ગુજરાતના મહાન સંત કવિ નરસિંહ મહેતાને મહાદેવ શિવજીએ ભગવાન શ્રીકૃષ્ણની લીલાના પ્રત્યક્ષ દર્શન કરાવ્યા હતા !
વિચાર-વીથિકા - દેવેશ મહેતા
અખિલ બ્રહ્માંડમાં શ્રીહરિને જોતા ગુજરાતના મહાન સંત કવિ નરસિંહ મહેતા ગુજરાતી કવિતા ક્ષેત્રે અગ્રિમ હરોળમાં બિરાજે છે. એમનો પંદરમી સદીમાં ઇ.સ.૧૪૧૪માં ભાવનગરના તળાજા ગામમાં થયો હતો. એમણે જૂનાગઢમાં નિવાસ કર્યો હતો જે એ વખતે જુર્ણદુર્ગ તરીકે ઓળખાતું હતું. એમના પિતાનું નામ કૃષ્ણદાસ અને માતાનું નામ દયાકુંવર હતું. ઇ.સ.૧૪૨૯માં એમના લગ્ન માણેકબાઈ સાથે થયા હતા. એમને શામળદાસ નામનો એક પુત્ર અને કુંવરબાઈ નામની એક પુત્રી હતી.
નરસિંહ મહેતાએ પંદરસોથી પણ વધુ પદો રચ્યા છે. હૂંડી, કુંવરબાઈનું મામેરું, શામળશાનો વિવાહ, હારમાળા, ઝારીના પદો, ચાતુરીઓ, સુદામાચરિત્ર, દાણલીલા, કૃષ્ણપ્રીતિનાં ગીતો, બાળ લીલાનાં પદો, હિંડોળાના પદો રાસનાં પદો એ એમની મુખ્ય કૃતિઓ છે. નરસિંહ મહેતાની કવિતામાં મૈત્રી, મુદિતા, કરુણા અને પ્રીતિ ઠેરઠેર પ્રતિબિંબિત થાય છે. એમની કવિતામાં ઇશ્વર, જીવ, જગત પ્રત્યે વિસ્મય અને અહોભાવનો અનવરત આવિર્ભાવ થતો જોવા મળે છે. 'નીરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો ? તે જ હું, તે જ હું શબ્દ બોલે.' જેવી પંક્તિઓમાં એ દેખાય છે. 'વૈષ્ણવજન તો તેને રે કહીએ' એ એમનું વિશ્વ પ્રસિદ્ધ પદ છે જે ગાંધીજીને પ્રિય હતું.
નરસિંહ જ્ઞાાન, કર્મ અને ભક્તિમાં ભક્તિને સર્વોપરિ બતાવે છે. એ ઇશ્વરના સાકાર સ્વરૂપની સેવાને સૌથી મોટું સૌભાગ્ય માને છે. એટલે જ તે કહે છે- 'હરિના જન તો મુક્તિ ન માંગે, માંગે જનમ જનમ અવતાર રે,
નિત્ય સેવા, નિત્ય કીર્તન- ઓચ્છવ, નીરખવા નંદકુમાર રે'
'ભૂતળ ભક્તિ પદારથ મોટું, બ્રહ્મલોકમાં નાહીં રે
પુણ્ય કરી અમરાપુરી પામ્યા, અંતે ચોરાસી માંહી રે.'
નરસિંહ માહાત્મ્ય- જ્ઞાાનવાળી ભક્તિને વખાણે છે.
આત્મ- સાક્ષાત્કાર થાય તો જ વ્રત- જપ- તપ- તીરથ સાર્થક થાય એ દર્શાવવા એમણે લખ્યું છે. જ્યાં લગી આતમા તત્વ ચિન્યો નહીં, ત્યાં લગી સર્વ સાધના જૂઠી, એ છે પરપંચ સૌ પેટ ભરવા તણા, આત્મારામ પરિબ્રહ્મ ન જોયો, ભણે નરસૈયો કે તત્ત્વદર્શન વિના રત્નચિંતામણિ જન્મ ખોયો.'
બ્રહ્મની વ્યાપક્તા, સર્વૈક્યતાના વેદ-ઉપનિષદ કથિત તત્ત્વજ્ઞાાનને નરસિંહ મહેતાએ સરળ શબ્દોમાં સહેલાઈથી સમજાઈ જાય એ રીતે રજૂ કર્યું છે-
'અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જૂજવે રૂપે અનંત ભાસે દેહમાં દેવ તું, તેજમાં તત્ત્વ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે. પવનતુ, પાણીતું, ભૂમિ તું ભૂધરા, વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે, વિવિધ રચના કરી, અનેક રસ લેવાને, શિવ થકી જીવ થયો એ જ આશ. વેદ તો એમ વદે શ્રુતિ- સ્મૃતિ શાખ દે, કનક કુંડળ વિશે ભેદ ન હોય, ઘાટ ઘડિયા પછી નામ રૂપ જૂજવા અંતે તો હેમનું હેમ હોય.' 'જાગીને જોઉં તો જગત દીસે નહીં, ઊંઘમાં અટપટા ભોગ ભાસે, ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્રૂપ છે, બ્રહ્મ લટકા કહે બ્રહ્મ પાસે.
નરસિંહ મહેતા પંદર વર્ષના હતા ત્યારે એકવાર ભોજન કરવા બેઠા. ભાભીએ મહેણાં મારવા માંડયા એટલે તે ઘર છોડી જંગલમાં જતા રહ્યા અને ત્યાં એક જીર્ણ અવાવરુ મહાદેવના મંદિરમાં જઈ એમની ઉપાસના કરવા લાગ્યા. એમની સાત દિવસની ઉપાસનાથી ભગવાન શિવ પ્રસન્ન થયા અને પ્રગટ થઈ કોઈ વરદાન માંગવા કહ્યું. નરસિંહે કહ્યું- ' તમને જે વલ્લભ, હોય જે દુર્લભ, આપો હે પ્રભુજી મુજને કૃપા કરી.' શિવજીને થયું - આ તો મારી કસોટી થઈ ગઈ.
જગતમાં જે સૌથી કીમતી અને દુર્લભ છે. તે મારે આપવાનું છે તેથી તેમણે નરસિંહને કૃષ્ણની રાસ લીલાના દર્શન કરાવ્યા. શ્રીકૃષ્ણે સ્વયં તેમને પીતાંબર પહેરાવ્યું અને એમના માથે મોરપીંછનો મુગટ મૂક્યો. મહેતાજી હાથમાં કરતાલ લઈ ભજન ગાવા લાગ્યા. શિવજીએ એમને અનન્ય કૃષ્ણભક્તિનું વરદાન આપ્યું.
ભગવાન શ્રીકૃષ્ણે નરસિંહ મહેતાના યોગક્ષેમનું વર્ણન કર્યું. શામળશાના વેવિશાળ વડનગરના ધનાઢય શેઠ મદન મહેતાની પુત્રી સાથે થયા. લગ્નની જાન કાઢી ત્યારે બળદગાડા, ભક્તો અને કરતાલ તથા મંજીરા લઈને જૂનાગઢથી નીકળ્યા હતા જ્યારે વડનગર પહોંચ્યા ત્યારે ભગવાને ઇન્દ્રના વૈભવને ઝાંખો પાડી દે તેવા ખજાનાવાળા રથ, હાથી, ઘોડા, બેન્ડ અને વાજાવાળા જાનૈયાઓ ઉમેરાઈ ગયા. ધનકુબેર જાનૈયાઓનો વૈભવ જોઈ મદન મહેતા પણ અંજાઈ ગયા હતા. નરસિંહની દીકરી કુંવરબાઈના લગ્ન બાદ સીમંત પ્રસંગે એનું મામેરું કરવા ભગવાન સ્વયં લક્ષ્મીજીને લઈને આવ્યા હતા.
દ્વારિકા જતા યાત્રીઓના નાણાના બદલામાં નરસિંહ મહેતાએ હૂંડી લખી આપી હતી તે ભગવાને શામળ શેઠ બની સ્વીકારી હતી. નરસિંહ મહેતાના પિતાના શ્રાદ્ધ પ્રસંગે આખી નાગરી નાતને ભોજનનું નિમંત્રણ આપી આવ્યા. પોતે મોટી તપેલી લઈ ઘી લેવા નીકળ્યા અને ભજન ગાવા બેસી હયા. સીધું- સામાન અને ઘીના ગાડાં આવી ગયા.
હાથમાં ઘી ભરેલી તપેલી સાથે ભગવાન નરસિંહનું રૂપ લઈને આવી ગયા ! કેટલાક અદેખાઓએ જૂનાગઢના રાજા રા'માંડલિકને ખોટી ફરિયાદ કરી. રાજાએ કોટડીમાં પૂર્યા અને કહ્યું- ભગવાનની મૂર્તિના ગળામાં પહેરાવેલો હાર જો ત્યાંથી નીકળીને તમારા ગળામાં આવી જાય તો નરસિંહ તમને સાચા માનું. નરસિંહે ભક્તો સાથે આખી કીર્તન કર્યું અને સવારે એ હાર નરસિંહના ગળામાં આવી ગયો.