે છે. નવાઈની વાત એ છે કે અહીં દરેક પ્રદેશને પોતાનું નવું વર્ષ છે. ઈશાન ભારતના સૌથી મોટા રાજ્ય આસામમાં નવું વરસ 'બિહુ ફેસ્ટિવલ' તરીકે ઉજવાય છે. દેશના ગમે તે ખૂણામાં વસતિ આસામી વ્યક્તિ બિહુ પર્વ આવે ત્યારે અનેરા ઉત્સાહમાં આવી જાય છે. એનું તન-મન બિહુ આવે એટલે થનગનાટ કરી ઉઠે છે. આસામમાં જન્મેલી ટીવી એકટ્રેસ દેવોલીના ભટ્ટાચાર્જીએ પણ ૧૪મી એપ્રિલે મુંબઈમાં પોતાના નવા ઘરે ઉત્સાહ અને ઉમંગથી બિહુની પરંપરાગત રીતે ઉજવણી કરી.

આસામના સિવાસાગરમાં જન્મેલી અને ઉછરેલી ૪૦ વરસની અભિનેત્રી દેવોલીના આસામના નવા વરસ વિશે માહિતી શેર કરતા કહે છે, 'આમ તો ૩ પ્રકારના બિહુ ફેસ્ટિવલ ઉજવાય છે પણ એમાં ૧૪ એપ્રિલે મનાવાયેલા રોન્ગાલી અથવા બોહાગ બિહુનું મહાત્મ્ય સૌથી વધુ છે. એટલા માટે કે એ દિવસે નવું આસામી વરસ શરૂ થવા ઉપરાંત વસંત ઋતુનું પણ આગમન થાય છે. ખેડતો એ જ દિવસે ખેતરોમાં વાવણી શરૂ કરે છે. બિહુ એટલે જ આસામ માટે માત્ર એક નવું વર્ષ નથી પણ એનો આત્મા છે. નવું સાલ મારા પરિવાર અને મિત્રો માટે પ્રગતિની નવી તકો અને સમૃધ્ધિ લાવે એવી ઇશ્વરને મારી પ્રાર્થના છે.'

સ્ટાર પ્લસ પર વરસો ચાલેલી ટીવી સીરિયલ 'સાથ નિભાના સાથિયા'માં ગોપી બહુનો રોલ કરી ઘરઘરમાં જાણીતી થયેલી ૪૦ વરસની દેવોલીનાની બિહુ સાથે બાળપણની ઘણી યાદો જોડાયેલી છે. 'બિહુની લોકસંગીત, ડાન્સ અને મિજબાની સાથે ઉજવણી કરવી મારા માટે પહેલેથી ખાસ બની રહી છે. મને એ દિવસે ટુ-પીસનો એન્સેમ્બલ ટ્રેડિશનલ ડ્રેસ મેખેલા ચાદોર પહેરીને તૈયાર થવું બહુ ગમે છે,' એમ ભરતનાટયમની વિધીવત તાલિમ લેનાર ડાન્સર કહે છે. દરેક પુત્રીની જેમ 'સવારે સબ કે સપને... પ્રીતો'ની હિરોઈને પણ પોતાની માતાએ શરૂ કરેલી પૂજા-અર્ચનાની પરંપરાગત વિધી જાળવી રાખી છે. 'મેં મારી મધરને બિહુના દિવસે વહેલી સવારે પૂજા કરી ભગવાનનો એની કૃપા-દ્રષ્ટિ માટે આભાર માનતી અને આવનારા વરસમાં પોતાના પરિવારના ખુશાલી અને સફળતા માટે પ્રાર્થના કરતી જોઈ છે. મા આખા ફેમિલી માટે ભાવતું આસામી ભોજન બનાવી બધાને પ્રેમથી જમાડતી. મેં પણ એ પ્રથા ચાલું રાખી છે,' એમ દેવોલીના કહે છે.

મુંબઈમાં ઘણાં વરસો વીતાવ્યા બાદ પણ ભટ્ટાચાર્જી પોતાના મૂળ સાથે જોડાયેલી રહી છે. 'અમારું નવું વરસ આવે એના દિવસો પહેલા મારું મન બિહુના ગીતો પર થિરકવા લાગે છે અને મગજમાં એ ગીતોની ધુન રમ્યા કરે છે. હું તો ત્યોહાર ઘરે જ ઉજવું છું, પણ મુંબઈમાં રહેતા ઘણાં આસામી લોકો એ દિવસે જાહેરમાં ઉજવણી કરે છે,' એમ એક્ટર કહે છે.

ડિસેંબર, ૨૦૨૨માં જિમ અને ફિટનેસ ટ્રેનર શાહનવાઝ શૈખને પરણ્યા બાદ દેવોલીનાએ ડિસેંબર, ૨૦૨૪માં પુત્ર જોયને જન્મ આપ્યો. આજે એની દુનિયા દોઢ વરસના જોયની આસપાસ જ ઘુમે છે.

'હું દીકરાની મા બની ત્યારથી મારા માટે દરેક તહેવારનું મહત્ત્વ વધી ગયું છે. મને તહેવારોની ઉજવણી હવે વધુ અર્થપૂર્ણ લાગે છે. એટલે જ જોય સમજણો થશે ત્યારે હું એને બિહુના પર્વમાં આસામ લઈ જઈશ, જેથી એ ફેસ્ટિવલને પોતાના જાત અનુભવ પરથી સમજતો થાય. હું એને બિહુના દિવસે ધોતિયું પણ પહેરાવીશ,'  

દેવોલીના ઘરમાં બે જુદી જુદી સાંસ્કૃતિક પૃષ્ઠભૂમિઓનો મેળાપ થયો છે. એ પોતે હિન્દુ છે અને એનો પતિ શાહનવાઝ ઇસ્લામ ધર્મ પાળે છે. છતાં બંને સાથે મળીને બિહુની આનંદભેર ઉજવણી કરે છે. 'એકલો મારા હસ્બન્ડ નહિ, મારા ફ્રેન્ડ્સ પણ જુદા જુદા ધર્મો પાળે છે. અમે એકબીજાના કહેવારો ભેગા મળીને સેલિબ્રેટ કરીએ છીએ. મારા મતે ફેસ્ટિવલ્સને એકલા ધર્મ સાથે સંબંધ નથી હોતો. એ તો પરસ્પર વચ્ચેના પ્રેમ અને ભાઈચારાની ઉજવણી હોય છે.'