મંત્રી વસ્તુપાળ અને મંત્રી તેજપાળે પોતાના વડીલબંધુ લુણિંગદેવની સ્મૃતિમાં મહાન જિનાલયો રચ્યા !
- આંખ છીપ, અંતર મોતી : આચાર્ય શ્રી વાત્સલ્યદીપ સૂરિજી
- મહાન તીર્થની મહાન સર્જનકથા : મૃત્યુ આંખ સામે રમે છે અને ધર્મી જીવને દેરાસર દેખાય છે !
'ભાઈ, મને ઊંચેરો આકાશ સાથે વાત કરતો પહાડ દેખાય છે, આકાશને ચૂમતું ઉત્તુંગ જિનમંદિર દેખાય છે, જગતના પ્રત્યેક માનવીના દર્શનથી દુઃખ હરતી જિન પ્રતિમા દેખાય છે.
પ્રિય સાધક,
ધર્મલાભ. તેં આબુથી લખેલો પત્ર મળ્યો. તને ત્યાંના મહાન સ્થાપત્યે આકર્ષ્યો તે જાણ્યું. ત્યાં વિમળ મંત્રીના સર્જેલા અને વસ્તુપાળ-તેજપાળે સર્જેલાં અદ્ભુત જૈન મંદિરો છે. એ પ્રત્યેક મંદિરોના સર્જન પાછળ મહાન તપ અને ત્યાગ પડયાં છે અને તેણે સૈકાઓને પાવન કર્યા છે. વસ્તુપાળ અને તેજપાળ ગુજરાતના મંત્રી હતા. જૈન શ્રાવકો હતા. એમાં વસ્તુપાળ તો સંસ્કૃતના કવિ હતા અને બંને ભાઈઓ શૂરવીર યોદ્ધાઓ પણ હતા.
એ બંને ધર્મપ્રેમી અને કલાપ્રેમી આત્માઓએ જે દેહરાં બનાવ્યા તેમાં એક અનોખું અને અજાણ્યું સત્ય પડયું છે તે તું જાણે છે ?
વાત કંઈક આમ બની છે.
માંડલની વાત છે. ત્યાં કુમારદેવી નામે એક સ્ત્રી રહે. એને ત્રણ દીકરા.
લુણિંગદેવ કુમારદેવીનો સૌથી મોટો પુત્ર. પછી વસ્તુપાળ, પછી તેજપાળ. દુઃખદ એ દિવસો. કુમારદેવી હંમેશાં વિચારતી કે આ દુઃખદ દિવસોમાં આ બાળકોના સંસ્કાર જશે તો એ પાછા ક્યાંથી મળશે ? પુત્રોનું મનોબળ હંમેશાં દૃઢ રહે, અધ્યયન ઉત્તમ થાય તેના તે પ્રયત્નો કરતી. લુણિંગદેવ પરિસ્થિતિ વધુ સમજતો થયો હતો.
લુણિંગદેવને એક દિવસ તાવ આવ્યો. દિવસ-રાત કુમારદેવી તેની પાસે બેસી રહી. માનો મમતાભર્યા હાથ કપોલ પર ફરે ને ભર્યા તાવમાં પણ લુણિંગદેવના મુખ પર સ્મિત ઝબકે, તાવ કેમેય ઊતર્યો જ નહિ. કુમારદેવીની ચિંતા વધી. મનમાં સતત થયા કરે કે વૈદ્યને બોલાવવા જોઈએ. કિંતુ વૈદ્યને આપવા માટે ઘરમાં કશું જ નહોતું !બીજો દિવસ પણ એવો જ વીત્યો. કુમારદેવીએ કોઈક વ્યવસ્થા કરીને વૈદ્યને બોલાવ્યા. વૈદ્યે કહ્યું, ' આ આથમતા દીવાનો છેલ્લો પ્રકાશ છે, ધર્મમાં ચિત્ત પરોવો.'
એમ જ થયું. લુણિંગદેવને તાવ ન જ ઊતર્યો. ને ગમે તે અસ્પષ્ટ બોલતો રહ્યો. પોતાના નાના બંને ભાઈઓને બોલાવીને તેણે કહ્યું.
'એક કામ કરીશ ભાઈ ?'
લુણિંગદેવને થયેલી વ્યાધિથી આખું ઘર ગમગીન હતું. વસ્તુપાળ-તેજપાળ બંને, માને ન ખબર પડે તેમ છાને ખૂણે રડી લેતા. આ વ્યથાભર્યા દિવસો અને મોટા ભાઈને થયેલો વ્યાધિ ઃ એમની મુખ્ય પીડા હતી. એ લુણિંગદેવે બોલાવ્યો એટલે તેમને કંઠે ડૂસકું બાઝ્યું. વસ્તુપાળે કહ્યું,' કાર્ય કહો, કરીશું.'
લુણિંગદેવે કંઈક કહેવા હોઠ ફફડાવ્યા, પણ બોલી ન શકાયું. કુમારદેવીએ તેના શિર પર હાથ ઠવીને કહ્યું ,' બેટા, કહે.'સૌના અત્યાગ્રહથી તેણે કહ્યું, ભાઈ, હું આપણી પરિસ્થિતિ જાણું છું.' કુમારદેવી, વસ્તુપાળ, તેજપાળ તેને નિહાળી રહ્યા. ગમગીન વાતાવરણમાં ગંભીરતા ઉમેરાઈ.
'પણ મને એક ભાવના થાય છે.' લુણિંગદેવ બોલતો હતો. કુમારદેવીએ ઇશારતથી મૌનપણે સાંભળવા કહ્યું.
લુણિંગદેવ બોલ્યો - એના શબ્દોમાં કોઈ સ્વપ્ન રચાતું હતું.
'ભાઈ, મને ઊંચેરો આકાશ સાથે વાત કરતો પહાડ દેખાય છે, આકાશને ચૂમતું ઉત્તુંગ જિનમંદિર દેખાય છે, જગતના પ્રત્યેક માનવીના દર્શનથી દુઃખ હરતી જિન પ્રતિમા દેખાય છે. કદીક બને તો એવું અલૌકિક સ્થાપત્ય રચજો ઃ જેને નિહાળીને સૌનાં દુઃખ જાય સૌને સુખ થાય.'
કુમારદેવી વસ્તુપાળ તેજપાળ તેને નિહાળી રહ્યાં એ સૌ આશ્ચર્યથી અભિભૂત હતાં ઃ 'ઓહ, જિંદગીની અંતિમ પળેય પરમાત્મા એમને હૃદયસ્થ છે ! વાહ !'' આ સંસ્કારની સૌરભ અમને ય સાંપડજો.' વસ્તુપાળે કહ્યું,'વડીલ બંધુ ! આપની ભાવના પરિપૂર્ણ કરવાનું, કામ અમને મળશે જ, અમે તે કરીશું.'
અને લુણિંગે દેહ છોડયો. એ પછી કેટલાંક વર્ષે ગુજરાતના મંત્રીશ્વરો વસ્તુપાળ અને તેજપાળે પોતાના વડીલબંધુ લુણિંગદેવીની ભાવના પરિપૂર્ણ કરી. ગિરિરાજ આબુ ઉપર ખડાં થયેલાં એ અદ્ભુત સ્થાપત્યો આજેય આકાશને ચૂમતાં ઉભાં છે, ગગનને સ્પર્શતી એ કીર્તિપતાકા લુણિંગદેવના ધર્મપ્રેમની અમર ગવાહી છે ! મંત્રી વસ્તુપાળનાં પત્ની લલિતાદેવીનો સહકાર અને મંત્રી તેજપાળનાં પત્ની અનુપમાદેવીનો પુરુષાર્થ એ અનેરાં શિલ્પનાં તોરણે ઝળાંહળાં થાય છે ! એ મહાન શિલ્પને નિહાળતાં આ ધર્મી આત્માઓની ભાવનાને આંબવા પ્રયાસ કરજે. યાદ રાખજે કે ભાવના ભવનાશિની છે !
પ્રભાવના ઃ જૈન ધર્મનો મહામંત્ર એટલે શ્રી નવકાર મંત્ર, તેને મંત્રાધિરાજ પણ કહેવામાં આવે છે. આ મંત્રમાં પાંચ પરમેષ્ઠી ભગવતોને વંદન કરવામાં આવ્યા છે. પરમેષ્ઠી એટલે ? જેમણે પરમ ઇષ્ટ પ્રાપ્ત કર્યું છે તે અરિંહત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ, આ સર્વે પરમેષ્ઠી ભગવંતો છે. આ મંત્ર અનાદિકાલીન છે, સિદ્ધ છે. પરમેષ્ઠી ભગવંતો અનાદિ સિદ્ધ છે. તેઓને ભાવપૂર્વક કરેલો નમસ્કાર આપણને પરમપદ આપે છે.
યંત્રથી પાણી ઉંચે ચઢે, તેમ મંત્રથી આત્મા ઊંચે ચઢે. શ્રી નવકાર મંત્રનો મહિમા અપરંપાર છે. રોગ પણ મટે દુઃખ પણ જાય, સુખ વધે અને જીવ શિવ થાય : જેના હૈયે શ્રી નવકાર, તેને શું કરશે સંસાર ?