Magazines

25 વર્ષથી ઝઝુમતો ટીવીનો કર્મયોગી હિતેન તેજવાની

By GS TEAM
16 Apr 20263 mins read
25 વર્ષથી ઝઝુમતો ટીવીનો કર્મયોગી હિતેન તેજવાની

- 'એક આર્ટિસ્ટ તો આખિર એક આર્ટિસ્ટ હી હોતા હૈ. તમે એમને જુદા જુદા ખાનામાં ન મૂકી શકો કે એ તો ટીવી એક્ટર છે અથવા પેલો તો વેબ શો જ કરે છે. તમારી પાસે ટેલેન્ટ હોય તો એ બતાવવી પડે- મીડિયમ ભલે ગમે તે હોય.' 

અભિનય ક્ષેત્રમાં એવા કેટલાક કર્મયોગી કલાકારો છે જેઓ પોતાની ટેલેન્ટ પ્રમાણેની સકસેસ ન મળવા છતાં પોતાનું કામ કરે રાખે છે. તેઓ રિજેક્શન (નાપસંદગી)ની પરવા કર્યા વિના એકલા પોતાના કામ પર ફોકસ રાખે છે. વર્સેટાઈટલ એક્ટર હિતેન તેજવાની આવો જ એક વીરલો છે. છેલ્લા એક દશકમાં એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં ફોર્મેટ્સ બદલાયા છે અને એની સાથોસાથ દર્શકોની અપેક્ષાઓ પણ બદલાઈ છે. એને કારણે એકટર્સ પોતાને લાગેલા લેબલ્સથી પીછો છોડાવવા અને લોકોની અપેક્ષાઓ પુરી કરવા આકરી મથામણ કરી રહ્યા છે. આવા કસોટી-કાળમાં પણ હિતેન એક બાબતમાં બહુ સ્પષ્ટ છે - મિડીયમ ગમે તે હોય મારે મારા ક્રાફ્ટ (હુન્નર) પર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે.

હમણાં એક પાર્ટીમાં હિતેન તેજવાનીએ પોતાના પત્રકાર મિત્રો સાથેની અનૌપચારિક વાતચીતમાં અમુક બાબતોમાં ખુલાસા કર્યા. સૌપ્રથમ પ્લેટફોર્મસ વચ્ચેની હાયરારકી (અધિક્રમ)ના આઈડિયાનું ખંડન કરી કોન્ટેન્ટ ક્રિએક્શનનાં તમામ  સ્વરૂપોનું સમર્થન કરતા એક્ટર કહે છે, 'સર, એક આર્ટિસ્ટ તો આખિર એક આર્ટિસ્ટ હી હોતા હૈ, તમે એમને જુદા જુદા ખાનામાં ન મૂકી શકો કે એ તો ટીવી એક્ટર છે અથવા પેલો તો વેબ શો જ કરે છે. બધુ ઝડપથી બદલાઈ રહ્યું છે. એવા કલાકારો પણ છે જેઓ ઇન્સ્ટાગ્રામ પર જ દેખાય છે. એ પણ આર્ટિસ્ટ છે. તેઓ ઇન્સ્ટાગ્રામ પર પોતાની કલા બતાવી આજીવિકા રળે છે. એવું જ યુ ટયુબનું છે. ઘણાં બધા વૈકલ્પિક મીડિયમ્સ છે. તમારી પાસે ટેલેન્ટ હોય તો તમારે એ બતાવવી પડે- મીડિયમ ભલે ગમે તે હોય. તમે બસ લોકોને દેખાતા રહો. એવું પણ બની શકે કે કોઈ વ્યક્તિને તમને ઇન્સ્ટાગ્રામ પર જોઈને એવું લાગે છે કે તમે અમુક પાત્ર માટે ફિટ છો અને એ તમને મોટો રોલ ઓફર કરે. કુછ ભી હો સકતા હૈ.'

નવાઈની વાત એ છે કે ૫૨ વરસના એક્ટરે અઢી દશક લાંબા કરિઅર બાદ આજે પણ ઓડિશન્સ અને રિજેક્શન્સની પ્રોસેસમાંથી પસાર થવું પડે છે. એ વિશે પૂછાવા 'ક્યોંકિ સાસ ભી કભી બહુ થી'નો કરણ વીરાની કહે છે, 'ભાઈ, રિજેક્શન્સ (નામંજુરી) તો ઇન્ડસ્ટ્રીમાં પહેલેથી છે. હું આજે પણ ઓડિશન્સ આપું છું. ઘણાંને એ જાણી આશ્ચર્ય થાય છે. શા માટે સાહેબ? ઓડિશન્સ અને રિજેક્શન્સ મારી ટેલેન્ટનો માપદંડ નથી. હું અભિનય કરી શકું છું કે નહિ એ એના આધારે નક્કી નથી થતો. ઓડિશન હું કોઈ પાત્ર ભજવવા માટે ફિટ છું કે નહિ એ નક્કી કરવા લેવાય છે. ડિરેક્ટરને પુરેપુરો ભરોસો થવો જોઈએ કે આ એક્ટર આ રોલ કરી શકશે. કોઈ રોલ મને સૂટ ન કરતો હોય તો હું રિજેક્ટ પણ થાઉં. એમાં શું થઈ ગયો. ઈટ્સ પાર્ટ ઓફ ધ ગેમ. મારી એક જ વિનંતી છે કે ઓડિશનમાં હું રિજેક્ટ થાઉં તો મને એનું કારણ જણાવાય, બસ તમને કોઈ પ્રકારનો જવાબ ન મળે ત્યારે ખરેખર દુખ થાય.'

એકટ્રેસ ગૌરી પ્રધાનને પરણેલો હિતેન બે ટીનેજ સંતાનોનો ડેડી છે. એ મોટાભાગે 'ક્યોં કિ સાસ ભી કભી બહુ થી' અને 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ' જેવા ડેઈલી સોપ્સના એક્ટર તરીકે જાણીતો છે. મુંબઈમાં જન્મેલા અને ઉછરેલા સિન્ધી પરિવારના નબીરાએ ટીવી શોઝમાં એન્કરિંગ પણ કર્યું છે. હિતેને કેટલીક ફિલ્મો પણ કરી છે પણ એમાં એને ટીવી જેટલી નામના નથી મળી. માનસિક સ્વસ્થતા એનો સૌથી મોટો ગુણ ગણી શકાય. એટલે જ તેજવાનીને ટ્રોલિંગની કોઈ અસર નથી થતી. બીજા એકટર્સની જેમ એ ટ્રોલર્સને જવાબ આપવામાં કે ખુલાસા કરવામાં માનતો નથી. તમારું કામ અને સફળતા ટ્રોલિંગનો શ્રેષ્ઠ ઉતરે છે એવું હિતેન દ્રઢપણે માને છે. 'હું ક્યારેય ટ્રોલર્સની વાતોનું માઠુ નથી લગાડતો. તમે જવાબ આપો એટલે એમને ભાવતું મળે અને તેઓ તમને ઉશ્કેરવા વધુ પ્રયાસ કરે. એ આગને હવા આપવા જેવું છે. એટલે તમારા કામને બોલવા દો એ જ બહેતર છે,' એમ કહી હિતેન મીડિયાની વિદાય લે છે.